Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર સહિત રાજ્યમાં વ્યાજખોરોની ક્રૂરતાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણાં જ ઊંચા વ્યાજે લોકોને ગેરકાયદે નાણાની ધીરધાર કર્યા પછી મુદ્લ કરતા અનેકગણુ વ્યાજ વસૂલ્યા પછી અને મૂળ રકમ પણ ભરપાઈ કરી દીધા પછી પણ તોતિંગ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને ધાકધમકી આપીને કે માર-કૂટ કરીને જમીન, માલ-મિલકત કે આભૂષણો જેવી કિંમતી ચીજો હડપી લેવાની વ્યાજંકવાદીઓની મોડસ ઓપરેન્ડી હોય છે.
ગઈકાલે જ ગુજરાતના પાટણ જિલ્લાની એક ઘટનાના સમાચારે આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી અને તેના રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, કારણ કે સામાન્ય રકમની ઉઘરાણીમાં એક વ્યાજખોરે જે કૃત્ય કર્યું, તે માત્ર સરકાર જ નહીં, પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આ જ પ્રકારની ઘટનાઓ જો વધતી રહેશે, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર કાળુ કલંક અને શાસન-પ્રશાસનની ઘોર નિષ્ફળતા જ ગણવી પડે તેમ છે, કારણ કે જો નરાધમોને કાયદાનો ડર જ નહીં રહે, તો સામાજિક સમતુલા અને સુરક્ષા તદ્ન ભાંગી પડશે.
ગુજરાતના પાટણ જિલ્લાના ખાલકપુરા ગામની એક મહિલાએ વ્યાજખોર પાસેથી ઘરખર્ચને પહોંચી વળવા માટે પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. તે પછી આ મહિલા પાસે વ્યાજખોરે ઉઘરાણી કરી, તો મહિલાએ થોડો વધારે સમય માંગ્યો, તો વ્યાખજરોે એ મહિલાને કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી, અને તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થઈ ગયું. તેણીના મૃત્યુ પહેલા પોલીસે તેણીનું મૃત્યુ પહેલાનું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) નોંધીને તપાસ હાથ ધરી છે. આ વ્યાજખોરને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવી રાજ્યવ્યાપી માંગ પણ ઊઠી રહી છે.
આ કમકમાટીભરી અને નિંદનિય ઘાતકી ઘટનાના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તંત્ર તથા સમાજ સામે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. આટલી નજીવી રકમ માટે કોઈનો આટલી ક્રૂરતાથી જીવ લઈ લેવો, એ કાયદો-વ્યવસ્થા સામે તો એક પડકાર છે જ, પરંતુ આ પ્રકારની ક્રૂરતાભરી દયાહીન માનસિક્તા સમાજમાં પનપી રહી હોય તો તે સભ્યસમાજ સામે પણ લાલબત્તી છે. આટલા કડક કાયદાઓ હોવા છતાં જો વ્યાજખોરો અંકુશમાં રહેતા ન હોય અને રોજ-બ-રોજ આવી ઘટના બનતી રહેતી હોય તો તે રાજ્યના ગૃહવિભાગ અને રાજ્ય સરકાર માટે પણ લાંછન સમાન છે.
એક તરફ રાજ્યભરમાં ઠેર-ઠેર પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશો ચલાવાઈ રહી છે, અને જનજાગૃતિ માટે પ્રયાસો વધારાયા છે તથા વ્યાજખોરોને વીણી વીણીને પાઠ ભણાવવાના દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી નથી, તેથી આ બદી ડામવા માટે વધુ કડક કાયદા સાથે સામાજિક જાગૃતિ અને લોકોને જરૂર પડ્યે પાંચ-પચીસ હજાર જેવી રકમ સહકારી ક્ષેત્ર કે કોઈ સોશિયલ ફંડ ઊભુ કરીને ત્યાંથી ટૂંકી મુદ્ત માટે ઉછીની મળી રહે, તેવી કોઈ વ્યવસ્થા સમાજ-સરકારના સહિયારા સંયોજનથી થાય, તે અત્યંત જરૂરી છે.
એવું કહેવાય છે કે, પાટણની ઘટનાનો મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. તે ઉપરાંત વિપક્ષી વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાણો પડ્યા છે. વ્યાજખોરો કાંઈ સીમાપારથી આવતા નથી, તેઓ આપણી (સમાજની) વચ્ચે જ રહે છે અને સમાજની નજર સામે જ આ પ્રકારની ક્રૂરતા કરે છે. એવા અનેક દૃષ્ટાંતો રાજ્યભરમાંથી સંભળાય છે, જેમાં વ્યાજખોરોએ તોતિંગ વ્યાજની સામે જમીન, ખેતર, મકાન કે અન્ય સ્થાવર-જંગમ મિલકત પડાવી લીધી હોય. ઘણાં લોકો વ્યાજખોરોને કાયદાનો ડર ન હોવા પાછળ કોઈ મજબૂત અદૃશ્ય પીઠબળ અને સાઠગાંઠની આશંકાઓ પણ વ્યક્ત કરતા હોય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ અંગૂલીનિર્દેશ થતો હોય છે.
જો પોલીસતંત્રના સંનિષ્ઠ પ્રયાસો અને સામાજિક જાગૃતિના પૂરપૂરા પ્રયત્નો છતાં જો આ ક્રૂર ગુનાખોરી અંકુશમાં આવતી ન હોય, તો સમાજોને સ્થાનિક ધોરણે વ્યાજખોરોના સામૂહિક બહિષ્કાર અને હિંમતપૂર્વકના પ્રતિકારની સાથે સાથે વ્યાજખોરો સામે લોકો વધુ મુક્તમને ફરિયાદ કરી શકે, તે માટે ગામે-ગામ અને શહેરોના પ્રભાવિત વિસ્તારોમાં અવારનવાર વ્યાજખોરમુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ. સરકારે પણ આ પ્રકારના કૃત્યોનો અસાધારણ કે માનવતા વિરોધી ગુન્હો ગણીને (આતંકવાદી કે ઉગ્રવાદી-અલગતાવાદી સામે થાય છે તેવી) કડક કાનૂની કાર્યવાહી થઈ શકે, તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ જેવો કડક કાયદો બનાવવો જોઈએ.
એવું નથી કે સરકાર, સમાજ કે પોલીસતંત્ર આ મુદ્દે કોઈ પ્રયત્નો જ કરતા નથી, પરંતુ આ તમામ પ્રયાસોને મજબૂત કાનૂની પીઠબળ મળે, તે માટે અત્યંત કડક કાયદાની જરૂર છે અને તે ઉપરાંત ગામેગામ વ્યાજખોરો સામે લોકઆંદોલનો તથા વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે. સરકારની પ્રવર્તમાન વ્યાજખોરી વિરૂદ્ધની કડક ઝુંબેશો છતાં નિર્દય વ્યાજખોરોને અંકુશમાં લઈ શકાતા ન હોય તો 'લિકેજ' ક્યાં છે, તે શોધવું પડેે તેમ છે. આ રાજ્યવ્યાપી મુદ્દો ગુજરાતના સાંસદો આગામી સંસદીય સત્રમાં સંસદમાં પણ ઊઠાવશે, ધારાસભ્યો વિધાનસભામાં પણ ઉઠાવશે અને સ્થાનિક કક્ષાએ પણ રાજનેતાઓ 'વગદાર' વ્યાજખોર કૂચક્રને ભેદવા કટિબદ્ધ થશે તે ઉપરાંત લોકોને નાની-નાની રકમની લોન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થાય, તેવી કોઈ સામાજિક વ્યવસ્થા થશે, તો આ દૂષણ સામે પરિણામલક્ષી લડત આપી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial