Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. શેખરને સ્નેહભરી શ્રદ્ધાંજલિ...
વર્ષ ૧૯૯૬ની ૨૫મી માર્ચનો એ દિવસ કારમો આઘાત આપી ગયો હતો, જે દિવસે અમારા બધાના લાડીલા અને બહોળા મિત્રમંડળ, વાચકવર્ગ તથા હાલારીઓના હૈયે વસેલા શેખરે અનંતયાત્રાની વાટ પકડી લીધી હતી.
અમારા બધાના પથદર્શક અને નોબતના આદ્યસ્થાપક પૂ. સ્વ. રતિલાલભાઈ માધવાણીના પગલે પગલે ચાલીને "નોબત"ના માધ્યમથી જન-જનને મદદરૂપ થનાર તથા અખબારને તત્કાલિન ૫ડકારોનો સામનો કરીને આધુનિક અને વધુ લોકભોગ્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર શેખરની એ વિદાય અમારા માટે અસહ્ય અને આંચકો આપનારી હતી.
આજે પણ શેખરભાઈની કાર્યપદ્ધતિ, સચોટતા અને કામ પ્રત્યેનું સમર્પણ અમારા બધા માટે પ્રેરણારૂપ છે. નોબત પરિવાર અને માધવાણી પરિવાર જ નહીં, સમગ્ર વાચકો તથા દેશ-વિદેશ સુધી પથરાયેલા સ્વ. શેખરભાઈના મિત્રવર્તુળની યાદોમાં આજે પણ સ્વ. શેખરભાઈ જિવંત છે. આજે પણ "નોબત"ના વાર્ષિક લવાજમનો ડ્રો હોય કે કોઈપણ પ્રસંગ હોય, કે પછી "નોબત"ના સ્થાપના દિનની ઉજવણી હોય, સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સૌ કોઈ મમળાવતા હોય છે. શેખરભાઈ હંમેશાં પડકારોને પણ પડકારવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ સ્પષ્ટ વક્તા અને ખૂબ જ સંવેદનશીલ પણ હતા. સેવાકાર્યોને સમર્પિત શેખરભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને નગરના લોક-કલ્યાણ, હાલારના હિત અને દેશની પ્રગતિના ક્ષેત્રે હંમેશાં સક્રિય રહેતા હતા.
શેખરભાઈ સેવાકાર્યો માટે સદૈવ તત્પર અને કદુરતી આફતો, અન્ય સામાજિક કે સંસ્થાકીય કામો તથા સમાજ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા, અને તેઓએ જયારે અનંત વિદાય લીધી ત્યારે નોબત અને માધવાણી પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળ ઉપરાંત તેઓની સાથે સંકળાયેલા તમામ લોકો ઊંડા આઘાતમાં સરી પડયા હતા. અને હંમેશાં હસતા મુખે લોકોના સુખ દુઃખના સહભાગી થતા હતા. નોબતની તમામ પ્રવૃત્તિઓ તથા પ્રક્રિયાઓમાં સ્વ. શેખરભાઈએ કંડારેલી કેડીઓ ધોરીમાર્ગ જેટલી વિસ્તરી છે, અને આજના પરિવર્તનશીલ આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ઉપયોગી બની રહી છે, જે તેઓની દીર્ઘદૃષ્ટિ તથા નિપુણતા દર્શાવે છે.
આપણે બધા સ્વીકારીએ છીએ કે જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી. અને જેનો જન્મ થાય છે, તેઓની અનંત વિદાય પણ થાય જ છે, પરંતુ સ્વ. શેખરભાઈના દેહાંત પછી પણ તેઓ પ્રેરણા, સ્મરણો તથા આદર્શોના સ્વરૂપે આપણી વચ્ચે જિવંત હોય, તેવો જ અહેસાસ થાય છે, તે જ તેઓની ટૂંકી જિંદગીની વિશાળ ઉપલબ્ધિ છે.
આપણાં સૌના હૃદયે હંમેશાં ધબકતા રહેતા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સેવાકાર્યોને સ્મરીને તેઓને ભાવભીની સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર તા. ૨૫-૩-૨૦૨૬
- માધવાણી પરિવાર - નોબત પરિવાર