Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કર્યું ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ

રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાના ૧૬૫૦૦થી વધુ ગામોમાં

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૮: કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપર નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા રાજય સરકારની સંપૂર્ણ સંવેદના દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ છે, જેને આવકાર સાંપડી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહૃાા છે. આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. ૧૦ હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

સરકારી અખબારી યાદી વધુમાં જણાવે છે કે, મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહૃાા છે. એટલું  જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા ૨૫૧ તાલુકાના ૧૬,૫૦૦થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે ૫ હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.

આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે ૨૪ઠ૭ કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી. 

મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ સર્વ જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, અર્જુનભાઈ મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ૧૦ હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, નાણા સચિવ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ ડો. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહૃાા હતા. મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલું આ ઉદારતમ સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh