Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતી આફતોને પહોંચી વળવા ઈમરજન્સી એકશન પ્લાન તૈયાર કરવા સૂચનાઃ
જામનગર તા. ૧૧: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સૂર્યપ્રકાશ પાંડે અને તેમની દિલ્હીની ટીમે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાની ડીઝાસ્ટર પ્રીપેડનેસ સંબંધિત કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી એક્શન પ્લાન અંગે એનડીએમએની ટીમને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકશ્રી વી.કે.ઉપાધ્યાય દ્વારા સમગ્ર જિલ્લાના તથા ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ દ્વારા જામનગર શહેરના ડિઝાસ્ટર પ્લાન અને તેની કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી હતી.
જેમાં જામનગર જિલ્લાની ભૌગોલિક અને ઔદ્યોગિક સ્થિતિ અંગે જાણકારી, જામનગર જિલ્લામાં આપદાઓને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતી મોકડ્રીલ, અર્લી વોર્નિંગ્સ, તાલીમો, જાગૃતતા અભિયાન વિષે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનજીઓ તથા નજીકના જિલ્લાઓ સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી, મ્યુચ્યુઅલ એઇડ સ્કીમ્સ, ગામડાઓમાં સલામત શેલ્ટર હોમ્સની ઓળખ, પ્રિ-મોન્સુન પ્લાનિંગ, જિલ્લા કંટ્રોલરૂમ, તાલુકા લેવલ કન્ટ્રોલ રૂમ અને રિસ્પોન્સ, વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી, કોમ્યુનિટી અવેરનેસ અને સ્કુલ સેફટી પ્રોગ્રામ્સ, આપદા સમયને પહોચી વળવા આરોગ્ય અને તત્કાલીન સેવાઓ, વાઇટલ ઈંસ્ટોલેશન્સ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એનડીએમએના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સૂર્યપ્રકાશ પાંડેએ લગત અધિકારીશ્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લો ઔદ્યોગિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતો હોવાથી ઔદ્યોગિક એકમો તથા મોટી ફેકટરીઓ અને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તથા સમયાંતરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કુદરતી આફતો સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગેની મોકડ્રીલ કરવામાં આવે. તેમજ આપદામિત્રો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ તથા જાહેર જનતા માટે પણ સ્વ બચાવ અંગેની તાલીમોનું આયોજન કરવું જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી શકાય. તેઓએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અપદાઓ સમયે લેવાની થતી તકેદારી અંગે સચોટ ઈમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ચોમાસામાં જામનગર જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે લોકોને માહિતગાર કરવા, ચેકડેમ, તળાવો, ડેમ રીપેરીંગ કરાવવા, ફાયર સેફટી તથા અન્ય સંસાધનોની ચકાસણી કરવી, પોર્ટની સુરક્ષા વધારવી, પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા ગામોમાં બોટ, લાઈફ જેકેટ વગેરેની સગવડો ઉપલબ્ધ રાખવા તથા આપદામાં આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ નેશનલ ડીઝાસ્ટર એલર્ટ એપ *સચેત એપ*નો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ હોય કટોકટીના સમય દરમિયાન તંત્રને મદદરૂપ થઇ શકે તે માટે તેઓ સાથે બેઠક યોજવા જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સૂર્યપ્રકાશ પાંડેએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં એનડીએમએની ટીમના ઉપસચિવ શ્રીતામા સામંતા, કમાંડન્ટ આદિત્ય કુમાર કન્સલ્ટન્ટ (એમઈ-આઈઆરએસ એન્ડ કોસ્ટલ રિજીયન), જોઈન્ટ એડવાઈઝર (સીબીટી) રાજેશ પટેલ, જીએસડીએમએના સિનિયર કન્સલ્ટન્ટ અંકિતા પરમાર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગર મરીન નેશનલ પાર્ક નાયબ વન સંરક્ષક રવીપ્રસાદ, જામનગર વન વિભાગ નાયબ વન સંરક્ષક રાધિકા પડસાલ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial