Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની હુન્નરશાળામાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ

ગુજરાતી ભાષાના મહિમા ગાન સાથે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયુ :

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જોડિયાની હુન્નરશાળામાં 'માતૃભાષા મહોત્સવ' ની ઉજવણી અંતર્ગત ભાષાના મહિમાગાન સાથે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ કાકુભાઈ જીવનદાસ હુન્નર ઉદ્યોગશાળાના સંયુક્ત ઉપક્રમે 'મળી માતૃભાષા મને ગુજરાતી' કાર્યક્રમ અંતર્ગત દીકરીઓએ માતૃભાષાના શપથ લીધા હતાં.

વિશ્વ માતૃભાષા દિવસના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને જોડિયાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળાના સંયુક્ત ઉપક્રમે 'માતૃભાષા મહોત્સવ-ર૦ર૬' નું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર રાજયમાં ચલાવવામાં આવતા "મળી માતૃભાષા મને ગુજરાતી" અભિયાન હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની અનોખી શરૂઆત 'સહી ઝુંબેશ' થી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થિનીઓએ અકાદમીના પોસ્ટર પર પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરી ગર્વ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રાર્થનાખંડમાં રાષ્ટ્રગીત અને વંદે માતરમ્ ના ગાન સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા તમામ અતિથિઓનું પુસ્તક અને સૂતરની આંટી અર્પણ કરી પરંપરાગત સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જાણીતા સાહિત્યવિદ વર્ષાબેન ત્રિવેદીએ માતૃભાષાની મીઠાશ સમજાવતા પોતાની સુંદર કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. વૈશાલીબેન જીવાણીએ પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે, "જો ગુજરાતી મારી માતા છે, તો સંસ્કૃત મારી દાદી છે" તેમણે અનેક કવિઓ અને સાહિત્યકારોના દૃષ્ટાંતો આપી ભાષાના અસ્તિત્ત્વને ટકાવી રાખવા આહવાન કર્યુ હતું. સાહિત્યપ્રેમી ક્રિષ્નાબેન અનડકટે ગુજરાતી વ્યાકરણની ઊંડાણપૂર્વક સમજ આપી હતી અને આ પ્રવૃત્તિ બદલ અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા નો આભાર માન્યો હતો.

આ પ્રસંગે જોડિયાના સરપંચ બાવલાભાઈ, તલાટી મંત્રી પૂર્વ સરપંચ નયનાબેન વર્મા, ગીતા વિદ્યાલયના ટ્રસ્ટી વિનુભાઈ પટેલ, સીઆરસી જાગૃતિબેન રાણીપા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થાના મંત્રી પ્રીતિબેન સુખપરિયા, અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પુનિતભાઈ શેઠ અને પ્રિન્સિપાલ ક્રિષ્નાબા ચુડાસમાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન રાજય એવોર્ડ વિજેતા શિક્ષિકા મમતાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમનું આયોજન સંયોજક પાર્થભાઈ સુખપરિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. અંતમાં શિક્ષિકા તરૂબેન વાઝાએ આભારવિધિ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh