Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે પોલીસ કર્મચારી સામે રૂ.૮ હજારની લાંચનો ગુન્હોઃ ચકચાર

અરજીની તપાસમાં હેરાન નહીં કરવા માંગ્યા હતા પૈસાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરના એક આસામી પાસે અરજીની તપાસમાં હેરાન નહીં કરવા માટે ખંભાળિયા નાકા પોલીસચોકીના કર્મચારીએ રૂ.૧૦ હજારની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી ગઈકાલે સાંજે રાજકોટ એસીબી સ્ટાફે પોલીસચોકીમાં જ છટકુ ગોઠવી આ પોલીસકર્મી વતી લાંચ લેતા બીજા કર્મચારીને રંગેહાથ ઝડપ્યા પછી બંનેની ધરપકડ કરી છે. કેટલાક મહિનાઓ પછી વધુ એક વખત પોલીસ કર્મચારી લાંચના છટકામાં ઝડપાતા ચકચાર જાગી છે.

જામનગર શહેરના એક આસામી સામે થોડા સમય પહેલાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા કોઈ બાબતે અરજી કરવામાં આવી હતી. તેની તપાસ ખંભાળિયા નાકા પોલીસચોકીને સોંપવામાં આવી હતી.

તે પછી આ વ્યક્તિને ખંભાળિયા નાકા પોલીસચોકી ના એએસઆઈ યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને તેઓને અરજીની તપાસમાં હેરાન ન કરવા અને લોકઅપમાં ન મૂકવા માટે તેમજ આ વ્યક્તિની અટકાયત કર્યા પછી બનતી ત્વરાએ મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવા માટે એએસઆઈએ રૂ.૧૦ હજાર ની લાંચની માગણી કરી હતી.

ત્યારપછી ગયા સોમવારે આ વ્યક્તિની અટકાયત કરી તેને નક્કી થયા પછી મામલતદાર કચેરીએ લઈ જતાં પહેલાં પૈસા આપી દેવા કહેવાતા આ વ્યક્તિએ રૂ.ર હજાર ત્યારે આપી દીધા હતા અને બાકીના રૂ.૮ હજાર પોલીસકર્મી ફોન કરે ત્યારે આપી જવા સૂચના અપાઈ હતી તે પછી આ વ્યક્તિએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યાે હતો. જેના પગલે રાજકોટ એસીબી કચેરીના પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે રાજકોટ એસીબી એકમના ડીવાયએસપી કેએચ ગોહિલની સૂચનાથી છટકુ ગોઠવ્યું હતું.

છટકાના ભાગરૂપે ગઈકાલે સાંજે જ્યારે આ વ્યક્તિને રૂ.૮ હજાર આપી જવા કહેવાતા અને તે રકમ ખંભાળિયા નાકા પોલીસચોકી ના હે.કો. પુષ્પરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજાને આપી દેવા કહેવાતા એસીબી સ્ટાફ ખાનગી વસ્ત્રમાં છટકાની કામગીરી માટે ગોઠવાઈ ગયો હતો. પૈસા આપવા માટે ઉપરોક્ત વ્યક્તિ જ્યારે પોલીસચોકીમાં ગયા ત્યારે હે.કો. પુષ્પરાજસિંહે તે બાબતની વાત કર્યા પછી રૂ.૮ હજાર સ્વીકારતા જ એસીબી સ્ટાફ ધસી આવ્યો હતો અને સ્થળ પરથી હે.કો. પુષ્પરાજસિંહ, એએસઆઈ યુવરાજસિંહની અટકાયત કરી લીધી હતી. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh