Advertisement
Author: નોબત સમાચાર

લાખો વર્ષો પછી કળિયુગમાં હાલાર સહિત દેશના બારેય જયોતિર્લિંગમાં એક સાથે યોજાશે કોટી રૂદ્ર મહાયાગ

નાગેશ્વરમાં સાંસદ, ધારાસભ્યો, સંતો, મહંતોની ઉપસ્થિતિમાં થશે પ્રારંભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૦૯: હાલાર સહિત બારેય જયોતિર્લિંગના સ્થળોએ સમાંતર દ્વાદશ જયોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાનું આયોજન થવા જઈ રહ્યું છે, અને તા. ૧૯ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન એક સાથે કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા યોજાશે, તેમ જાહેર થયુ છે.

જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડિયા)ના ઉપક્રમે ચાલુ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાની ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આયોજક સંગઠન દ્વારા લાખો વર્ષો પછી કળિયુગમાં સર્વપ્રથમ વખત આવું આયોજન થઇ રહૃાું હોવાનું જણાવાયું છે.

આયોજન અનુસાર ભારત વર્ષમાં વિદ્યમાન અને પાવનતીર્થ ગણાતા બારેય જ્યોતિર્લિંગના સ્થળે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ થી ૨૭-૦૨-૨૦૨૬ ના દિવસો દરમિયાન એકસાથે મળી કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા રચવામાં આવી છે.

આ સંસ્થાના પ્રમુખ અને મુખ્ય આયોજક એવા હાપા (જામનગર)ના હર્ષદભાઈ જી. વ્યાસ દ્વારા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૧ ના કોરોના મહામારી સમયગાળાથી આ કાર્યક્રમના આયોજનનું બીજ રોપાયું હતું. જેમાં છેલ્લા છ મહિનાથી તડામાર અને તલસ્પર્શી તૈયારીઓ આરંભી હતી.

દેવાધિદેવ શિવજીને પ્રસન્ન કરવા તેમજ ભક્તિ થકી જીવનમાં દિવ્યતા લાવવા માટે મહાદેવજીનું અનેક પ્રકારે પૂજન-અર્ચન ભાવિકો કરતા રહે છે. જેમાં રૂદ્રાભિષેકનું સ્થાન મહત્ત્વનું છે. ૧૧ લઘુરુદ્ર બરાબર ૧ મહા લઘુરૂદ્ર, ૧૧ મહારૂદ્ર બરાબર ૧ અતિરુદ્ર અને ૧૧ અતિરુદ્ર બરાબર ૧ કોટીરુદ્ર મહાયાગ થાય, તેવો વિદ્વાનો-આચાર્યોનો મત છે. સત્તયુગ અને ત્રેતાયુગમાં ઋષિ-મુનિઓ તેમજ મહારાજોઓ દ્વારા કોટિરુદ્ર મહાયાગ યોજાતા હતા. જો કે સનાતન ધર્મની પાવન ભૂમિના પ્રસિદ્ધ યાત્રાધામ એવા બારેય જ્યોતિર્લિંગના સ્થાનકો ઉપર એક સાથે-એકજ સમયે આ યાગની યજ્ઞમાળા રચાતી હોય તેવી સર્વપ્રથમ ઘટના બની રહી છે.

ગુજરાત રાજ્યમાં સોમનાથ તથા દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે. બાકીના ૧૦ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તામીલનાડુ જેવા દૂરના રાજ્યમાં સ્થપાયેલા છે. પ્રત્યેક જ્યોતિર્લિંગના નિર્ધારીત સ્થળે કર્મકાંડી-આચાર્યો, તજજ્ઞો-સંતો-મહામંડલેશ્વરોના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા નિર્માણ કરાઈ છે. દરેક જ્યોતિર્લિંગમાં નવકુંડી યજ્ઞ થશે. તેથી કુલ મળી ૧૦૮ કુંડી યજ્ઞમાળામાં પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ યજમાનપદે જોડાશે. યજ્ઞમાળાના નવેય દિવસ સ્થાનઆચાર્ય તેમજ કર્મકાંડી ભૂદેવોના રૂદ્રાષ્ટકમ  ના પાઠ સાથે સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭ એમ દરરોજ આઠ કલાક યજ્ઞમાં આહૂતિ અપાશે.

આ યજ્ઞમાળાનું કેન્દ્રીય સ્થાન દેવભૂમિ દ્વારકા પાસેનું નાગેશ્વર જ્યોતિર્લિંગ પરિસર રહેશે. યજ્ઞમાળાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગથી જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ દ્વારા રામેશ્વર જ્યોતિર્લિંગથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ 'શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-જામનગર' ની ચેનલ પર પ્રસારિત થશે. જેમાં સમયાંતરે બારેય જ્યોતિર્લિંગના પૂજન-હવનના દૃશ્યો પણ પ્રસારિત થશે.

પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી શ્રી આર. સી. ફળદુ આ નવ દિવસ દરમિયાન બારેય જ્યોતિર્લિંગના યજ્ઞસ્થળે જઇને આહૂતિ અર્પણ કરશે. તેમજ તા. ૨૭-૦૨-૨૦૨૬ને સાંજે ૪:૩૦ કલાકે નાગેશ્વર સ્થિત યજ્ઞમાળામાં પૂર્ણાહુતિનું બીડું હોમશે. દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્ર યજ્ઞમાળાના પ્રધાન આચાર્ય સરસિયા-ધારીના આચાર્યશ્રી અનિરૂદ્ધભાઈ ઠાકર રહેશે. તેમજ નાગેશ્વરથી જ અન્ય તમામ જ્યોતિર્લિંગના સ્થાનિક આચાર્યોને જીવંત માર્ગદર્શન-અંગૂલિનિર્દેશ થકી જોડી યજ્ઞમાળા સંપન્ન કરશે.

યજ્ઞમાળાના મુખ્ય સ્થળ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ દીપપ્રાગટ્ય થકી શુભારંભ કરાવશે. આ વેળાએ જામનગર શહેરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, રાજ્યના પૂર્વ વિકાસ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર તથા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે અન્ય જ્યોતિર્લિંગની યજ્ઞમાળામાં મહામંડલેશ્વરો-સંતો-મહંતો, જે-તે જ્યોતિર્લિંગના પૂજારીઓ અનુકૂળ દિવસોએ જોડાઇને યજ્ઞમાં આહૂતિ અર્પશે.

આ ભગીરથ કાર્યના મુખ્ય આયોજક અને યજ્ઞમાળા સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસની બંને આંખની રોશની છેલ્લા એક દાયકાથી સદંતર જતી રહી છે. આમ છતાં છેલ્લા એક વર્ષમાં તેમણે પરિવારજનો-પુત્રો-ભત્રીજાઓને સાથે રાખી બારેય જ્યોતિર્લિંગનો બબ્બે વખત રૂબરૂ પ્રવાસ કરી આયોજન ગોઠવ્યું છે. તેમજ મોબાઇલના માધ્યમથી આખો દિવસ સતત સંપર્ક કરતા રહે છે. હર્ષદભાઈ વ્યાસ ભાજપ સાથે જોડાયેલા રહીને જામનગર તાલુકા પંચાયતના સભ્ય તેમજ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. જામનગરમાં યોજાતા બ્રહ્મ સમાજના દરેક કાર્યક્રમના કાયમી દાતા રહૃાા છે, તેમજ બ્રહ્મતેજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોરોના મહામારી કાળમાં તેઓની વ્યક્તિગત સેવા સીમાચિહ્નરૂપ હતી.

આ ઐતિહાસિક ગણાતા કોટિ રુદ્ર મહાયાગનું આયોજન પણ સનાતન ધર્મના સમસ્ત હિંદુ સમાજનું કલ્યાણ થાય, ભૂદેવોના બ્રહ્મતેજમાં વૃદ્ધિ થાય તેમજ શિવકૃપા પ્રાપ્ત કરી જીવ મુક્તિ પામે તેવો શુભાશય હૈયે ધર્યો છે.

આયોજક પ્રમુખ વિશેષમાં જણાવે છે કે આ યજ્ઞમાળામાં તો નિશ્ચિત ભાવિકો જ યજ્ઞમાં જોડાયેલા રહેશે, પરંતુ અન્ય શિવભક્તો પણ જો આ ઐતિહાસિક યજ્ઞમાળામાં દર્શન કે આહૂતિ આપવા માટે સ્વૈચ્છિક સહભાગી થવા ઇચ્છતા હોય તો તેઓ પોતાના પસંદગીના અનુકૂળ જ્યોતિર્લિંગના યજ્ઞસ્થળે પહોંચી શકશે, તેમજ ધોતી-સાડી જેવા પરંપરાગત સનાતન વસ્ત્રો પહેરી તારીખ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના કોઇપણ દિવસે સવાર-બપોર ૧૫ મિનિટ યજ્ઞમાં આહૂતિ આપી શકશે.

આ કોટિ રૂદ્ર મહાયાગથી દેશભરમાં પ્રસરનાર ઉર્જાનો લાભ લેવા ઇચ્છુક ભાવિકો પોતાના વિસ્તારના શિવાલયમાં કે ગામેગામના શિવભક્તો સ્થાનિક શિવાલયોમાં સમાંતર યજ્ઞ યોજે તેવો ભાવપૂર્ણ અનુરોધ કરાયો છે.

અભૂતપૂર્વ એવા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા યજ્ઞમાળા સમિતિના નેજા હેઠળ જામનગર બ્રહ્મસમાજના વિવિધ એકમો, હર્ષદભાઇ વ્યાસ પરિવારના જીતેન્દ્રભાઈ, પાર્થભાઈ, કિશનભાઇ સહિત અન્ય પરિવારજનો, બારેય જ્યોતિર્લિંગના સ્થળે નિમાયેલા વ્યવસ્થાપકો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે. દરેક જ્યોતિર્લિંગના યજ્ઞમાળામાં જોડાનાર યજમાન દંપતીઓ તેમજ વ્યક્તિગત ભાવિકો માટે યજ્ઞમાળાની સમિતિ તરફથી મુસાફરી, રોકાણ તેમજ ભોજનની વ્યવસ્થા પણ યજ્ઞ આયોજન સમિતિ તરફથી ગોઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh