Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ૮૦ મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે, અને જામનગર, હાલાર, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવાયો છે, અને આન-બાન-શાનથી આપણાં દેશનો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે પૂર્વ સંધ્યાએ દેશમાં ત્રિરંગી રોશની ઝળહળી ઊઠી હતી, અને આજે દેશભરમાં આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લ્હેરાઈ રહ્યો છે. એટલું જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, ત્યાં તથા ભારતીય દૂતાવાસો તથા ભારતીય યુનિટો-વૈશ્વિક પ્રોજેક્ટોમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાઈ રહ્યું છે. જામનગરનો ભૂજિયો કોઠો પણ નવીનિકરણ પછી સ્વાતંત્ર્ય પર્વ ત્રિરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની સાથે રણમલ તળાવ તથા મહાનગરની નાની-મોટી તમામ ઈમારતો, મંદિરો, સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, સમાજવાડીઓ વિગેરે તિરંગી રોશનીથી ઝળહળી ઊઠતા એક અલગ જ આભા પ્રગટી હતી.
ગઈકાલે જ રાષ્ટ્રપતિએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ૭૮ વીરતા પૂરસ્કારો અને ૮૯ મેન્શન ઈન ડિસ્પેચિસને મંજુરી આપી છે. ૧૯ જવાનોને શૌર્યચક્ર અને ૯ ને કીર્તિચક્રોથી સન્માનિત કરાશે. આ સન્માનો પૈકી ૧૩ પુરસ્કારો મરણોપરાંત અપાશે. આ પુરસ્કારો આપણી ખમીરવંતી ભારતીય સેનાની ત્રણેય પાંખ ઉપરાંત ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત સુરક્ષાદળોના જવાનોને અપાતા હોય છે.
આપણાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરાગત રીતે ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતી વેળાએ પણ ભારતીય સેના અને સશસ્ત્ર સુરક્ષાદળોની પ્રશંસા કરી અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને આતંકવાદીઓને તેના કુકૃત્યનું પરિણામ પણ ભોગવવું પડશે, તેવો કડક સંદેશ આપ્યો, અને આતંકવાદીઓ દુનિયામાં ક્યાંય પણ છૂપાયા હોય, તો તેને તથા તેના સમર્થકોને પણ પરિણામો ભોગવવા પડશે, તેવી ચીમકી આપીને પાકિસ્તાનને પણ પરોક્ષ રીતે વોર્નિંગ આપી હતી, અને તેમાં કદાચ ગઈકાલે જ પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને સિંધુ જલ સંધિના મુદ્દે આપેલી ધમકીનો જવાબ પણ હતો. રાષ્ટ્રપતિએ સંબોધનમાં નક્સલવાદ નાબૂદી, ખેડૂતોના હિતો તથા પેપરલીક જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવવાની પરંપરા નિભાવી હતી.
આ વર્ષે લાલકિલા પરથી વડાપ્રધાને આપણા દેશની આન-બાન-શાન, ગરિમા અને જુસ્સાદાર દેશભાવનાઓ સાથે તિરંગો લ્હેરાવીને સતત ૧૩ મી વખત સલામી આપી, તેની સાથે સાથે એક નવી ઐતિહાસિક પરંપરા પણ આજથી ઉમેરાઈ હતી, અને ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન જન-ગણ-મનની સાથે સાથે 'વંદે માતરમ્' રાષ્ટ્રગીત પણ ગૂંજ્યું, અને આ રાષ્ટ્રગીતને ૧પ૦ વર્ષ થયા, તેની ગરિમાગાથા પણ વર્ણવાઈ, તે આજના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની લાલકિલ્લા પર થયેલી ઉજવણીની ઐતિહાસિક વિશેષતા પણ હતી.
આજે લાલકિલ્લા પરથી ધ્વજવંદન પહેલા રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ગૂંજ્યું અને વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રગાન 'જનગણ મન'ની રાષ્ટ્રધૂન સો તિરંગાને સલામી અપાઈ, ત્યારે એક ગૌરવપ્રદ દૃશ્ય ખડું થયું હતું, અને એક અતૂટ, અખંડ અને આધુનિક ભારતના દર્શન થયા હતાં. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રવચનમાંથી પણ વિકસિત ભારતનો સંકલ્પ તથા ભારતની વિવિધતામાં એક્તાની તાકાત તથા આધુનિક ભારતની ગરવી વિકાસયાત્રા, ૧૪૦ કરોડ દેશવાસીઓનું સામર્થ્ય તથા ભારતીયોની ગૌરવગાથા પ્રગટી હતી.
વડાપ્રધાને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, નળથી જળ, ગેસ કનેક્શન, શૌચાલયો, ગવર્નન્સમાં બદલાવ, જુના કાયદાઓને અલવીદા, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, આપદાઓ અને વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ ઈકોનોમીની આગેકૂચ, મેઈક ઈન ઈન્ડિયા, વોકલ ફોર લોકલ, સેમીકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ કોરિડોર, ચીપ, એ.આઈ., ડેટા સેન્ટર, એનર્જી સિક્યુરિટી, પરમાણુ ઊર્જા, શાંતિ અક્ટી, પાંચ નવા પરમાણુ મથકો, ઈંધણ, પરંપરાગત ઊર્જા, દરિયામાં તેલભંડારોની ખોજ માટે સમુદ્રમંથન, વૈકલ્પિક ઊર્જા, પવન ઊર્જા, સૂર્ય ઉર્જા, સુર્યઘર યોજના, રેલવેનું આધુનિકરણ, હાઈડ્રોજન ટ્રેન, વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય, કોરોના-યુદ્ધની વિભિષિકા, વૈશ્વિક અશાંતિ, ખેડૂતોને સંબંધિત યોજનાઓ, એફપીએ અને ટ્રેડ એગ્રીમેન્ટ્સ, એમએસએમઈઝ, ટેક્સટાઈલ્સ, દરિયાઈ ેખેતી (મત્સ્યોદ્યોગ), વર્ક કલ્ચરમાં બદલાવ, રિફોર્મ્સ, શક્તિની સપ્તધારા, મેન્યુફેક્ચરીંગ, કૃષિ ફૂડ પ્રોસેસીંગ, ગ્લોબલ માર્કેટ, કોમ્યુનિકેશન ટેકનોલોજી, ગતિશક્તિ, પોર્ટ લેડ ડેવલપમેન્ટ, રક્ષાશક્તિ, ગ્રીન એન્ડ બ્લ્યુ ઈકોનોમી, સોફ્ટ પાવર, યોગા, બેન્કીંગ, ફાર્માસેક્ટર, વિકસિત ભારતના લક્ષ્યમાં યુવાઓનું યોગદાન, રિસર્ચ, સસ્તો ડેટા, સ્પેસ સેક્ટર, ખેલો ઈન્ડિયા, શૈક્ષણિક વિકાસ, સાઈન્સ ટેકનોલોજી, એક કરોડ યુવાનોને એ.આઈ.ની ટ્રેનિંગ, બાયો-ઈકોનોમી, ડ્રોન દ્વારા યોજનાકીય અમલિકરણ, ફ્રી ઓનલાઈન કોચીંગ, ખેલજગત માટે નવી યોજનાઓ, કોમનવેલ્થ, ઓલિમ્પિક, ટેલેન્ટ હન્ટ, નશામુક્ત ભારત, દિમાગી નક્લવાદ નાબૂદી, આતંકવાદ સામે પડકાર, સીમાપારના પડકારોને પછાડવાનો નિર્ધાર, મિશન સુદર્શન ચક્ર, મહિલાશક્તિ, મહિલા આરક્ષણ બિલ, વસ્તીગણત્રીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, એક દીપ સે જલે દીપ હજારો...
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારતને આપેલી ધમકીના સંદર્ભે સિંધુ જલ સંધિનો ઉલ્લેખ કરીને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સણસણતો જવાબ આપતા રણકાર કર્યો છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને સિંધુ જળ સંધિ હેઠળની નદીમાંના જળ પર પહેલો હક્ક છે. તેમણે સિંધુ જળ સંધિ જ રદ કરવાની માંગણી ઊઠાવતા 'સુપર વચન'નો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર પણ વ્યંગ કર્યો હતો.
આજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીની ગરિમા સાથે ધ્વજવંદન સાથે જ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. તેવી જ રીતે ગુજરાત તથા દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાજ્યોની રાજધાનીઓમાં ધ્વજવંદન કરાવ્યું. અને કેન્દ્રિય મંત્રી મંડળના સભ્યો, વિવિધ રાજકીય પક્ષોના વડાઓ, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ અને દૂતાલયો-દૂતાવાસો તથા ક્યાંક દરિયામાં, ક્યાંક પહાડીઓ ઉપર, હિમાલયથી વિવેકાનંદ રોડ અને કીર્તિમંદિરથી પૂર્વાચલ સુધી ઠેર-ઠેર ત્રિરંગો લ્હેરાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
આજે સ્વાતંત્ર્ય પર્વના ગૌરવપ્રદ દિવસે હાલાર, ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ તથા વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને નોબત પરિવાર અને માધવાણી પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial