Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહા૫ાલિકાની ચૂંટણીની આહટ... રાજકીય હલચલ તેજ... કોણ કેટલા પાણીમાં ?

                                                                                                                                                                                                      

ગુજરાત રાજ્યનું ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી ઉપરાંત બસપા સહિતના રાજકીય પક્ષો તથા કેટલાક અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, તેથી પસંદગી પ્રક્રિયાથી માંડીને પ્રચાર-પ્રસારનું પ્લાનીંગ પણ થઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. અને અવનવા ગણિત મંડાઈ રહ્યા છે.

જામનગરમાં વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની ગણતરીએ ૬૪ બેઠકો માટે ચૂંટણી થશે. ભાજપે તો આજથી જ જામ્યુકોની ચૂંટણીના સંદર્ભે ફોર્મ વિતરણ સહિતની પ્રક્રિયા આદરી છે અને હવે આગામી દિવસોમાં સેન્સ મેળવવાથી માંડીને ઉમેદવારોની જાહેરાત સુધીનો પ્રથમ તબક્કાનો ધમધમાટ ચાલશે. તે પછી આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી તંત્ર સંપૂર્ણપણે ચૂંટણી પ્રક્રિયાના કામે લાગી જશે, જ્યારે રાજકીય પક્ષો તથા સ્થાનિક નેતાઓ પ્રચાર-પ્રસાર અને મતદારોને રિઝવવાના કામે લાગશે. ભાજપની જેમ જ અન્ય રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ થશે. જો કે, આખરી ચિત્ર તો ચૂંટણીની તારીખો જાહેર થયા પછી તથા ઉમેદવારીપત્રો ભરાયા પછી જ સ્પષ્ટ થશે.

જામનગરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે "ઉપરથી" કોઈને કોઈ માપદંડો તો જરૂર સૂચવાશે. ભાજ૫ે ભૂતકાળમાં નો રિપિટ થિયરી, યુવા અને બુઝુર્ગ ઉમેદવારોનું સંયોજન, ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારો તથા ચોક્કસ વયમર્યાદા માટે કોઈ ચોક્કસ રણનીતિ ઘડાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

કોંગ્રેસ સામે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયા પછી ત્રણ ગણા મૂરતિયામાંથી પસંદગી કરવાનો પડકાર છે, તો ગત ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મળેલી સફળતાને ધ્યાને લઈને વિપક્ષો દ્વારા કોઈ ચૂંટણી સમજૂતિ થાય અથવા ફ્રેન્ડલી ફાઈટ થાય, તેવા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ચૂંટણીની સમજૂતિ થાય, તેવી શક્યતા ઓછી હોવાથી જામનગર મહાનગરપાલિકામાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તથા કેટલાક વોર્ડમાં બહુ પાંખીયો જંગ હશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ અલગ-અલગ રણનીતિ ઘડાઈ રહી છે. એટલે કે આ વખતે આખા મહાનગરમાં રાજકીય પક્ષો દ્વારા સમાન વ્યૂહરચના નહીં હોય, પરંતુ પ્રત્યેક વોર્ડમાં એસઆઈઆર પછીની સ્થિતિની સમીક્ષા તથા અન્ય સમીકરણોને ધ્યાને લઈને અલગ-અલગ વ્યૂહ નક્કી કરીને ઉમેદવારો ચૂંટણી લડશે, તેમ જણાય છે.

નગરના કેટલાક વોર્ડમાં ભાજપ મજબૂત છે, ત્યાં આપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કાળજીપૂર્વક થશે, તથા જ્યાં વિપક્ષો મજબૂત છે, ત્યાં ભાજપ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારશે, તે સ્પષ્ટ છે.

ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સામે વોર્ડ નંબર  ૬મા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો પડકાર છે, તો ભાજપ માટે કેટલાક ચોક્કસ વોર્ડમાં વિપક્ષની જોરદાર ટક્કરનો સામનો કરવો પડી શકે છે.

જામનગર મહાનગરપાલિકા સામેની એન્ટી ઈન્કમ્બન્સી, તાજેતરમાં વૈશ્વિક અશાંતિની સ્થિતિમાં ઊભા થયેલા સંજોગોના કારણે  રાંધણગેસની પડેલી અછત, કેટલીક રોજીંદી અણ ઉકેલ રહેતી સમસ્યાઓ તથા ભ્રષ્ટાચાર, કૌભાંડો અને સાંઠગાંઠના વિપક્ષો દ્વારા કરાતા સતત આક્ષેપોના કારણે ભારતીય જનતાપક્ષ માટે જામનગર મહાનગરપાલિકામાં સરળતાથી પુનઃ જનાદેશ મળવો અઘરો ગણાવાઈ રહ્યો છે, તો બીજી તરફ મહાનગરમાં થયેલા વિકાસના કામો, કેટલીક સુવિધાઓમાં વધારો તથા લોક-કલ્યાણ અને ત્રિપલ એન્જિનની સરકારો દ્વારા મહાનગરને થયેલા યોજનાકીય લાભો ઉપરાંત વડાપ્રધાનની લોકપ્રિયતાનો ફાયદો પણ ભાજપને મળશે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, તેથી અત્યારે રાજકીય દૃષ્ટિએ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણી શકાય.

ઘણાં લોકો કહે છે કે મુખ્ય રાજકીય પક્ષોને સ્થાનિક આંતરિક જુથવાદ અને ખટરાગનો પણ સામનો કરવો પડી શકે છે, અને ખાસ કરીને ટિકિટોની વહેંચણી થયા પછી જો અસંતોષનો પરપોટો ફૂટશે, તો ચૂંટણીઓ દરમ્યાન મોટા ઉલટફેરની સંભાવનાઓ પણ રહે છે. આ કારણે અત્યારે રાજનીતિમાં પ્રવાહી સ્થિતિ છે અને કોઈપણ રાજકીય પક્ષે "વહેમ"માં રહેવા જેવું નથી.

જામનગરમાં લગભગ દરેક ચૂંટણીઓમાં ચર્ચાના ચાકડે ચડતી કેટલીક સમસ્યાઓ બે દાયકાના શાસન પછી પણ અણ ઉકેલ રહી હોવાનો જવાબ મતદારો ભાજપના શાસકો પાસે માંગશે. આ સમસ્યાઓમાં રખડતા ઢોર, કરડી ખાતા આવારા શ્વાન, અણઘડ ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થાનો સદંતર અભાવ, કેટલાક વોર્ડમાં કાયમી ગંદકી, મોટા દબાણો સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ (વ્હાઈટ હાઉસ ફેઈમ) વગેરેના કારણે નગરજનો સ્વાભાવિક રીતે જ નારાજ છે, તો આ તમામ મુદ્દે નિવેદનીયા અને નાટકીયા વિરોધ સિવાય વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ કોઈ સફળ રજૂઆતો કે કાનૂની કાર્યવાહી કરી નથી, તે પણ હકીકત છે. જો કે, આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ નહીં હોવાથી વિપક્ષો પાસે અવસર છે, પણ... ? ! ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh