Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણ કારખાનેદાર સાથે રૂપિયા ૪ કરોડ ૪૪ લાખની ઉચાપત કરી એક શખ્સે પોબારા ભણ્યાઃ તપાસ

વેપારી સંબંધ કેળવી વિશ્વાસમાં લીધા પછી પોત પ્રકાશતા વેપારીઓ હતપ્રભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક કારખાનેદાર સાથે ત્રણ વર્ષ પહેલાં વેપારી સંબંધ કેળવી એક શખ્સે વિશ્વાસ પ્રાપ્ત કર્યા પછી રૂ।.ર કરોડથી વધુની રકમ બાકી રાખી દીધી હતી. તે ઉપરાંત અન્ય બે આસામીની પણ અનુક્રમે રૂ।.રપ લાખ તથા રૂ।.ર કરોડથી વધુની રકમ બાકી રાખી આ શખ્સે એકાદ વર્ષ પહેલાં પોતાના ધંધાના સ્થળ તથા ઘરે તાળા મારી પોબારા ભણી લેતા આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ત્રણ આસામી સાથે કુલ રૂ।.૪,૪૪,૦૧૧૦૪ની છેતરપિંડી કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે ઉચાપત તથા વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા નારાયણનગરમાં વસવાટ કરતા નીતિનભાઈ રમેશભાઈ મેનપરા નામના આસામીનો સંપર્ક વર્ષ ૨૦૨૩ના મે મહિનામાં જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનુ ચલાવતા અને શિવમ્ પાર્કમાં રહેતા આનંદ લીલાભાઈ મોઢવાડીયા સાથે થયો હતો.

ત્યારપછી બંને આસામી વચ્ચે વેપારી સંબંધ કેળવાયો હતો. શરૂઆતમાં માલની લેતીદેતી તથા રોકડની લેતીદેતી વ્યવસ્થિત થતાં આનંદ મોઢવાડીયા પર વિશ્વાસ કેળવાઈ ગયો હતો અને બંનેએ સાથે વેપાર કરવાનું નક્કી કર્યા પછી રૂ।.ર કરોડ ૪ લાખ ૫૦૭૨૩ નીતિનભાઈએ લેવાના નીકળતા હતા.

તે ઉપરાંત આનંદ મોઢવાડીયાએ રૂ।.૨૫ લાખનો સામાન જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ડોબરીયા પાસેથી ખરીદ્યો હતો. બ્રાસનો સ્ક્રેપ ખરીદવા માટે જીતેન્દ્રભાઈએ જે તે વખતે રૂ।.રપ લાખ આનંદ મોઢવાડીયાને એડવાન્સ પેટે ચૂકવી આપ્યા હતા. તે રકમ મળી ગયા પછી પણ આનંદ મોઢવાડીયાએ સ્ક્રેપ આપ્યો ન હતો.

ઉપરોક્ત બંને આસામી ઉપરાંત દિનેશભાઈ વેજાણંદભાઈ કનારા નામના આસામીએ પણ વેપારના રૂ।.૨ કરોડ ૧૪ લાખ ૫૦૯૮૧ આનંદ મોઢવાડીયા પાસે લેવાના બાકી હતા. આ તમામ ત્રણ આસામીએ સતત બે વર્ષ સુધી પોતાના બાકી નીકળતા પૈસાની આનંદ મોઢવાડીયા પાસે ઉઘરાણી કરી હતી. તે દરમિયાન ગઈ તા.ર૯-૪-ર૦રપના દિને આનંદ મોઢવાડીયા પોતાની પેઢી તથા રહેણાંકના મકાને તાળા મારી છૂમંતર થઈ જતાં આખરે નીતિનભાઈ મેનપરાએ ત્રણેય આસામી વતી ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ।.૪ કરોડ ૪૪ લાખ ૦૧૧૦૪ની રકમની ઉચાપત તથા વિશ્વાસઘાત કરવા અંગે આનંદ લીલાભાઈ મોઢવાડીયા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જેની સામે ફરિયાદ થઈ છે તે આનંદ મોઢવાડીયા સામે અગાઉ પણ આ પ્રકારની ફરિયાદો થઈ ચૂકી છે. જેમાં એક ખાનગી બેંકમાં નોકરી કરતા આસામીએ ક્રિપ્ટો કરન્સીના નામે પણ છેતરપિંડી કરાયાની કેટલાક મહિનાઓ પહેલા ફરિયાદ નોંધાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh