Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા ભાડુકીયામાં શિવાલયના નવનિર્માણ માટે એક કલાકમાં એક કરોડથી વધુ રકમના દાનની વહી સરવાણી

મકરસંક્રાંતિ પર્વે શિવશક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો ત્રિવેણી સંગમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: કાલાવડના મોટા ભાડુકીયામાં શિવભક્તિનું જાણે ઘોડાપૂર આવ્યું હોય તેમ, સોમનાથ મહાદેવના નવનિર્માણ માટે માત્ર એક કલાકમાં એક કરોડ દસ લાખના દાનની સરવાણી વહી હતી. મકરસંક્રાંતિના પાવન પર્વે નદી કિનારે બિરાજમાન શિવાલયના જીર્ણોદ્ધાર અર્થે ગ્રામજનોની બેઠકમાં શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ઈતિહાસ રચાયો હતો.

કાલાવડ તાલુકાના નાનકડા એવા મોટા ભાડુકીયા ગામે મકરસંક્રાંતિના પાવન અવસરે ગ્રામ્ય એકતા અને શિવભક્તિનું એક વિરલ અને ઐતિહાસિક ઉદાહરણ પુરૃં પાડયું છે. ગામની આસ્થાનું કેન્દ્ર એવું નદી કિનારે વર્ષોથી અડીખમ ઊભેલું સોમનાથ મહાદેવનું મંદિર કાળક્રમે જર્જરિત થતાં, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં નવા મંદિરના નિર્માણ માટે પ્રબળ ઈચ્છાશક્તિ જાગૃત થઈ હતી.

આ નેક ઈરાદા સાથે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે એક વિશેષ બેઠક અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિની સાંજે યોજાયેલ આ કાર્યક્રમમાં માત્ર ગામમાં વસતા લોકો જ નહીં, પરંતુ રોજગાર-ધંધાર્થે જામનગર, રાજકોટ, સુરત અને આસપાસના અન્ય શહેરોમાં સ્થાયી થયેલા મોટા ભાડુકીયા ગામના અનેક પરિવારો પણ ખાસ ઉપસ્થિતથ રહ્યા હતા.

વર્ષો જુના શિવાલય પ્રત્યેની આસ્થાએ તમામ ગ્રામજનોને એક તાંતણે બાંધી દીધા હતા, અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં જાણે લક્ષ્મીજીની કૃપા અને મહાદેવજીના આશીર્વાદ એક સાથે વરસ્યા હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. મંદિરના નવનિર્માણનો પ્રસ્તાવ મુકતાની સાથે જ દાતાઓએ ઉદાર હાથે દાન આપવાની શરૂઆત કરી હતી.

જોત જોતામાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં ગ્રામજનો દ્વારા રૂ।. એક કરોડ દસ લાખ જેવી માતબર રકમનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું.

એક નાનકડા ગામ દ્વારા આટલા ટૂંકા સમયમાં આટલી મોટી રકમ એકત્ર કરવી એ ગ્રામજનોનો સોમનાથ મહાદેવ પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહ અને સમર્પણ દર્શાવે છે.

આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ શિવાલય માત્ર ઈમારત નથી પણ પેઢીઓથી આલી આવતી શ્રદ્ધાનું કેન્દ્ર છે. દાનની સરવાણી પછી કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને બહારથી આવેલા મહેમાનોએ સાથે મળીને સમૂહભોજન પ્રસાદ લીધો હતો જેથી ગામની એકતા અને ભાઈચારાના દર્શન પણ થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh