Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ પછીની બધી બાબતો માન્યતા અને અંધશ્રદ્ધા જ છે!ઃ જીવન એટલે શ્વાસથી શૂન્ય સુધીની સફર!
ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે જમને તેડાં ન હોય. બીજી કહેવત છે કે, ડોશી મરે તેનો વાંધો નથી, પરંતુ જમ ઘર ભાળી જાય. વધુ એક કહેવત છે કે હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો! અન્ય એક કહેવત છે કે, ચિંતા ચિતા સમાન છે. ધરતીને એક ઉપનામ તરીકે મૃત્યુલોક પણ કહેવામાં આવે છે. ચિંતકો અને ગુરૃજનોએ જીવનની સાથે મૃત્યુ ઉપર પણ બહુ ફિલોસોફી કરી છે. અહી ફિલોસોફીથી વધુ કઈં કરી શકાય તેમ નથી. મને પણ મૃત્યુની એન્જિઑગ્રાફી કરવા માટે બહુ ફંફોસવું પડ્યું!
જીવન એટલે શ્વાસથી શૂન્ય સુધીનો પ્રવાસ. માણસને આદિકાળથી અકળ રહસ્યોમાં વધુ રસ પડે છે. સરળ બાબતોમાં તે ઊંડો ઉતરતો નથી. જ્યાં અકળતા દેખાય ત્યાં ચોંટી પડે છે. ક્યારેક તે અંધશ્રદ્ધા સુધી પંહોચી જાય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા ભણેલા ગણેલા પણ જોઈ શકતા નથી.
જન્મ પછી શું? બધાને ખબર છે. મૃત્યુ પછી શું? કોઈને ખબર નથી. આમ છતાં આત્માની શાંતિ માટે અસંખ્ય વિધિ વિધાનો પ્રચલિત છે. ધરતી ઉપર જીવતે જીવ ભટકતા લોકોના આત્માને શાંત કરવા માટે નહીં થતા હોય તેટલા પ્રયાસો મૃતાત્માને શાંતિ માટે કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિનો પાયો જ કરૃણા અને દયા ઉપર નિર્ભર છે. દરેક માન્યતા અને કર્મને કારણે અબોલ જીવોના ઉદ્ધાર માટે કરી છૂટવાની પ્રેરણા આપે છે. આ પૈકી મૃત પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ દરમિયાન છાપરા ઉપર કગડાને કાગવાસ નાખવામાં આવે છે. મોટું શ્રાદ્ધ હોય ત્યારે કાગડાઓને ખીર પૂરી પીરસવામાં આવે છે. બહુ શિક્ષિત લોકો પણ પિતૃઓ માટે આ કાર્ય કરતા જોવા મળે છે. શું કાગવાસ ખરેખર પ તિૃઓની શાંતિ માટે છે? માણસના મૃત્ય પછી નૉમિયું, દસમું અને વરશી સુધીની વિધિઓ કરવામાં આવે છે, જેથી મૃતકના આત્માને શાંતિ મળે અને ભવે ભવના ફેરામાંથી છૂટે. મૃત્યુના ૧૩ દિવસ સુધી આત્મા ધરતી ઉપર હોય છે તેવું શસ્ત્રો કહે છે. વિધિ વિધાન કર્યા પછી અનંત પરિભ્રમણ માટે આત્મા ચાલ્યો જાય છે.
કાશી
હિન્દુ શસ્ત્રો મુજબ કાશી અથવા વારાણસીનું મરણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસંખ્ય વૃદ્ધો મૃત્યુ પછી મોક્ષ મળે તે આશામાં જીવનની છેલ્લી અવસ્થા કાશીમાં વિતાવે છે. અંતિમ ક્રિયા માટે ત્યાં મણિકર્ણિકા ઘાટ પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે, અહી જેના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને સીધો મોક્ષ મળે છે. ૬૬ યોનીના ફેરામાંથી મુક્તિ મળે છે. આ ઘાટ ઉપર ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ચિતાઓ સળગતી જોવા મળે છે.
બનારસ કે કાશી તરિકે પણ જાણીતું વારાણસી શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વના સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.
વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક-વિશ્વેશ્વર-મંદિર આવેલું છે. આદિકાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્ત્વને કારણે જ ગુજરાતીમાં કહેવત છે કે ''સુરતનું જમણ અને કાશીનું મરણ.''
કાશી નગરમાં જીવનનો અંતિમ સમય પસાર કરવાથી મનને શાંતિ મળે છે અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાથી આત્માને શાંતિ મળે છે. અહી પાર્વતીની બહેન અને ભગવાન શંકરના સાળી માતા ગંગા નદી સ્વરૃપે વહે છે. ગંગાજી સ્વયં સ્વર્ગમાંથી અવતર્યા હોવાથી તેને મોક્ષ માટેના પર્યાય માનવામાં આવે છે. ભગવાન શંકર, માતા પાર્વતી એ અહી આગમન કર્યું હતું ત્યારે અનેક દેવી દેવતાઓ પણ ગંગા ઘાટે પધાર્યા હતા. કહેવાય છે કે, રામ સીતાના લગ્ન પ્રસંગે દેવી દેવતાઓનો જે જમાવડો હતો તેના કરતાં પણ ભવ્યાતિ ભવ્ય દિવ્ય હાજરી અહી જોવા મળી હતી. આથી માન્યતા છે કે, મોક્ષ મળવા માટે કાશીમાં મૃત્યુ જરૃરી છે. ધરતી ઉપર એક માત્ર આ સ્થળ એવું છે જે સ્વર્ગ સાથે સીધો નાતો ધરાવે છે.
કાશીમાં મૃત્યુ અને હરદ્વારમાં અસ્થિ વિસર્જનનું બહુ મહત્ત્વ છે. હરદ્વારમાં મૃત્યુનું મહાત્મ નથી, અહી અસ્થિ વિસર્જન પૂરતું જ મહત્ત્વ છે.
લોકોની અંતિમ ઈચ્છા કે મૃત્યુ ઈચ્છા પણ હોય છે. થોડા વર્ષો પહેલાં દ્વારકાના વતની અને હાલ મુંબઈમાં મેગા કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા ધનાઢ્ય વ્યક્તિના પિતાએ માંદગીના અંતિમ તબક્કામાં કૃષ્ણ ભૂમિ દ્વારકામાં દેહ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધનાઢ્ય પુત્રએ પિતાની અંતિમ ઇચ્છાને માન આપી તેમને એર એમ્બ્યુલન્સમાં દ્વારકા લાવ્યા અને પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી!
શાસ્ત્રો
સજ્જન લોકોને શાંતિથી મૃત્યુ મળે અને દુર્જનો પીડા મૃત્યુ પામે તેવી માન્યતા તદ્દન ખોટી છે. સજ્જન વ્યક્તિ પણ લાંબો સમય પીડા ભોગવી અંતિમ શ્વાસ લે અને દુર્જન હાર્ટ એટેકથી ક્ષણમાં મરી તેવું બની શકે. રામાયણમાં મારિચ નામનો રાક્ષસ હતો, તેણે આખી જિંદગી ઋષિ મુનિઓના હવનમાં હાડકાં નાખ્યાં, પરંતુ તે અચાનક એક બાણ લાગવાથી મરી ગયો! લાંબી કોઈ પીડા ભોગવી નહીં. બીજી તરફ મહાભારતમાં ભીષ્મ પિતામહ ૧૪ દિવસ સુધી બાણ સૈયા ઉપર કણસતા રહ્યા. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં શાંતિથી મૃત્યુ પામી શક્યા નહીં. વિભીષણ રાક્ષસ હોવા છતાં ક્યાંય તેના મૃત્યુનો ઉલ્લેખ નથી. હિન્દુ શસ્ત્રો મુજબ એક માત્ર હનુમાનજીને અમરત્વ પ્રાપ્ત થયું હતું. યુધિષ્ઠિર કૂતરા સાથે સ્વર્ગમાં પ્રવેશવા જાય છે ત્યારે ભગવાન ઇન્દ્ર તેને રોકીને કહે છે કે, અહી માત્ર મનુષ્યને જ પ્રવેશ છે,પ્રાણીઓને નહીં. એવી માન્યતા છે કે, તેથી કૂતરા આજે પણ જ્યારે યમને જોવે છે ત્યારે રોવે છે! ભગવાન શિવ એક માત્ર વ્યક્તિ જે, તે આદિ દેવ કહેવાય છે અને તેને જન્મ કે મૃત્યુ નથી.
હિન્દુ કેલેન્ડરમાં મૃતકો માટે ખાસ શ્રાદ્ધ માસ આવે છે. આ મહિના દરમિયાન મૃતકોને શાંતિ માટે વિવિધ કર્યો કરવામાં આવે છે.
માન્યતા
માનવી કોઈ પણ ધર્મમાં માનતો હોય, અભણ હોય કે શિક્ષિત હોય, સ્ત્રી હોય કે પુરૃષ, ધનિક હોય કે નિર્ધન, કોઈને કોઈ માન્યતાઓમાં બંધાયેલો હોય છે. કેટલીક માન્યતાઓ કામચલાઉ હોય છે તો કેટલીક જડતાથી ચોંટેલી હોય છે. માન્યતા અને અંધશ્રદ્ધાને બહુ નજીકનો સંબંધ છે. જન્મ પછીનું બધું સત્ય પરંતુ મૃત્યુ પછીની તમામ બાબતો માન્યતા આધારિત છે. જન્મ પછી બાળક રડતું હોય અને તેને ખોરાક આપીએ તો તે ખુશ થાય અથવા રડવાનું બંધ કરી દે તે હકીકત છે પરંતુ મૃત્યુ પછી પીપળે પાણી રેડવાથી કે કાગડાઓને કાગ વાસ નાખવાથી મૃતકનો આત્મા ખુશ થાય કે તેને શાંતિ મળે તે માન્યતા છે અથવા અંધશ્રદ્ધા છે!
મારા માનવા અનુસાર અને જાણકારી મુજબ મરણ પછીની બધી માન્યતાઓ કે ભ્રમણાઓ હિન્દુ ધર્મમાં સૌથી વધુ છે. બીજા ધર્મોમાં પણ વિધિ વિધાન હોય છે, પરંતુ તે બહુ જૂજ હોય છે અથવા બહુ જૂજ લોકો તેને અનુસરે છે. મૃત્યુ પછી થતાં ધાર્મિક કર્યો મૃતક કરતાં તેના જીવીત સંબંધીઓને વધુ શાંતિ આપે છે. આપણે લોકો હકીકત કરતાં માન્યતાને વધુ પ્રોત્સાહન આપીએ છીએ. હમણાં હમણાં એવા મિમ્સ બહુ ચલે છે કે, અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સને ત્યાં કોઈ પરલોક દેખાણું નથી, કોઈ દેવતા કે અલૌકિક જીવોની હાજરી જણાઈ નથી. ઉપર કોઈ સ્વર્ગ કે નર્ક નથી.
યમલોક
સૂર્ય પુત્ર યમરાજને હિન્દુ ધર્મમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે. યમરાજ મૃત્યુ પછી વ્યક્તિના આત્માને તેના કર્મો અનુસાર ઉપરોક્ત સ્થાન પ્રદાન કરે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિએ સારા કાર્યો કર્યા હોય તો તેના આત્માને સ્વર્ગમાં સ્થાન મળશે, જ્યારે, જો કોઈ વ્યક્તિએ ખરાબ કાર્યો કર્યા હોય તો તેના આત્માને નરકની યાતનાઓ ભોગવવી પડશે. યમરાજ ફક્ત વ્યક્તિને મૃત્યુ જ નથી આપતા પણ મૃત્યુ પછીની યાત્રા પણ નક્કી કરે છે. તે શનિદેવના ભાઈ પણ હતા. કહેવાય છે કે, માણસનો જીવ લેવા માટે ભગવાન ઇન્દ્રના પ્રતિનિધિ યમ પાડા ઉપર બેસીને આવે છે. યમ રાજાએ યુધિષ્ઠિર સાથે સ્વર્ગના દ્વારે આવેલા કૂતરાને પ્રવેશ નહોતો આપ્યો એટલે આજે પણ કૂતરા રોવે ત્યારે યમનું આગમન થયું હોવાનું માનવામાં આવે છે.
ભારતીય પૌરાણિક કથાઓમાં, યમને મૃતકોના દેવ, વેદોમાં તેમને મૃત્યુ પામેલા પ્રથમ માણસ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે મૃત્યુના માર્ગને ઉજાગર કર્યો હતો, તે પછીથી બધા માનવો અનુસરે છે. તે દક્ષિણ (મૃત્યુનો પ્રદેશ)ના રક્ષક છે અને મૃતકોના વિશ્રામ સ્થાનનું નેતૃત્વ કરે છે, જે પૃથ્વીની નીચે સ્થિત છે. વેદોમાં, યમને પાપોની સજા આપનાર તરીકે નહીં, પરંતુ મૃતકોના સારા અને ખરાબ કાર્યોનું વજન કરનાર ન્યાયાધીશ (ધર્મરાજા) તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમને લાલ આંખો અને લાલ વસ્ત્રો સાથે, લીલા કે કાળા દેખાવમાં ભવ્ય તરીકે વર્ણવવામાં આવ્યા છે. તે ફાંસો અને ગદા ધરાવે છે, જેને ખોપરીથી શણગારવામાં આવી શકે છે, અને ભેંસ પર સવારી કરે છે. ચાર આંખોવાળા કૂતરા તેના રાજ્યના પ્રવેશદ્વારની રક્ષા કરે છે, અને કાગડો અને કબૂતર તેના સંદેશવાહક તરીકે કાર્ય કરે છે. યમ તિબેટ, ચીન અને જાપાનમાં બૌદ્ધ પૌરાણિક કથાઓમાં પણ છે , જ્યાં તેઓ મૃતકોના નિવાસસ્થાનના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે.
જીવન બગીચાની વસંત જેવું છે, પાનખર પણ તેની નિયતિ છે. ૬૪ યોનિમાં માનવ દેહ માત્ર એકવાર જ મળે છે. માનવ અવતાર મળ્યો છે ત્યારે પવિત્ર કર્યો, સદવિચાર, ભાઈચારો, લાગણી, ઉપકાર અને જીવદયાની ભાવના રાખવી. અંતિમ ક્ષણે ધન, દૌલત, જમીન જાયદાદ કે વાડી વજીફા કઈં સાથે નથી આવતું. સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો. કફનમાં ખિસ્સું હોતું નથી.
અસ્તુઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial