Advertisement
Author: નોબત સમાચાર

મેઘાનો ગડગડાટ, સંસદનો સળવળાટ, નેતાઓનો બડબડાટ, શું છે અંદરની વાત?

રામભરોસે દેશ, આખલા યુદ્ધનો સંદેશઃ વિટંબણાઓ વચ્ચે ઠંડક આપતો મેઘો...

એક તરફ મેઘાનો ગડગડાટ થઈ રહ્યો છે અને ઘણાં સ્થળોએ શ્રીકાર વર્ષા થઈ રહી છે, તો બીજી તરફ દિલ્હીમાં નવી સરકાર રચાયા પછી નવી સંસદીય પ્રક્રિયા અંતર્ગત નવા સાંસદોની શપથવિધિ થઈ રહી છે, પરંતુ તેમાં વિપક્ષોનો હંગામો પણ મેઘગર્જના જેવો ગડગડાટ કરી રહ્યો છે. દિલ્હીમાં પીવાનું પાણી મેળવવા સામાન્ય જનતા માથાપચી કરી રહી છે, ત્યારે ત્યાંની રાજ્ય સરકાર કેજરીવાલને જેલમાંથી બહાર લાવવા માથાપચી કરી રહી છે, જ્યારે જલમંત્રી પોતે જ અનશન કરીને પીવાના પાણીના પ્રશ્ને પડોશી રાજ્ય સરકારને દોષ આપી રહ્યા છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર આક્ષેપો પ્રતિઆક્ષેપ એવી રીતે કરી રહી છે, જેવી રીતે જામનગરમાં ખૂંટિયાઓએ શિંગડા ભરાવ્યા હતાં.

જામનગરમાં કાલાવડનાકા બહાર બે ખૂંટિયાઓની જબરદસ્ત લડાઈ પછી કદાચ એક ખૂંટિયાએ હાર સ્વીકારી લેતા બીજાએ ત્યાંથી વિદાય લેતા મામલો કદાચ થંભી ગયો હશે, પરંતુ રખડતા ઢોરને નાથવામાં પણ નિષ્ફળ રહેતા નેતાઓને ઢગલાબંધ મતો કેવી રીતે મળી જતા હશે, તેવા કટાક્ષો થઈ રહ્યા છે!

આજે રપ જૂનને કાળો દિવસ ઠરાવીને ભારતીય જનતા પક્ષ કટોકટી જાહેર થઈ હતી, તેની પ૦ મી વરસી મનાવી રહ્યું હોય તેવા કાર્યક્રમો કરી રહી છે, તો કોંગ્રેસ બંધારણની નકલો બતાવીને સંસદમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખડગે કહે છે કે છેલ્લા દસ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી હોવાથી ભાજપને જનતાએ બહુમતી આપી નથી, જો કે એનડીએની સરકારના મુખિયા હજુ પણ નરેન્દ્ર મોદી જ છે અને એનડીએની બહુમતી છે, તેથી 'મોદી હેટ્રીક'નું ગૌરવ પણ લેવામાં આવી રહ્યું છે.

પોતાની તાકાત વધારવા આયાત કરેલો જુથવાદ હવે ભાજપમાં પણ ગુજરાત સહિત દેશમાં દેખાઈ રહ્યો છે, તો ઈન્ડિયા ગઠબંધનમાં વિચારધારાનો વિરોધાભાષ મોદીવિરોધી ભાવનાઓમાં હાલતુરત તો દબાયેલો છે, પરંતુ ક્યારે ડોકીયુ કરે, તે કહી શકાય તેમ નથી!

દેશમાં રામરાજ્ય સ્થાપવાના અભિગમો, દાવાઓ, અને પ્રતિદાવાઓ વચ્ચે દિલ્હીની જનતા પીવાના પાણી માટે પીડાય છે, અને દેશની જનતા રાજકીય પક્ષોએ ચૂંટણી ટાણે કરેલા વાયદાઓની પૂર્તતા માટે નેતાઓના ભરોસે છે, ત્યારે એવું કહી શકાય કે હવે તો આ સ્થિતિમાંથી ભગવાન જ ઉગારી શકે તેમ છે, એવું પણ કહી શકાય કે અત્યારે દેશ રામભરોસે છે અને હાલમાં થઈ રહેલી મેઘવૃષ્ટિ આ તમામ વિટંબણાઓ વચ્ચે ઠંડક આપનારી છે... રાહતરૃપ છે... આશાનું કિરણ છે... ખરૃ કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh