Advertisement
Author: નોબત સમાચાર

ચાલો ઉજવીએ... ગણેશ જયંતી

ગણેશ ઉપાસનામાં ચતુર્થીને વિશેષ મહત્ત્વ છે. ગણપતિના બે મુખ્ય ઉત્સવો છે. ગણેશ ચતુર્થી અને ગણેશ જયંતી. તે ભાદરવા અને મહા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીએ ઉજવાય છે.

બધા જ દેવોનો જન્મ દિવસ એક જ ઉજવાય છે. જયારે ગણપતિના બે જન્મદિવસ મનાવાય છે. પુરાણના મતપ્રમાણે, એક દિવસ માતા પાર્વતીજી સ્નાન કરવાં બેઠા હતા. ત્યારે ગણપતિજીને દરવાજા પર અંદર કોઈ વ્યકિત પ્રવેશ ન કરે તેના માટે ઊભા રાખ્યા હતા. પરંતુ ત્યાં જોગાનુ જોગ શિવજી પધાર્યા, દ્વાર પર ઉભેલા ગણપતિજીએ શિવજીને અંદર પ્રવેશ આપ્યો નહીં. આથી શિવજી અને ગણપતિજી વચ્ચે યુદ્ધ થયું. શિવજીએ ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું આથી પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યાં. શિવજીએ પાર્વતીજીને આશ્વાસન આપ્યું અને તેમણે આદેશ કર્યો જાવ જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવો. સૌ પ્રથમ હાથી મળ્યો આથી શિવજીએ હાથીનું મસ્તક લઈને ગણેશજીના ધડ પર બેસાડી દીધું અને ગણેશજીને સજીવન કર્યા ત્યારથી ગણેશજી ગજાનન કહેવાય છે.

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજી સજીવન થયા ત્યારથી ગણેશજીના બે જન્મદિવસ મનાવાય છે.

મહાસુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ, મહાસુદ ચોથને તિલકુંદ ચતુર્થી કે વરદ ચતુર્થી કહેવાય છે. ગણેશ જયંતી કે ગણેશ જન્મ દિવસ તરીકે પણ ઓળખાય છે.

આ દિવસે તલ અને કુંદથી ગણેશજીની પૂજા કરવાનો અનેરો મહિમા છે.

મહાસુદ ચોથનાં દિવસે કાશીમાં ઢુંઢીરાજ એવા ગણેશજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

સામાન્ય રીતે ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી માનવામાં આવે છે અને તે દિવસે ગણેશજીનો જન્મોત્સવ ઉજવાય છે. બીજો મત એવો છે કે મહાસુદ ચોથ કે જે ગણેશ જયંતી તરીકે ઓળખાઈ છે તે ઉજવવો જોઈએ.

ગણેશજીનો જન્મોત્સવ ભાદરવા માસમાં જ કરવો યોગ્ય છે. મહાસુદ ચોથે નહીં કારણ કે ભાદ્રપદ માસની શુકલ પક્ષની ચોથ મધ્યાનવ્યાપીની છે. આ દિવસે પૂજામાં ઉપવાસનું વિધાન નથી અને મોદકનું મુખ્ય નૈવેધ કરવાનું વિધાન છે એ ગણેશજીના આ દિવસે થયેલા અવતારનું નામ સિદ્ધિવિનાયક છે.

જયારે માધ માસના શુકલ પક્ષની ચોથ પ્રદોષવ્યાપીની એટલે કે સાંજે લાભ આપનારી છે. તે દિવસે ઉપવાસનું વિધાન છે.

આમ શાસ્ત્રોકત વિધિમાં આવેલું સિદ્ધિવિનાયકનું વર્ણન, મોદકનું નૈવેધ વગેરે બાબતોના આધારે ભાદ્રપદ માસની શુકલ ચતુર્થી એ જ ગણેશ જન્મોત્સવ માટે યોગ્ય દિવસ છે. એવો પંડિતોનો અભિપ્રાય છે.

ભાદ્રમાસમાં ગણેશપૂજાનું મહત્ત્વ એ રીતે પણ સિદ્ધ થાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે વરસાદ ખૂબ જરૂરી છે. ભાદ્રપદ માસ વર્ષાઋતુમાં આવે છે. વર્ષા સંબંધી સર્વ અનિશ્વિતતા અને અનિષ્ટોના નિવારણ દ્વારા ચિંતામુકત થવા અને રહેવા અને સર્વ પ્રકારની અનુકૂળતા માટે ગણેશને પ્રાર્થના કરવા માટે આ ઋતુમાં ગણેશ પૂજન યોજવું વધુ અર્થપૂર્ણ છે.

આમ ભાદ્રપદ ચતુર્થીએ ગણેશોત્સવ ઉજવીએ છીએ. મહામાસની શુકલ પક્ષની ચતુર્થીએ તલ, દુર્વા (ધરો), સિંદુર ગોળ, લાડું, લાલ રંગના પુષ્પોથી ગણેશજીની પૂજા કરીને તેમની કૃપાના ભાગીદાર બનીએ.

છેલ્લે શ્રી ગણેશે સિંદુર દૈત્ય પર વિજય મેળવ્યો એ દિવસ પણ ભાદ્રપદ શુકલ ચતુર્થીનો હતો. મહારાષ્ટ્રના મોરગાંવમાં એક ગણેશ ભકત વામન ભટ્ટના ઘેર મહાસુદ ચોથને દિવસે પુત્ર જન્મ્યો એટલે ગણપતિના નામ પરથી તેનું નામ મોરયા પાડયું. મોરયા ગોસાવી ગણેશ ભકત હતા. તેમણે પણ ગણેશજીની ઉપાસના કરી. તે ગણેશના પરમભકત થઈ ગયા. ગણેશજી સાથે અનન્ય ભકત મોરચાનું નામ જોડી દેવાયું અને રચાયું... ગણપતિ બાપ્પા.... મોરયા.

દિલીપ ધ્રુવ, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh