Advertisement
Author: નોબત સમાચાર

નર્ક મૃત્યુ પછી કે જીવતા જ...?

                                                                                                                                                                                                      

મેં પૂછ્યું તેને.. નર્ક એટલે શું?

તેણે સામે જોયું.. ધીમેથી કહ્યું.. નર્ક?

થોડા વિરામ.. પછી કહ્યું..

નર્ક ત્યાં નથી જ્યાં અગ્રિ સળગે છે,

નર્ક ત્યાં છે જયાં દિલથી જીવતો માણસ

દિમાગથી ચાલતી દુનિયામાં રોજ થોડું થોડું મરે છે..

કારણ કે લાગણીઓને અહીં ભાષા નથી..

અને લોકોમાં ધીરજ નથી..

તું રડીશ તો કહેશે ડ્રામા..

ચૂપ રહીશ તો કહેશે એટિટયૂડ...

અહીં સચ્ચાઈનો અંતિમ શ્વાસ..

જાતે જ દફનાવવો પડે.. એ નર્ક..

ફરીથી પૂછ્યું..

ઈમોશનલ માણસ હંમેશાં હારી જ જાય છે?

ફરીથી લાગણીભીના સ્વરે કહ્યું..

હારે નહી.. પણ તૂટે ચોક્કસ..

જાણે.. લીલાછમ્મ ઝાડ પરથી..

દરરોજ એક પાન સુકાઈને પડે છે..

અને આ બહેરી દુનિયાને

તેનું દર્દ-અવાજ સંભળાતો નથી..

નર્ક એટલે એવો ભાર...

જે ન દેખાતો હોય અને રોજ ઉપાડવો પડે..

ફેસબુકમાં ફરતા ફરતા આ કવિતા વાંચી.. નર્ક એટલે શું? કેવા સરળ શબ્દમાં સમજાવી દીધું. નર્ક એ મૃત્યુ પછીની સ્થિતિ તો કદાચ હશે.. પણ આજના સમયમાં જીવતે જીવતા જ નર્કની યાતનાનો ક્યારેક અનુભવ થાય છે, નર્ક.. આગ, અંધકાર, યાતના આવો જ કંઈક ખ્યાલ આપણને છે, ધાર્મિક ગ્રંથોમાં, કથામાં આવી જ વ્યાખ્યા ભયરૂપે જણાવાય છે. નર્ક એટલે જીવતા કરેલા પાપની મૃત્યુ પછી સજા.. એવું જ આપણને સમજાવ્યંુ છે..

પણ.. આજનો મારો પ્રશ્ન અલગ છે.. આજનો પ્રશ્ન એ છે કે શું નર્ક માત્ર મૃત્યુ પછી જ હોય છે? કે પછી માણસ જીવતા જ નર્કનો અનુભવ કરતો હોય છે? આ પ્રશ્ન કોઈ ધાર્મિક વિવાદ નથી, પણ સમાજના અંતરાત્માને ઝંઝોડતો માનવીય પ્રશ્ન છે.

આપણી સંસ્કૃતિમાં નર્કનો વિચાર માણસને સારા રસ્તે ચલાવવા માટે ચેતવણીરૂપે આવ્યો છે. કર્મ કરો અને તેનું ફળ ભોગવો. આ સિદ્ધાંત નૈતિક જીવન માટે માર્ગદર્શક રહ્યો છે પરંતુ જો નર્કનો અર્થ મૃત્યુ પછીની સજા હોય તો જીવન દરમિયાન ભોગવાતી અસાધ્ય પીડાને આપણે શું નામ આપીએ? આસપાસ નજર કરીએ તો સમજાશે કે ઘણાં લોકો માટે જીવન એ સતત સંઘર્ષનું મેદાન છે. ગરીબી, બેરોજગારી, શોષણ, અસમાનતા, અપમાન અને એકલતા.. આ બધા અનુભવો માણસને મનથી તોડી નાખે છે. આવી સ્થિતિમાં જીવવું એ જીવતા નર્કનો અનુભવ નથી તો શું છે?

નર્ક એ કોઈ દૂરના લોકમાં નથી. તે ઘણીવાર આપણા ઘર, રસ્તા, કાર્યસ્થળ અને સંબંધોમાં છૂપાયેલ હોય છે. રોજ અપમાન સહન કરતા કામદારો, ઘરેલું હિંસામાં શ્વાસ લેતી સ્ત્રી, નિષ્ફળતાના ભાર હેઠળ તૂટતા યુવાનો, સંતાનોની અવગણનામાં જીવતા વૃદ્ધો. એકલતા અને અસ્વીકારમાં જીવતા માણસો, બેકારીના ચક્કરમાં, નોકરીની શોધમાં ફરતા યુવાનો, મહિનાના અંતે પગાર પૂરો થઈ ગયા પછી ખર્ચના બે છેડા ભેગા કરતો નિમ્ન મધ્યમ વર્ગ... આ બધા લોકો માટે નર્ક કોઈ કલ્પના નથી, રોજિંદી હકીકત છે, તકલીફ, પીડા નિરંતર છે. કારણ કે સમાજ તેમની પીડાને સામાન્ય માને છે.

આનાથી પણ વધારે એમ કહી શકાય કે નર્કનું સૌથી ભયાનક સ્વરૂપ માનસિક પીડા છે. ભય, નિરાશા, અપરાધભાવ, અસ્વીકાર આ ભાવનાઓ માણસને ધીમે ધીમે અંદરથી સળગાવે છે. ઘણીવાર બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ અંદર સતત યુદ્ધ ચાલતું હોય છે. આજના સમયમાં પણ માનસિક આરોગ્ય વિષયક પીડાને સ્વીકારની હિંમત હજી ઓછી છે. લોકો હસતા ચહેરા પાછળ દુઃખને છૂપાવીને જીવતા હોય છે. ક્યારેક જીવનના આધારસ્તંભ જેવા સંબંધોમાં ખુશી કરતા દુઃખ-ભાર વધી જાય ત્યારે પણ જીવન નર્ક જેવું બની જાય છે. ઘણી વખત સ્ત્રીઓ માટે ઘરમાં જ સુરક્ષા હોતી નથી, ક્યારેક પુરૂષો પણ જવાબદારી અને અપેક્ષાના ભાર હેઠળ દબાઈ જતા હોય છે. આવા સમયે એમ લાગે કે જીવન જીવતા નથી, માત્ર ઢસળે છે અને આ તકલીફ નર્કથી ઓછી નથી...

શિક્ષિત હોવા છતાં, વર્ષાે સુધી ભણતર-શિક્ષણ મેળવ્યા પછી પણ પૂરતી આવક મેળવી ન શકનાર યુવક-યુવતીઓ પણ હતાશ થઈ જાય છે. ક્યારેક ભણતા-ભણતા જોયેલા સપના, કારકિર્દીના વિચારો પૂરા ન થાય ત્યારે પણ હતાશા-નિરાશા ઘેરી વળે છે. મનગમતું કામ ન મળે, શિક્ષણને અનુરૂપ નોકરી ન મળે ત્યારે ઘર ચલાવવા, આર્થિક રીતે સદ્ધર થવા જે નોકરી મળે તે સ્વીકારનાર વ્યક્તિ પૂરા મનથી તેમાં પોતાની જાતને જોડી નથી શકતો.. તે કામ તો કરે છે, પણ દિલથી નહી, ફરજ સમજીને.. અને આ કામ તેને બોજ લાગે, તૂટેલા સપનાની કરચો જ્યારે હૃદયમાં ખુંચે ત્યારે જીવન અવશ્ય નર્ક લાગે છે.

આજે આપણો સમાજ સફળતાને જીવનનું એકમાત્ર માપદંડ બનાવી ચૂક્યો છે. પૈસા, પદ અને દેખાવ. આ ત્રણ પર આધારીત મૂલ્યાંકન માણસને સતત દોડમાં રાખે છે. સોશિયલ મીડિયાએ આ દોડને વધુ તિવ્ર બનાવી છે. બીજાનું સુખ જોઈને માણસને પોતાનું દુઃખ વધુ મોટું લાગે છે, પોતાને અધૂરો, અપૂરતો માનવા લાગે છે. આ તુલનાત્મક દબાણ પણ જીવનને નર્ક બનાવે છે. આ સિવાય દેખાદેખી, ફેશન, સોશિયલ મીડિયાને કારણે બધાને બધું જ જોઈએ છે અને એ પણ તાત્કાલિક જોઈએ છે.. આ બધું પૂરૃં ન થાય ત્યારે જીવન નર્ક લાગે છે.

પ્રશ્ન એ નથી કે નર્ક અસ્તિત્વમાં છે કે નહીં? પ્રશ્ન એ છે કે શું આપણે અજાણતા એકબીજાને નર્કમાં જીવવા મજબૂર તો નથી કરતાને? અસંવેદનશીલતા, સ્વાર્થ અને અવગણનાથી બનેલું સમાજ માનવીય નર્ક સર્જે છે. જ્યારે પીડાને એડજેસ્ટ કરી લે એમ કહીને ટાળી દેવામાં આવે છે ત્યારે નર્ક વધારે ઘેરૃં બને છે. શું આ જીવતા નર્કમાંથી બહાર નીકળી શકાય? તો હા.. આ નર્ક માનવસર્જીત છે એટલે તેનો ઉકેલ પણ માનવસર્જીત જ છે.. પીડાને સ્વીકારવાની હિંમત, સંવાદ માટેનો માહોલ, મદદ માંગવાની અનુમતી અને સમાજની સહાનુભૂતિ આ બધા સંજોગો નર્કમાંથી બહાર લાવી શકે છે. આશા જીવંત છે ત્યાં સુધી નર્ક અંતિમ નથી. આખરે એક સત્ય એ છે કે નર્ક અને સ્વર્ગ કોઈ દૂરના લોક નથી, તે આપણા વિચારો, વર્તન અને સંબંધોમાં વસે છે. જ્યાં અપમાન છે ત્યાં નર્ક છે, જ્યાં સમજ છે ત્યાં સ્વર્ગ છે. નર્ક કોઈ ડરાવવા માટે રચાયેલી કલ્પના નથી, તે સમાજને અરીસો બતાવે છે, સૌથી મોટી સજા મૃત્યુ પછી નહી, જીવતા જ આશા ગૂમાવવી એ છે અને સૌથી મોટી મુક્તિ માનવતા, સંવેદના અને સહકાર જીવંત રાખવામાં છે. આપણે જ્યારે એકબીજાના દુઃખને ગંભીરતાથી લેવાનું શીખી જઈશું ત્યારે કદાચ આ નર્કના દરવાજા આપોઆપ બંધ થઈ જશે.. આપણે કોઈને દુઃખમાંથી બહાર ન કાઢી શકીએ તો કદાચ ચાલી જશે.. પણ કોઈના દુઃખનું કારણ ન બનીએ એ જ નર્કમાંથી મુક્તિ...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh