જામનગર તા. ૨૩ઃ કલ્યાણપુરના ભાટવડીયા ગામના સ્મશાન પાસે શનિવારે સાંજે બે બાઈક ટકરાતા બે વ્યક્તિ ઘવાયા હતાં. પોલીસે એક બાઈકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામ પાસેથી શનિવારે સાંજે રાવલ ગામના રામાભાઈ કાનાભાઈ જમોડ (ઉ.વ. ૬૩) અન્ય એક વ્યક્તિ સાથે જીજે-૩૭-એ-૩૪૦૯ નંબરના મોટરસાયકલમાં જતા હતાં.
સ્મશાન પાસે સામેથી જીજે-૧૦-સીએ-૭૫૦૫ નંબરનું અન્ય એક મોટર સાયકલ પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે રામાભાઈના બાઈક સાથે અકસ્માત સર્જતા ઈજાઓ પામેલા બન્ને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે રામાભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આરંભી છે.