Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે મધ્ય-પૂર્વની યુદ્ધની સ્થિતિ અને તેની ભારત પર અસરો તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા પગલાં અંગે માહિતી આપવા કેન્દ્ર સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લેકસભાના વિપક્ષના નેતા અને ટી.એમ.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા નહીં હોવાથી તે અંગે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી હતી અને ઘેરા મિશ્ર પ્રત્યાઘાતો આ બેઠકમાં અપાયેલી માહિતીના સંદર્ભે પણ દેશભરમાં પડયા હતા. આ બેઠકમાં કેટલાક વિપક્ષી નેતાઓએ મોદી સરકારને કેટલાક તીખા સવાલો પુછ્યા હોવાના અહેવાલો પણ દેશભરમાં પડઘાયા હતા.
ગઈકાલે સર્વપક્ષીય બેઠક દરમ્યાન સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી પણ બોલી હતી અને સરકાર પર તડાપીટ બોલી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે "સબ સલામત"ની રાબેતા મુજબની વાતો દહોરાવી હતી.
સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંની વિગતવાર માહિતી આપતા વિદેશ સચિવે જ્યારે કહ્યું કે દેશવાસીઓએ ડરવાની કોઈ જરૂર નથી., ત્યારે વિપક્ષ તરફથી વ્યંગાત્મક ટિપ્પણીઓ થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વિદેશ સચિવે એવો દાવો કર્યો કે આપણાં દેશમાં ઈંધણના ક્ષેત્રે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સરકાર વિશ્વિક સ્થિતિ પર નજર રાખીને સતત કદમ ઉઠાવી રહી છે.
આ બેઠકની અધ્યક્ષતા કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ચર્ચા દરમ્યાન કેન્દ્ર સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંને સમર્થન આપ્યું હતું. બેઠકમાં જણાવાયુ હતું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે અને વધુ પાંચ જહાજ ભારત તરફ આવી રહ્યા છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ તંગી હાલમાં નથી. હોર્મુઝ સ્ટેટમાં ઘણાં દેશોના જહાજો ફસાયેલા છે, તેમાંથી આપણાં કેટલાક વહાણો પૂરવઠો ભરીને આવી રહ્યા છે અને આવી ગયા છે, તેને સરકારની વ્યૂહાત્મક સફળતા ગણાવી વિપક્ષોએ સરકારને સહયોગ આપવો જોઈએ. મહત્ત્વપૂર્ણ વાત એ પણ હતી કે વર્ષ ૧૯૮૧થી અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરતુ રહ્યું હોવાનો સ્વીકાર પણ કેન્દ્ર સરકારે કર્યો હોવાનું ચર્ચાય છે.
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ તથા સચિવોએ વિગતો રજૂ કરી ત્યારે જ વિપક્ષોએ અણીયાળા સવાલો ઉઠાવ્યા હતા અને બેઠક પૂરી થયા પછી જુદા જુદા સ્થળે તીખા પ્રત્યાઘાતો પણ આપ્યા હતા. વિપક્ષોએ વર્તમાન સ્થિતિને સાંકળીને વડાપ્રધાને કોવિડ-૧૯નો ઉલ્લેખ કરતા ઊભી થયેલી દ્વિધા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આવા નિવેદનો પછી લોકડાઉન જેવા પ્રતિબંધોની સંભાવનાઓના કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાવી શકે છે, તેવી આલોચના પણ કરી હતી, જેને સરકારે "તપાસ થશે" તેવો રાબેતા મુજબનો જવાબ આપીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાના અહેવાલોને સરકારે પુષ્ટિ આપી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે વડાપ્રધાને ભારતની સ્પષ્ટ નીતિ દોહરાવીને ટ્રમ્પને કહેવામાં આવ્યું છે કે ભારત યુદ્ધની તરફેણમાં નથી. વૈશ્વિક શાંતિને પ્રાયોરિટીનો સંદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ વિપક્ષના નેતાઓએ સર્વપક્ષીય મિટિંગમાં ભાગ લીધો, તે બદલ આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમણે વિપક્ષોનો આ સ્થિતિમાં સહયોગ અને રાષ્ટ્રીય એક જૂથતાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે હાલમાં દેશમાં ઈંધણ-ગેસની અછત વાસ્તવિક નથી, તેની સામે પણ વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે. આ બેઠક આ સાંપ્રત સ્થિતિમાં અત્યંત આવશ્યક પણ હતી અને અસાધારણ પણ હતી.
કોંગ્રેસે સર્વપક્ષીય બેઠક બોલાવવાના ટાઈમીંગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને મોદી સરકારની ઢીલી ઢફ વિદેશીનીતિની ટીકા પણ કરી હતી. કોંગી નેતા મણિકમ ટાગોરે કહ્યું કે આ સર્વપક્ષીય બેઠક ઘણી જ મોડી છે, જે વહેલી યોજવાની જરૂર હતી. ભૂતકાળમાં રાષ્ટ્રીય કક્ષાની આ પ્રકારની સર્વપક્ષીય બેઠકોમાં નરસિંહારાવ, વાજપેયી અને મનમોહનસિંહ સહિતના વડાપ્રધાનો સામેલ થતા હતા, જયારે વર્તમાન વડાપ્રધાન આ બેઠકમાં ભાગ લેવાથી દૂર ભાગે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધીના "કોમ્પ્રોમાઈઝ પી.એમ."વાળા નિવદનોને દહોરાવીને કહ્યું હતું કે હાલમાં વિદેશનીતિ એક પ્રકારની મજાક બની ગઈ છે અને વડાપ્રધાનની નીતિઓના કારણે આજે દેશ આ સ્થિતિમાં ધકેલાયો છે વગેરે...વગેરે...
ભારતીય જનતાપક્ષના પ્રવક્તાઓએ પ્રતિ આક્ષેપો કરતા કહ્યું કે આ પ્રકારની વૈશ્વિક કટોકટી જેવા સમયે પણ વિપક્ષો સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે, અને ગંભીરતાથી વર્તી રહ્યા નથી. વગેરે...વગેરે...
આ તરફ ગુજરાતમાં પણ ઈંધણનો પૂરતો પુરવઠો છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી, વગેરે સ્પષ્ટતાઓ મુખ્યમંત્રી, મંત્રીઓ અને જિલ્લાતંત્રો દ્વારા થઈ રહી છે, અને હાલારના બંને જિલ્લામાં પણ આવી જ ચોખવટો થઈ છે.
આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજ્ય સરકારે ગઈકાલે રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો કર્યા છે, જેમાં જામનગરના ૩૧મી માર્ચે નિવૃત્ત થઈ રહેલા કલેકટર કે.વી. ઠક્કરના સ્થાને અમરેલીના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડયાની થયેલી નિમણૂકનો પણ સમાવેશ થાય છે, આશા રાખીએ કે ઠક્કર સાહેબની જેમ જ પંડયા સાહેબ જિલ્લાની જનતાની સેવા કરશે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial