Advertisement
Author: નોબત સમાચાર

શ્રી અંધકેશ્વર મહાદેવની કથા

                                                                                                                                                                                                      

દૈત્યરાજ હિરણ્યાક્ષને ત્યાં અંધક નામનો પુત્ર હતો. આ દૈત્યપુત્ર અંધકે બ્રહ્માજીને તપ વડે પ્રસન્ન કરી અને અત્યંત દૂર્લભ એવા બળની પ્રાપ્તિ કરી હતી. બ્રહ્માજી પાસે જયાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી આયુષ્ય માંગી લીધા પછી અંધકને અભિમાન જાગ્યું. ં

બળની પ્રાપ્તિ થવાથી અતિ અભિમાન સાથે અંધકે ત્રણેય લોકને જીતી લીધા. ત્યાર પછી દેવતાઓ અને દિગપાલોને પણ જીતી લઈ ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. અંધકદૈત્યના ત્રાસથી કંટાળી અને દેવતાઓ મંદરાચલ પર્વતમાં આશ્રય મેળવી અને ત્યાંજ પોતાનો દેહ નિર્વાહ કરવા લાગ્યા હતા.

જયારે દૈત્ય અંધકાસુરને એ વાતની જાણ થઈ કે, દેવતાઓ મંદરાચલ પર્વતમાં છુપાયા છે ત્યારે તેને મારવા માટે અંધકાસુર પોતાના સૈન્ય સાથે તે મંદરાચલ પર્વતમાં ગયો. ત્યાં દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં પીડા પામવાથી દેવતાઓ ત્યાંથી દશેય દિશામાં ભાગવા લાગ્યા. ં

ત્યાર પછી અંધકાસુર દૈત્ય નૈઋત્ય ખૂણામાં સમુદ્રની નજીક એક સુંદર ખાડો કરી તેમાં તે પ્રવેશ્યો અને ત્યાં રહેતો. તે સમયાંતરે તેમાંથી બહાર નીકળી અવાર - નવાર તે પ્રજાને પીડા આપી ફરી તે ખાડામાં પેસી જતો. તેનાથી અત્યંત પીડાયેલા દેવતાઓ અવાર-નવાર ભગવાન શંકર પાસે પ્રાર્થના કરી અને અંધકાસુર દૈત્ય વડે થયેલા દુઃખો કહી સંભળાવ્યા. આ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરવાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે કહ્યું, "તમે સૈન્ય લઇ ત્યાં જાઓ, હું પણ ગણ સહિત ત્યાં આવું છું "

દેવો ત્યાં ગયા એટલે દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને ત્રિશુલ વડે અંધકાસુરનો અંત આણવા ગયા ત્યારે અંધકાસુરે પ્રાર્થના કરવા માંડી "હે શિવ શંભો, હે કૃપાનિધાન, અંતકાળ મને તમારા દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે તેથી હું મહાભાગ્યશાળી છું. આપ મારા પર કૃપા કરી પ્રસન્ન થાઓ અને તમારી શુભ ભક્તિ મને કાયમ રહ્યાં કરે તેવી આશીર્વાદ આપો."  આમ કહી અંધકાસુરે ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર પ્રસન્ન થઈ તેને આશીર્વાદ આપ્યા, પછી તે ઉપરાંત અન્ય આસુરો પણ હણાયા.

આથી, દેવતાઓને સંતોષ થયો. તેઓ પોતાના કાર્યમાં લાગી ગયા. ભગવાન શિવજી અંધકાસુરની ભકિતથી પ્રસન્ન થઈ ભગવાન શિવજી તેને અમર બનાવવા ત્યાં જ સ્થાપિત થયા અને અંધકેશ્વર નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. ક્ષણવારની ભક્તિ માત્રથી જેના ઉપર કૃપા કરી તેવા ભગવાન શિવજીને ભોળાભાવે ભજનારા ભક્તોના સર્વ સંકટો દૂર થાય છે અને તે શિવલોકને પામે છે તેવું શાસ્ત્રનું વિધાન છે .

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh