ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.
બેઠકમાં સંકલન/ફરિયાદ સમિતિના મુદ્દા જેવા કે, લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્શન કેશ, અવેઈટ કેઈસ, સરકારી લ્હેણાની વસુલાત, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેઈસો, અન્ય ખાતાના સહકારના અભાવે કચેરીમાં બાકી રહેલ કેસોની વિગત વગેરે પ્રશ્નોનું નિવાસી અધિક કલેક્ટર કે.એમ.જાની દ્વારા વાચન કરવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેતા કેસોની ચર્ચા વિચારણા કરી લગત કચેરીઓને પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, તરફથી રજુ થયેલ પ્રશ્નોનો લગત વિભાગના અધિકારીઓને સંતોષકારક ત્વરિત નિરાકરણ કરવા કલેક્ટરએ જરૃરી સૂચનો કર્યા હતા.
કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યા ક્યા ગામોમાં? ક્યારે ક્યારે? કેટલું પાણી? વિતરણ કરવામાં આવે છે તે વિશે પણ લગત અધિકારી સાથે ચર્ચા કરી જરૃરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાઘેલા, કાર્યપાલક ઈજનેર પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, મામલતદારઓ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.