Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના નવા પ્રભારી સચિવ નિમાયા... હવે, નગર અને જિલ્લાની સાશ્વત સમસ્યાઓ ઉકેલાશે ખરી ?

                                                                                                                                                                                                      

ગુજરાત સરકારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજય ખરાડીની નિમણૂક કરી છે, તેઓ જામનગરમાં આ પહેલા મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે, તે સમયે શહેરના ઈન્ફ્રાસ્ટ્રકચરની સુધારણા અને સમસ્યાઓના નિવારણ માટે કેટલાક નોંધપાત્ર કામો કર્યા હતા, અને તેમની અનુભવી તથા વહીવટી કુશળતાનો લાભ આખા જિલ્લાને મળશે, અને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે મળીને જામનગર શહેર તથા જિલ્લાની દાયકાઓથી ચાલતી રહેલી જીદ્દી સમસ્યાઓ ઉકેલશે, એટલું જ નહીં, શહેર અને જિલ્લાની જનતાઓની અપેક્ષાઓ સંતોષવા માટે જિલ્લા તંત્ર અને રાજ્ય-કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ કામ કરશે, તેવી આશા રાખીએ...

જો કે, જામનગર શહેરની કેટલીક નવી સમસ્યાઓનો નિવેડો લાવવા અત્યારે જે હિલચાલ થઈ રહી છે, તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધીના કેટલાક વિભાગોના સંકલનની જરૂર પડવાની હોવાથી તેમાં પણ ખરાડીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તેઓ આખા જિલ્લાના પ્રભારી હોવાથી જિલ્લાના મુખ્યમથક એવા જામનગરની સમસ્યાઆો અને સુવિધાઓમાં પણ લક્ષ્ય આપશે અને ભૂતકાળમાં શહેરમાં જે રીતે સુધારા-વધારા કરાવ્યા હતા, તેવી જ રીતે જિલ્લાના પ્રભારી તરીકે પણ સમગ્ર જિલ્લામાં સરકાર સાથેના સંકલનની જરૂર હોય ત્યાં કડીરૂપ ભૂમિકા પણ બજાવશે અને શહેર તથા જિલ્લા તંત્રના પથદર્શક પણ બનશે, તેવી નગરજનોને અપેક્ષા છે.

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારના ડિમોલીશનના મુદ્દે તો સંસદસભ્ય પૂનમબેન માડમે હાલ તુરત ડિમોલીશન નહીં થાય, અને રેલવેતંત્ર માત્ર જરૂર પૂરતા ડિમોલીશન માટે પણ રેલવેની જમીન પર જ હોય તેવા દબાણોને ત્યાં રહેતા લોકોને પૂરતી મુદ્દત આપીને હટાવવાની નોટિસ સંબંધિત કાયદા-કલમની સંદર્ભ સાથે આપે, તે પ્રકારની તંત્ર સાથે થયેલી વાતચીતની વિગતો બહાર આવ્યા પછી હાલ તુરત એ મામલો ઠંડો પડયો હોય, તેવું લાગે છે, પરંતુ આ તમામ બાબતે માત્ર જામનગર નહીં, પરંતુ આખા સંસદીય મત-વિસ્તારમાં આ જ પ્રકારની કાળજી રેલવે તંત્ર રાખશે, તેવી જે વાત થઈ રહી છે, તેના ફોલો-અપમાં પણ સ્વાભાવિક રીતે જ જિલ્લા તંત્ર, મ્યુનિ.કમિશનરની સાથે સાથે ગાંધીનગર દિલ્હી સુધી સંબંધિત મંત્રાલયો સાથે સંકલન કરવાની કડીરૂપ કામગીરી પણ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ અંગત રસ લઈને નિભાવશે, તેવી હાલારના નગરજનો અપેક્ષા રાખી રહ્યા છે.

જામનગરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોરનો ત્રાસ, કરડતા રખડુ કૂતરા, નહીંવત પાર્કિંગ સુવિધા, સ્ટ્રીટ વેન્ડર્સ માટે વોર્ડવાર ચોક્કસ સ્થળો નક્કી કરીને તેની ટ્રાન્સપરન્ટ અને ઝડપી ફાળવણી, શહેરમાં જે જાહેર સંકુલો, ચોકડીઓ કે સર્કલો પાસે ટ્રાફિક વધી ગયો છે અને અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યાં કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટ્રાફિક પોઈન્ટ, ચોકીઓ અને પેટ્રોલીંગ વધારવા તથા માત્ર ટ્રાફિક મદદનીશો (સહાયકો)થી કામ ચલાવવાના બદલે નાના-મોટા દરેક સ્થળે ટ્રાફિક સહાયકોની સાથે જવાબદાર ટ્રાફિક કોન્સ્ટેબલો-અધિકારીઓ નિમવા સહિતના પડકારો છે, જેમાં, ભલે આખા જિલ્લા માટે નિમાયા હોય, પરંતુ જિલ્લાના મુખ્યમથકમાં ભૂતકાળમાં કરેલી કામગીરી તથા અનુભવના આધારે કડીરૂપ ભૂમિકા ખરાડી સાહેબ અદા કરશે, તેવી આશા પણ સ્વાભાવિક રીતે જ નગરજનો રાખી રહ્યા છે.

જામનગરના હનુમાન ટેકરી આજુબાજુ ડિમોલીશનનો મુદ્દો તો હાલ તુરત સ્થગિત થયો છે અને તેનો દડો સાંસદ, જિલ્લાતંત્ર અને રેલવે વિભાગના મેદાનમાં છે, પરંતુ એક નવી ઉદ્ભવેલી સંભવિત સમસ્યા સામે પણ અત્યારથી જનતામાંથી જે વિરોધ ઉઠી રહ્યો છે, તેને પણ અવગણવા જેવો નથી, કારણ કે એ સંભવિત સમસ્યા સાથે તો સેંકડો શ્રદ્ધાળુઓની ભાવના અને સંવેદનાઓ સંકળાયેલ છે.

બન્યું છે એવું કે જામનગરની મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું અને તેમાં સરકારી રોડ પર બાલા હનુમાન મંદિરનો ગેઈટ ઊભો કરવાની વાત થઈ. કોઈપણ મંદિરનો સુશોભિત ગેઈટ ઊભો થાય, તેની સામે કોઈને વાંધો જ હોય નહીં, પરંતુ આ ગેઈટ ઊભો કરવા જતા કોઈ અન્ય મંદિર કે નગરજનોની સુવિધા ખુંચવાઈ જાય નહીં, તે જોવાની જવાબદારી પણ સંલગ્ન સંસ્થાઓ અને મ્યુનિ. તંત્રની જ ગણાય, અને આ કિસ્સામાં પણ બાલા હનુમાનજી મંદિરની નજીકમાં આવેલા સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા અવરોધાય અને બાલા હનુમાન માટે સરકારી અથવા મહાનગરપાલિકાની જમીનમાં ગેઈટ ઊભો થાય, તો સત્યનારાયણ મંદિર તરફ જતી ચાલ બંધ થઈ જાય તેમ હોવાની રજૂઆત પહેલા એ મંદિરના મુખ્યાજીએ લેખિતમાં કરી હતી. તે પછી ૧૦૮ જેટલા શ્રદ્ધાળુઓએ પણ આ મંદિરો પાસે આવેલા પુસ્તકાલયથી સત્યનારાયણ મંદિર સુધીનો રસ્તો તદ્દન ખુલ્લો રાખવાની લેખિત રજૂઆતો કરી છે.

ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકાના બજેટ પછી અપાયેલી વિગતો મુજબ બાલા હનુમાન મંદિર પાસે સ્વચ્છતા જળવાય અને ભિક્ષાવૃત્તિ કરતા લોકોનો જમાવડો થતો અટકે તેવો હેતુ જાહેર કરીને બાલા હનુમાનનો દરવાજો મનપાની સરકારી જમીન પર ઊભો કરવાનું જણાવાયું હતુ, અને ત્યાં ટૂ-વે તથા ગાર્ડન જેવી સુવીધા ઊભી કરવાનું જાહેર કરાયું હતું.

તે પછી સત્યનારાયણ મંદિરના ભાવિકો, મુખ્યાજી તથા તેની આજુબાજુના રહીશો વગેરેએ રજૂઆત કરી હતી કે આ પ્રકારની કાર્યવાહી અમલી બનશે તો સત્યનારાયણ મંદિર તરફ જવાની ચાલ સદંતર બંધ થઈ જશે, આ અંગે હવે ૧૦૮ વૈષ્ણવોએ ઈન્ડિવિઝયુલ (વ્યક્તિગત રીતે) પણ અરજીઓ કરીને આ પ્રકારે સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા કે ચાલ બંધ થઈ જાય, તેવો પ્રોજેકટ પડતો મૂકવા અને લાયબ્રેરીથી સત્યનારાયણ મંદિરનો માર્ગ તદ્દન ખુલ્લો રાખવાની માંગણી કરી છે. આ મુદ્દે મ્યુનિ. તંત્ર પણ સંવેદના સભર રીતે સહાનુભૂતિપૂર્વક વિચારી રહ્યું હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. તો બીજી તરફ વૈષ્ણવોની આ રજૂઆતો ધ્યાને નહીં લેવાય, તો અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારી પણ હોવાની થતી ચર્ચા વચ્ચે વૈષ્ણવોને આ મુદ્દે પણ ખરાડી સાહેબના જૂના અનુભવો કામ લાગશે, તેવી આશા જાગી છે. જોઈએ, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh