Advertisement
Author: નોબત સમાચાર

વાહન પાર્ક કરવાના મુદ્દે બોલાચાલી પછી બે ભાઈ પર છરી વડે ચાર શખ્સ દ્વારા કરાયો પ્રાણઘાતક હુમલો

ભાગમાં વાડી વાવતા યુવાને પૈસા માંગતા વાડી માલિક સહિત બે તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સવારે વાહન રાખવાની બાબતે એક પ્રૌઢ સાથે રિક્ષાચાલકને થયેલી બોલાચાલી પછી પ્રૌઢે પોતાના બે ભત્રીજાને ફોન કરીને બોલાવ્યા હતા અને રિક્ષાચાલકે પણ ત્રણ શખ્સને આવી જવાનું કહ્યું હતું. તે પછી સ્થળ પર થયેલી ઝપાઝપીમાં પ્રૌઢના બંને ભત્રીજાઓને છરીથી ઘા ઝીંકવામાં આવ્યા હતા. પોલીસે હત્યા પ્રયાસની કલમો હેઠળ ગુન્હો નોંધી ચાર હુમલાખોરોના સગડ દબાવ્યા છે. ઈજાગ્રસ્ત બંને યુવાન જામનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્રો છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સવારે દસેક વાગ્યે અજીતસિંહ પરમાર નામના પ્રૌઢ તથા તેમના ભાભી મનહરબા મહિપતસિંહ પરમાર શાક બકાલુ લેવા માટે ગયા હતા. જ્યાં તેઓને વાહન રાખવા બાબતે જીજે-૧૦-ટીડબલ્યુ ૫૮૦૯ નંબરની રિક્ષાના ચાલક સાથે બોલાચાલી થઈ હતી.

આ વેળાએ રિક્ષાચાલકે અજીતસિંહને ગાળો ભાંડતા તેઓએ પોતાના ભત્રીજા અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ પરમાર અને ગુલાબનગરમાં શ્યામ ટાઉનશીપમાં રહેતા અને ડીઝલ પંપના રીપેરીંગનું કામ કરતા અમરદીપસિંહ મહિપતસિંહ પરમારને બોલાવ્યા હતા. જ્યારે રિક્ષાચાલકે પણ ફોન કરીને કેટલાક વ્યક્તિઓને આવી જવાનું કહ્યું હતું.

ત્યારપછી સ્થળ પર પહોંચેલા અનિરૂદ્ધસિંહ અને અમરદીપસિંહ સાથે રિક્ષાચાલક તથા પચ્ચીસેક વર્ષના બે શખ્સ અને પચ્ચાસેક વર્ષના ચોથા શખ્સે ઝપાઝપી શરૂ કરી હતી. તે દરમિયાન એક અજાણ્યા શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી અનિરૂદ્ધસિંહને કુલાના ભાગે તેનો ઘા ઝીકી દીધો હતો. વચ્ચે પડેલા અમરદીપસિંહને છાતીમાં છરી હુલાવી દીધી હતી.

સરાજાહેર બનેલા ઉપરોક્ત બનાવમાં ટોળુ એકઠું થઈ ગયું હતું. અનિરૂદ્ધસિંહ તથા અમરદીપસિંહ લોહીલુહાણ બની ગયા હતા. અમરદીપસિંહના પેટમાં નીચેના ભાગે છરી મારી દેવામાં આવી હતી. કોઈએ પોલીસને જાણ કરતા સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડીસાંજે અમરદીપસિંહે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.એ. ચાવડાએ જીવલેણ હુમલો કરનાર ચારેય આરોપીઓની સામે ગુન્હો નોંધાવી આરોપીઓની શોધ આરંભી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્ત અમરદીપસિંહ તથા અનિરૂદ્ધસિંહ જામનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી મહિપતસિંહ પરમારના પુત્રો છે. તેમના પર વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થયેલા હુમલાએ ચકચાર જગાવી છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામમાં પંચાયત ઓફિસ પાસે રહેતા રાજેશભાઈ દેવાભાઈ સરવૈયા નામના યુવાન ત્યાં જ આવેલી લાલજીભાઈ સવજીભાઈ કનેરીયાની વાડી ભાગમાં વાવવાનું કામ એકાદ વર્ષથી કરતા હતા. તેના હિસાબમાંથી રાજેશભાઈને પૈસાની જરૂર પડતા તેઓએ મંગળવારે લાલજીભાઈને પૈસા આપવાનું કહી બપોરે ત્રણેક વાગ્યે ઉઘરાણી કરી હતી.

આ વેળાએ ઉશ્કેરાયેલા લાલજીભાઈ તથા રવિ નામના શખ્સોએ ધોકાથી રાજેશભાઈ પર હુમલો કર્યાે હતો. રવિએ તેઓને પકડી રાખ્યા હતા અને લાલજીભાઈએ ધોકાથી પગમાં ફટકા મારતા રાજેશભાઈનો ડાબો પગ ભાંગી ગયો છે. ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh