Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએઆઈબીના રિપોર્ટમાં કયાંય એવો ઉલ્લેખ જ નથીઃ બોઈંગને બચાવવાના હવાતિયા ?
નવી દિલ્હી તા. ૧૭: બોઈંગને બચાવવા પાઈલોટને જવાબદાર ઠેરવતા અમેરિકાએ જૂઠાણુ ચલાવ્યુ છે. અને વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જીનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હોવાનો આરોપ મુકયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમેરિકાએ નવી થીયરી રજુ કરી છે. અમેરિકી મીડિયા બોઈંગ કંપનીને બચાવવા મેદાને ઉતર્યુ છે, અને એએઆઈબીના રિપોર્ટને ખોટી રીતે રજુ કર્યો છે, તેવી આલોચના પણ થઈ રહી છે.
અમદાવાદમાં ૧૨મી જુને થયેલી એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનામાં બોઈંગની ગરદન ફસાતી જોઈને અમેરિકન મીડિયાએ આખા મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમદાવાદ દુર્ઘટના પછી વિશ્વસનીયતા ગુમાવી રહેલા બોઇંગને બરબાદીથી બચાવવા માટે અમેરિકન મીડિયાએ ભારતીય પાઇલટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેવી આલોચના પણ થઈ રહી છે.
અમેરિકન મીડિયાએ પણ એએઆઈબી રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ના અહેવાલને ટાંકીને, અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલએ લખ્યું છે કે કોકપીટ રેર્કોડિંગથી જાણવા મળ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો.
અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા આશ્ચર્યચકિત છે. એ નોંધનીય છે કે એએઆઈબી રિપોર્ટમાં કયાંય એવું કહેવામાં આવ્યું નથી કે કેપ્ટન દ્વારા ફયુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (ડબલ્યુએસજે) એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. ડબલ્યુએસજે એ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેર્કોડિંગમાંથી આ ખુલાસો થયો છે. વોઇસ રેર્કોડિંગમાં જાણવા મળ્યું કે બોઇંગ વિમાન ઉડાડતા કો-પાયલોટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછયું, તમે ફયુઅલ સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ મૂકયો?
પ્રશ્ન પૂછતી વખતે સહ-પાયલટને આશ્ચર્ય થયુ હતું. તેના અવાજમાં ગભરાટ હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતો હતો. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને ૧૫,૬૩૮ કલાકનો ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટ ક્લાઈવ કુંદરને ૩,૪૦૩ કલાકનો ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકી અધિકારીઓની પ્રારંભિક તપાસથી પરિચિત લોકોના હવાલાથી જણાવ્યું છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી), ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ), સિવિલ એવિએશન મંત્રાલય, બોઇંગ કે એર ઇન્ડિયા તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
ઉલ્લેખનિય છે કે, પાંચ દિવસ પહેલા ભારતે પણ પાઇલટ્સની વાતચીતને સાર્વજનિક કરી હતી. આ પહેલા, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) એ ૧૨ જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફયુઅલ સ્વીચ અચાનક રન થી કટોફ સ્થિતિમાં ખસી ગયો, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.
જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઇંધણના સ્વીચો કેવી રીતે બંધ થઈ ગયા. એએઆઈબીના અહેવાલમાં જણાવાયું છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સાંભળવામાં આવ્યો હતો કે તેણે બળતણ કેમ બંધ કર્યું. બીજા પાયલોટે જવાબ આપ્યો કે તેણે આવું નથી કર્યું.
બીજી તરફ એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે તેના તમામ બોઇંગ ૭૮૭ શ્રેણીના વિમાનોમાં ફયુઅલ કંટ્રોલ સ્વીચ (ટીસીએમ) ના લોકીંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એરલાઇને તેના પાઇલટ્સને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફયુઅલ સ્વીચમાં કોઈ ખામી જોવા મળી નથી.
કંપનીએ જણાવ્યું હતું કે તમામ બોઇંગ ૭૮૭ વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (ટીસીએમ) પણ બદલવામાં આવ્યા છે. ફયુઅલ કંટ્રોલ સ્વીચ એ ટીસીએમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ૧૪ જુલાઈના રોજ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ તમામ એરલાઇન્સને ૨૧ જુલાઈ સુધીમાં તમામ બોઇંગ ૭૩૭ અને ૭૮૭ શ્રેણીના વિમાનોમાં ફયુઅલ સ્વીચોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એર ઇન્ડિયા પાસે કુલ ૩૩ બોઇંગ-૭૮૭ ડ્રીમલાઇનર વિમાન છે. ઇન્ડિગો પાસે સાત બી-૭૩૭ મેક્સ ૮ અને એક બી-૭૮૭-૯ વિમાન છે. આ બધા વિમાનો લીઝ, વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે. તેથી તે ભારતમાં નોંધાયેલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial