Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુવિધા વિહોણી, શિક્ષકોની અછત વચ્ચે, અને ઓરડાઓની ધટવાળી શાળાના પ્રવેશોત્સવમાં કેમ કોઈ મહેમાન બનતું નથી ?
જામનગર તા. ૨૫: સમગ્ર રાજયમાં નાના બાળકો શાળાએ શિક્ષણ માટે આવવા પ્રેરાય તેવા શુભ હેતુસર દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકારી ધોરણે, તમામ સરકારી વિભાગના અધિકારીઓ સંલગ્ન થાય અને શાળાઓની જાત મુલાકાત લઈ શાળા પ્રવેશોત્સ્વમાં પ્રેરક ઉપસ્થિતિ આપે તેવી સૂચના/આદેશ આપવામાં આવે છે. અને દર વર્ષે જિલ્લા કલેકટરથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ જે તે શાળામાં જઈને શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બને છે.
શાળા પ્રવેશોત્સવ ખાસ કરીને ધોરણ ૧માં પ્રવેશતા નાના ભૂલકાંઓને અને તેમના વાલીઓને પ્રોસ્તાહિત કરવા માટેનો જ હોય છે, અને શાળા પ્રવેશોત્સવના આયોજનથી શાળામાં દરેક બાળક શિક્ષણ પ્રત્યે આકર્ષાય તેવો હેતુ હોય તે સ્વાભાવિક છે.
પણ...આ શાળા પ્રવેશોત્સ્વ રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા પછી આઠ-દસ દિવસ પછી યોજાય તે વિચિત્ર ગણી શકાય... એટલું જ નહીં.. આ શાળા પ્રવેશોત્સવ મોટાભાગે અને ખાસ કરીને રાજકીય નેતાઓ, ચૂંટણીના પ્રતિનિધિઓ માટે તો પ્રસિદ્ધિ અને ફોટો સેશનનો અવસર બની રહે છે.
શાળા પ્રવેશોત્સવમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ ચોક્કસ શાળાની મુલાકાત લેવાનું જ નક્કી કરતા હોય છે... કારણે કે જામનગર જિલ્લાની જ વાત કરીએ તો જિલ્લાની અનેક શાળાઓમાં પૂરતા ઓરડા નથી, શિક્ષકોની અછત છે, ટોયલેટ બ્લોક કે પીવાના પાણીની સુવિધા નથી, અરે....કયાંક તો વીજ જોડાણ પણ નથી...અર્થાત સુવિધાઓ વગરની શાળાઓમાં જઈને શાળા પ્રવેશોત્સવ ઉજવવાનું આ નેતાઓ ટાળતા હોય છે. તેઓ તો અપ ટુ ડેટ શાળાઓમાં જઈને મોંઘેરા મહેમાન બનવા જ માંગતા હોય છે.
ખરેખર તો.... આવી, સુવિધા વગરની શાળાઓની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિ જાણી, સુવિધાની પૂર્તિ કરવાનો પ્રયાસ થાય તો સાચા અર્થમાં શિક્ષણને પ્રોસ્તાહિત કર્યાનું પુરવાર થાય...શાળા પ્રવેશોત્સ્વના ગુણગાન ગાનારાઓ, રાજ્યના શિક્ષણ જગતના વિવિધ બીન રાજકીય સંગઠનના હોદૃેદારો, વગેરેએ શાળા પ્રવેશોત્સવ પછી આખા વર્ષ દરમ્યાન શાળામાં કેવું શિક્ષણ મળી રહ્યું છે ? બાળકાની શું હાલત છે ? સુવિધાઓમાં શું સુધારો થયો ? ડ્રોપ આઉટ રેશિયો વધ્યો કે ઘટ્યો ? જેવા પ્રશ્નો અંગે ક્યારેય ચિંતન કે ચિંતા કરી નથી...અને એટલે જ કદાચ ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પછાત જ રહ્યું છે !
આવતીકાલથી ત્રણ-ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવના ઢોલ-નગારા ગુંજતા રહેશે..ફોટો સેશન થશે...મીડિયામાં પ્રસિદ્ધિ થશે...મીઠા મીઠા શબ્દોમાં પ્રવચનો થશે....વિકાસની વાતો થશે...પણ શાળા પ્રવેશોત્સવના આયોજનનો શુભહેતુ વાસ્તવિક રૂપે સફળ થતો નથી એ હકકીત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial