Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધની ગર્જનાઓ અને રાજકીય માવઠાઓ વચ્ચે, ફરીથી ગુંજ્યા રિમોટ કંટ્રોલ અને ઈવીએમના મુદ્દા

                                                                                                                                                                                                      

એક તરફ જામનગર સહિત હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ પ.બંગાળની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે, તેવામાં પ.બંગાળમાં મતદારયાદીને લઈને કોઈ વિવાદ થતા સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના મુદ્દે સુપ્રિમકોર્ટે જે કડક વલણ અપનાવ્યું છે, તે જોતા આ વિવાદ હવે માત્ર પ.બંગાળમાં જ નહીં, દેશભરની વિવિધ ચૂંટણીના પ્રચારમાં પણ પડઘાવાનો જ છે.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર માટે ગયેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વ્યંગમાં કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર માટે આખુ પખવાડિયુ પ.બંગાળમાં રહેવાના છે, તો આસામમા ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગી નેતા રાહુલ ગાંધીએ "રિમોટ કંટ્રોલ"થી આસામમાં શાસન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે.

દેશમાં યુપીએની સરકાર હતી, અને મનમોહનસિંહ વડાપ્રધાન હતા,ત્યારે ભાજપ એવા આક્ષેપો કરતો હતો કે કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે, અને મનમોહનસિંહ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતા નથી, વગેરે...

હવે રાહુલ ગાંધીએ આસામ સરકાર દિલ્હી (ભાજપ હાઈકમાન્ડ કે પછી પી.એમ.) ના ઈશારે ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આસામને અલગ-અલગ ધર્મ, જાતિ, વિચારધારાના લોકો એક સાથે રહેતા હોવાથી ફૂલોનો ગુલદસ્તો ગણાવ્યો અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને કેન્દ્ર સરકાર પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના પ્રહારો કર્યા.

રાહુલ ગાંધીએ જે કાંઈ કહ્યું, તેના કારણે પ્રવર્તમાન યુદ્ધગ્રસ્ત વૈશ્વિક રાજનીતિ વચ્ચે ગ્લોબલ પ્રત્યાઘાતો પણ પડવાના છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો રશિયા, ઈરાન કે ઈરાક પાસેથી ક્રૂડ ખરીદવું હોય તો ભારત જેવા સ્વતંત્ર દેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજુરી લેવી પડે છે. આપણે ટ્રમ્પને પુછ્યા વિના ક્રૂડ પણ ખરીદી શકતા નથી.

આટલેથી જ નહીં અટકતા રાહુલ ગાંધીએ સણસણતો આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે, અને ટ્રમ્પ તેનો મનસ્વી રીતે ઉપયોગ કરી શકે છે, વગેરે...

એ પછી ટ્રેડ ડીલ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ અમેરિકન કંપનીઓનો નવ લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવાનો નિર્ણય ભારતના નાના વ્યવસાયિકો તથા ઉદ્યોગોને નુકસાન કરશે, તેવા મંતવ્યો સાથે પી.એમ. મોદી ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનું જણાવી ડીલ સામે સવાલો ઉઠાવ્યા.

દેશના આસામ, પ.બંગાળ, ગુજરાત સહિતના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આંધ્ર પ્રદેશની વર્ષ ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગોલમાલ થઈ હોવાના તમતમતા આક્ષેપો તથા આંકડાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે સનસનાટી મચાવી દીધી છે. તેમણે વર્ષ ૨૦૨૪માં મધ્યરાત્રિથી રાત્રિના બે વાગ્યા વચ્ચે કુલ મતદાનના ૪.૧૬ ટકા મતો પડયા હતા, અને ૧૭ લાખ મતોની ગોબાચારી થઈ હોવાનો આક્ષેપ કરીને દર ૨૦ સેકન્ડે એક મત પડયો હોવાનો દાવો કર્યો હોવાના અહેવાલોએ ૨૦ સેકન્ડમાંથી ૧૪ સેકન્ડ ઈવીએમને રિસેટ થતા લાગતી હોય તો ૬ સેકન્ડમાં કેવી રીતે મતદાન થઈ શકે ? વગેરે સવાલો ઉઠાવ્યા હતા, તેવા અહેવાલો વહેતા થયા છે.

આ પ્રકારના અહેવાલો વહેતા થયા પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં ઈવીએમનો મુદ્દો ફરીથી ઉછળવા લાગ્યો હતો અને "ભૂતિયા મતદાન" થી જંગી બહુમતી  મેળવાઈ રહી હોવાની કોમેન્ટો થવા લાગી હતી.

તે ઉપરાંત ચૂંટણીપંચે મતદાનના જુદા જુદા સમયે જે આંકડા જાહેર કર્યા, તેનો પણ ટાંગામેળ થતો નહીં હોવાનું જણાવીને એક વરિષ્ઠ વકીલ તથા રાષ્ટ્રીય કક્ષાના એક સમયના રાજનેતાએ પણ ફોર્મ નંબર ૧૭ (સી) નો ઉલ્લેખ કરીને એવો અભિપ્રાય આપ્યો છે કે લોકતંત્રને બચાવવા માટે વીવીપેટની સ્લિપોની ગણતરી કરવાની જે માંગણી ઉઠી રહી છે, તેને ચૂંટણીપંચે સ્વીકારી લેવી જોઈએ.

જો કે, ચૂંટણીપંચે આ મુદ્દે કોઈ સત્તાવાર જવાબ આ લખાય છે, ત્યાં સુધી આપ્યો હોવાનું જાણમાં નથી, પરંતુ એવું કહેવાય છે કે ચૂંટણીપંચે બે વર્ષ પછી આ પ્રકારના આક્ષેપો કરવાની હરકતને જ ગેરબંધારણીય ગણાવી દીધી અને જો ગોબાચારી થઈ જ હોય તો સમય મર્યાદામાં ચૂંટણીપંચમાં રજૂઆત, અપીલ કરવી જોઈતી હતી, અથવા કોર્ટનો દરવાજો ખખડાવવો જોઈતો હતો, પરંતુ આંધ્રપ્રદેશના કોઈ ઉમેદવારે આવું કર્યું નથી, ત્યારે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને બેબુનિયાદ આક્ષેપો કરવા યોગ્ય નથી, તેમ જણાવીને તમામ આરોપો નકારી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે આ આક્ષેપો કરનાર અર્થશાસ્ત્રી બીજું કોઈ નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રીના પતિ હોવાથી આ મુદ્દાને વધુ હવા મળી હોવાનું કહેવાય છે.

રિમોટ કંટ્રોલ અને ઈવીએમમાં ગોબાચારીના મુદ્દા એક વખત ફરીથી ઉછળ્યા છે, અને ચૂંટણી પ્રચારમાં તેનો ભરપૂર ઉપયોગ પણ થઈ રહ્યો છે, ત્યારે આ બંને મુદ્દા પોતાનો જનાદેશ આપતી વેળાએ મતદાતાઓના દિમાગમાં પણ છવાયેલા રહેશે એ નક્કી છે.

હાલાર સહિત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં કુદરતી માહોલ પણ બદલાયો છે અને ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ પણ થયો છે. રાજ્યની રાજનીતિમાં પણ "કમોસમી" વરસાદ જેવી ઘટનાઓ સર્જવા લાગી છે અને આ રાજનૈતિક માવઠાઓ કોને ફાયદો કરાવશે, અને કોને હાનિ કરશે, તે તો ૨૮મી એપ્રિલે પરિણામો આવ્યા પછી જ સમજાશે, પરંતુ અત્યારે તો યુદ્ધની ગર્જનાઓ કરતાંયે વધુ ઘોંઘાટિયા ચૂંટણી પ્રચારના પડધમ વાગવા લાગ્યા છે, જોઈએ, જનતાનો જનાદેશ શું આવે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh