Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક વાહન નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, તે ઉપરાંત કેટલીક છૂટછાટો તથા પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી. આ બહુહેતુક નવી નીતિને આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં આ પ્રયોગ સફળ થાય અને વ્યાપક (જંગી) પબ્લિક રિસ્પોન્સ મળે, તો અન્ય રાજ્ય સરકારો પણ તેના આધારે પોતપોતાના રાજ્યોમાં આ પ્રકારની નવી યોજનાઓ બનાવશે. પોલિસીઓ ઘડશે અને લોકોને ઈવીના માર્ગે વાળવા માટે તેના ઉમદા ઉદ્દેશ્યો સમજાવી શકશે ખરી? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, અને કેટલાક તર્કો પણ પડઘાઈ રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જાહેર કર્યા મુજબ આ નવી પોલિસી પહેલી જુલાઈથી જ લાગુ થઈ જશે અને ૩૧ મી માર્ચ ર૦૩૦ સુધી અમલમાં રહેશે. આ નવી નીતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં પર્યાવરણની સુરક્ષા, હવાઈ પ્રદૂષણમાં ઘટાડો અને પરિવહનના ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલ-સીએનજી પરની નિર્ભરતા ઘટાડવાના હોઈ શકે છે.
આ પોલિસી અંતર્ગત દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલર્સ ઈલેક્ટ્રીક વાહનોમાં માતબર સબસિડી અપાશે. રૂ।. ૩૦ લાખ સુધીની એક્સ શો-રૂમ ઈલેક્ટ્રીક કારો પર લાગતી રજિસ્ટ્રેશન ફી તથા રોડ ટેક્સમાં સંપૂર્ણ માફી અપાશે. દ્વિચક્રીય વાહનો, જેવા કે સ્કુટર, બાઈક વગેરેની ખરીદી પર પહેલા વર્ષે રૂ।. ૩૦ હજાર, બીજા વર્ષે રૂ।. ર૦ હજાર અને ત્રીજા વર્ષે રૂ।. ૧૦ હજારની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. ત્રિચક્રીય વાહનો એટલે કે ઓટોરિક્ષા/ઈ-રિક્ષા પર પહેલા વર્ષે રૂ।. પ૦ હજાર સુધીની સબસિડી અપાશે, તેવું જાહેર કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત સંબંધિત વિભાગ દ્વારા પરિપત્રિત પણ કરાશે.
આ નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધે અને જુના વાહનોનો ભંગાર પણ વેંચાઈ જાય તે માટે એક્સચેઈન્જની વ્યવસ્થા પણ અમલી બનશે, તેવા સંકેતો છે. જાણકારોના અભિપ્રાયો મુજબ જુના વાહનો સ્ક્રેપમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂ।. પ૦૦૦ થી લઈને રૂ।. એક લાખ સુધીનું વિશેષ ઈન્સેન્ટિવ અપાશે.
આ પ્રકારની નવી નીતિ અમલી બને, ત્યારે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી નક્કી કરી લેવું ઘણું જ જરૂરી હોય છે. જ્યારે સીએનજી આધારિત વાહનોનો પ્રચાર-પ્રસાર વધારાયો હતો, ત્યારે એક તરફ માર્કેટમાં સીએનજી (ગેસ સંચાલિત) વાહનો માર્કેટમાં આવી ગયા હતાં, તો બીજી તરફ ગેસ ભરાવવા વાહનચાલકોને કેટલાક કિલોમીટર દૂર જવું પડતું હતું, કારણ કે ગેસ આધારિત વાહનોમાં ગેસ ભરવાની વ્યવસ્થા માટે ગેસફિલીંગ સ્ટેશનો (ગેસના પંપો) શરૂ કરવાના નવા નીતિ-નિયમો અમલી બનવામાં વાર લાગી હતી. હજુ પણ કેટલાક સ્થળે આ સમસ્યા છે, તેથી આ અનુભવના સંદર્ભે એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ નવી પોલિસીના અમલીકરણ માટે આ જ સમસ્યા તો ઊભી નહીં થાય ને? ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટેનું નેટવર્ક પર્યાપ્ત અને ફૂલપ્રૂફ તો હશે ને? ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સિસ્ટમમાં અવરોધ તો નહીં આવે ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે.
આ અંગે એવું જણાવાઈ રહ્યું છે કે આ યોજના ફૂલપ્રૂફ જ હશે, અને તમામ સંભાવનાઓ વિચારીને તેના નિવારણની વ્યવસ્થાઓ પણ થશે. રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં આ યોજના પાછળ રૂ।. ૧પ હજાર કરોડનું રોકાણ કરશે. પહેલી જાન્યુ. ર૯ર૭ માં માત્ર ઈલેક્ટ્રીક ત્રિચક્રીય વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે, અને વર્ષ ર૦ર૮ ના એપ્રિલથી માત્ર દ્વિચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે. તેનો મતલબ એવો થાય કે આગામી પહેલી જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજી આધારિત ઓટોરિક્ષા વગેરે ત્રિચક્રીય વાહનોનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, તેવી જ રીતે એપ્રિલ ર૦ર૮ થી આ પ્રકારના દ્વિચક્રીય વાહનો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આધારિત સ્કુટર, બાઈક વગેરેનું રજિસ્ટ્રેશન જ નહીં થાય. આ પ્રકારના કડક નિર્ણયો પણ પર્યાવરણ સુરક્ષા, ઈંધણબચત તથા પર્યાવરણ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયા છે.
આ નવી પોલિસીમાં પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણબચત જેવા ઉદ્દેશ્યોને વિપક્ષી વર્તુળોએ પણ આવકાર આપ્યો છે, પરંતુ આ રીતે અચાનક જ ઈલેક્ટ્રીક વાહનોની નવી નીતિ લાગુ કરી દેવાથી ગરીબ-મધ્યમ વર્ગિય વાહનચાલકો અને ગિગ વર્કર્સ, ડિલિવરી બોય વગેરેને આર્થિક ફટકો પડશે, તેવી દહેશત પણ બતાવાઈ રહી છે.
ઈલેક્ટ્રીક વાહનોના સમયોચિત ચાર્જીંગ, બેટરીઓ ખરાબ થઈ જવાની સમસ્યા તથા બિનઉપયોગી થઈ ગયેલી બેટરીઓના સુરક્ષિત યોગ્ય નિકાલનો પ્રશ્ન ઊભો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના તથા તમામ વ્યવસ્થાઓની પ્રયોગાત્મક સફળતા સાથે પર્યાપ્ત વ્યાપક્તા વધાર્યા વિના સીધેસીધા જ એક-બે વર્ષમાં આ પ્રકારના કડક નિયમનો લાગુ કરી લેવા હિતાવહ કે વ્યવહારૂ નહીં હોવાના મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. તેની સામે એવો જવાબ પણ અપાઈ રહ્યો છે કે પર્યાવરણની સુરક્ષા, જીવસૃષ્ટિ પર ખતરો ઊભો કરી રહેલું હવાઈ પ્રદૂષણ અને પ્રવર્તમાન સમયમાં ડીઝલ-પેટ્રોલ-ગેસ જેવા ઈંધણ પરની નિર્ભરતા વગેરે ઘટાડવા માટે આ પ્રકારની થોડીઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઊઠવું જોઈએ.
એકંદરે એવું કહી શકાય કે તબક્કાવાર વર્ષ ર૦ર૭ સુધીમાં દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાથી આગામી એક દાયકા સુધીમાં હવાઈ પ્રદૂષણ ઘણું ઘટી શકે અને પ્રોત્સાહક યોજનાઓ થકી બહુચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ પણ વધતો રહે તો માત્ર પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ જીવસૃષ્ટિને પણ નૈસર્ગિક નવજીવન આપી શકાય, તેમ હોવાથી જે આશંકાઓ ઊઠી રહી છે તેનો ઉકેલ લાવીને પણ આ પ્રકારની પોલિસી દિલ્હીની જેમ અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.
ગુજરાત રાજ્ય દ્વારા પણ વર્ષ ર૦ર૧ માં ઈવી અંગે પોલિસી બની હતી, હવે આ પ્રકારની પોલિસી અપનાવવાની પહેલ ભાજપ શાસિત રાજ્યો ઝડપથી કરશે, તથા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વતનના રાજ્ય ગુજરાતમાં પણ દિલ્હીની નવી યોજનાનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરીને એ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ઉદાર પ્રોત્સાહનો જાહેર કરાશે, તેવી આશા સેવાઈ રહી છે, જો કે દિલ્હી નાનું રાજ્ય અને દેશની રાજધાની છે, તથા ત્યાં હવાઈ પ્રદૂષણની સર્વાધિક સમસ્યા છે, તેથી ત્યાં આ પ્રકારની પોલિસી તત્કાળ અમલી બની શકે, તેવી દલીલ થઈ રહી છે, પરંતુ આખા ગુજરાતને લક્ષ્ય બનાવીને પ્રાયોરિટીમાં અમદાવાદ સહિતના વધુ હવાઈ પ્રદૂષણ તથા વાહનો ધરાવતા શહેરો-જિલ્લાઓમાં પ્રયોગાત્મક પ્રારંભ તો થઈ જ શકે ને? ભૂપેન્દ્રભાઈ વિચારશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial