લક્ષ્મીજીએ કરેલી શિવ- ભક્તિની કથા

                                                                                                                                                                                                      

અનેક લીલા કરનારા ભગવાન વિષ્ણુએ એક વખત કોઈ કારણોસર લક્ષ્મીજીને ભૂલોકમાં અશ્વયોનીમાં જન્મ થાય, તેવો શાપ આપ્યો. ભગવાનની દરેક લીલાઓમાં કોઈને કોઈ રહસ્ય અવશ્ય છુપાયેલું હોય છે. પરંતુ આ શાપ મળવાથી લક્ષ્મીજી અત્યંત દુઃખી અને વ્યથિત થયા. તેમણે પોતાનું દુઃખ અને વ્યથા વિષ્ણુ ભગવાન પાસે વ્યક્ત કરી.

વિષ્ણુ ભગવાને કહ્યું, ' હે દેવી, મારુ વચન અફળ તો નહીં જ થાય. પરંતુ થોડો સમય તમે અશ્વયોનીમાં રહેશો, પછી મારા જેવો જ એક પ્રભાવશાળી પુત્ર તમારે ત્યાં થશે. એ સમયે તમારી શાપમાંથી મુક્ત થશે અને તમે મારી પાસે આવી જશો.

ભગવાનના શાપનો ભોગ બનેલા લક્ષ્મીજીએ ભૂલોકમાં આવી અશ્વયોનીમાં જન્મ લીધો. કાલીન્દી અને તમસા નદીના સંગમપર ભગવાન શિવજીની લક્ષ્મીજીએ આરાધના કરવી શરૂ કરી. એક હજાર વર્ષ સુધી સતત શિવજીનું ધ્યાન તપ લક્ષ્મીજીએ અશ્વયોનીમાં કર્યું.

તેમની આ ઉગ્ર તપસ્યાથી દેવાધિદેવ મહાદેવજી અત્યંત પ્રસન્ન થયા. સાક્ષાત શિવજી માતા પાર્વતી સહિત વૃષભ ઉપર સવાર થઈ અશ્વ બનેલ લક્ષ્મીજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, 'હે દેવી, તમે તો જગતના માતા છો અને વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છો. તમે મુક્તિ-ભુક્તિ દેવાવાળા, આ સંપૂર્ણ જગતના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના છોડી મારી આરાધના કેમ કરી રહ્યાં છો ?

વેદોમાં સ્પષ્ટ કહ્યુ છે કે, સ્ત્રીઓએ હંમેશાં પોતાના પતિની જ ઉપાસના કરવી જોઈએ. સ્ત્રી માટે તેના પતિથી વધારે કોઈ દેવતા નથી. પતિ ગમે તેવા હોય તેજ સ્ત્રીના આરાધ્ય દેવ હોય છે. ભગવાન નારાયણ તો પુરૂષોતમ છે, એવા દેવેશ્વર પતિની ઉપાસના છોડી અને તમે મારી ઉપાસના ક્યાં કરવા લાગ્યા ?

ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, ' હે શિવજી મારા પતિ દેવના શાપથી જ મારો આ અશ્વયોનીમાં જન્મ થયો છે. આ શાપનો અંત મારે ત્યાં પુત્ર થશે ત્યારે થશે. પરંતુ હું મારા પતિદેવના સાંનિધ્યથી વંચિત છું. તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે. હે દેવાધિદેવ તમારી ઉપાસના મેં એ માટે કરી છે કે, હું શ્રી હરિ અને હરમાં કોઈ ભેદ જોતી નથી. આપ બન્નેય  એક જ છો. માત્ર રૂપનો જ ભેદ છે તેવું શ્રી હરિએ મને કહેલું છે. તમારા એકત્વને જાણીને જ મેં તમારી આરાધના કરી છે. હે ભગવાન તમે મારા પર પ્રસન્ન થઈ મારું દુઃખ દૂર કરો.

ભગવાન શિવજીએ લક્ષ્મીજીના આ વચનોને સાંભળી અત્યંત પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુને આ બાબતે પ્રાર્થના કરવાનું વચન આપ્યું. અને શ્રી હરિને પ્રાપ્ત કરવા તથા મહાન પરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય તેવું વચન પણ આપ્યું ત્યાર પછી શિવજી માતા પાર્વતી સહિત કૈલાસમાં ગયા.

કૈલાસમાં બુદ્ધિમાન એવા ચિત્રરૂપને બોલાવી તેને દુત બનાવી અને વૈકુંઠ મોકલાવ્યો. ચિત્રરૂપ દ્વારા ભગવાન શિવજીએ મોકલાવેલ સંદેશો સાંભળી તથા દેવી લક્ષ્મીજીની સ્થિતિને જાણી ભગવાન વિષ્ણુએ અશ્વનું રૂપ લીધું. એ રૂપ સાથે તેઓ લક્ષ્મીજી પાસે ગયા. સમયાન્તરે દેવી લક્ષ્મીને 'એકવીર' નામનો પુત્ર થયો. તેના દ્વારા જ 'હૈહય-વંશ'ની ઉપ્તત્તિ થઈ.

આ પ્રકારે લક્ષ્મીજીના શાપની નિવૃત્તિ થઈ અને ફરી એક વખત દિવ્ય શરીર ધારણ ધરી દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ગયા. તેમની શિવ આરાધના સફળ થઈ ગઈ.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગંર્ગાચાર્યજીની શિવ-ઉપાસના

                                                                                                                                                                                                      

મહર્ષિ ગર્ગાચાર્યજી આંગિરસ ગોત્રમાં જન્મ્યા હતા. તેઓ એક સુપ્રસિદ્ધ મન્ત્ર દ્રષ્ટા ઋષિ હતા. ઋગ્વે ના ૬/૪૭ સુક્તના દૃષ્ટા ગર્ગાચાર્યજી જ છે. ગર્ગાચાર્યજીનો સુપ્રસિદ્ધ આશ્રમ કુરુક્ષેત્ર પ્રદેશમાં દેવનદી સરસ્વતીના તટ પર હતો.

ગર્ગાચાર્યજીએ આ આશ્રમમાં રહી ઉગ્ર તપસ્યા વડે જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જયોતિષ શાસ્ત્રના ઉત્તમ ગ્રંથોની રચના કરી. જેમાં 'ગર્ગ સંહિતો' નામના પરમ પવિત્ર ઐતિહાસિક ગ્રંથનો પણ સમાવેશ થાય છ. આ ગર્ગાચાર્યજી પરમ શિવભક્ત હતા. તેઓ મહારાજ પૃથુ અને યદુવંશીઓના ગુરૂ અને કુલપુરોહિત હતા. ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી તેમણે બનાવી તેનો ફળાદેશ કરેલો. ગોત્રકાર ઋષિઓમાં પણ તેમની વિશિષ્ટ રૂપથી ગણના થાય છે.

ભગવાન શિવજીમાં અતુટ શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરનારા ગર્ગાચાર્યજીએ ભગવાન શિવજીની આરાધના વડે જ શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.

મહાભારતના અનુશાસન પર્વની કથા પ્રમાણે તેમણે પવિત્ર સરસ્વતી નદીના તટ પર શિવજીને પ્રસન્ન કરવા માટે માનસ યજ્ઞ કર્યો. ગર્ગાચાર્યજીના આ માનસ યજ્ઞની ભગવાન શિવજી અત્યંત સંતુષ્ટ થઈ પ્રસન્ન થયા. જ્યારે શિવજીએ ગર્ગાચાર્યજીને વરદાન માગવા કહ્યું ત્યારે ગર્ગાચાર્યજીએ દેવાધિદેવ મહાદેવ પાસે બે હાથ જોડી સ્તુતી કરી, પછી જ્ઞાન પ્રાપ્તિ માટે વિંનતી કરી.

ભગવાન શિવજીએ મહર્ષિ ગર્ગાચાર્યજીને પ્રસન્નચિત્તે ચોસઠ કળાઓનું અદ્ભુત જ્ઞાન પ્રદાન કરી આશીર્વાદ આપ્યા. શિવજીની કૃપાથી જ તેમને એક સરખા સહસ્ત્ર બ્રહ્મવાદી પુત્રોની પ્રાપ્તિ થઈ. પુત્રો સહિત દસ લાખ વર્ષનું આયુષ્ય તેમને પ્રાપ્ત થયું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

ઉત્તમ પૂજા

                                                                                                                                                                                                      

એક જંગલમાં એક અતિપ્રાચીન શિવ મંદિર હતું. ત્યાં તે વિસ્તારનો જે રાજા હતો તે દરરોજ શિવલીંગની પૂજા કરવા આવતો. તે ભક્તિયુક્ત થઈને વિવિધ પ્રકારના સંગધિત પુષ્પો અને પુજાની સામગ્રી પોતાના દિવ્યરથમાં લાવી નિયમિત નિર્મળ જળ અને સંગધિત પુષ્પો વડે શિવપૂજન કરતો.

આ વિસ્તારમાં ભીલ જાતિનો કઠીયારો પણ રહેતો હતો. તેને પણ આ શિવ મંદિર અને તેમાં બિરાજતા શિવલીંગ પર અપાર શ્રધ્ધા હતી. તેની પાસે કોઈ વાસણ ન હતુ. તેથી પાસેથી નદીમાંથી ખોબા ભરી આવી અને શિવલીંગ પર ચડાવતો. તે ઉપરાંત જંગલમાં આસપાસ ઉગેલા છોડ પર થી ફૂલ વગેરે લાગી શિવલીંગ પર ચડાવતો. રાજા અને ભીલ જાતિનો કઠીયારો બન્નેય પોતાની શ્રધ્ધ અને ભક્તિપ્રમાણે શિવજીની પૂજા કરતા હતા.

આ બન્નેયની નિયમિત રીેત પૂજા થતી જોઈ એક વખત પ્રાતઃ કાળે માતા પાર્વતીજીએ શિવજીને ઉદ્દેશીને એક પ્રશ્ન કર્યો, 'હે નાથ, છેલ્લા કેટલાક સમયથી એક રાજા અને એક ભીલ જાતિનો કઠીયારો નિયમિત રીતે શ્રધ્ધાભક્તિ સાથે તમારી ઉત્તમ પ્રકારે પૂજા કરે છે. હવે મને પ્રશ્ન એ થાય છે કે, આ બન્નેયમાંથી ઉત્તમ પૂજા ખરેખર કોની ગણાય ?'

શિવજીએ પાર્વતીજીની મુંઝવણ દૂર કરતાં તેમના પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું, 'હે દેવી, તમારા આ પ્રશ્નનો જવાબ તમને આવતીકાલે અવશ્ય મળી જશે.'

બીજા દિવસ સવારે હંમેશાંની જેમ જ ભીલ જાતિનો કઠીયારો શિવજીની પૂજા કરવા માટે નીકળ્યો. આ સમયે વરસાદ પડવા શરૂ થઈ ગયો હતો. આકાશમાં વીજળી ચમકારા કરી રહી હતી. વાદળા ગરજવાનો ભયંકર અવાજ પણ આવી રહ્યો હતો. આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ શિવપૂજન કરવા નીકળેલો ભીલ જાતિનો કઠીયારો પોતાના રોજ ના નિયમ મુજબ શિવજીને જળાભિષેક કરવા લાગ્યો તે શિવ મંદિરમાં હતો ત્યાં જ વીજળી શિવ મંદિર પર ત્રાટકી મંદિરની છત તુટી પડી. શિવ મંદિરમાં રહેલા ભીલ જાતિના કઠીયારાએ વિચાર કર્યો, મંદિરનો કાટમાળ શિવલીંગ પર પડે તો તેમને ઈજા થાય. તેથી તેણે પોતાના શરીર વડે શિવલીંગને ઢાંકી દીધુ. તેણે પોતાની પીઠ ઉપર ઉપરથી પડતો કાટમાળ ઝીલી લીધો.

બીજી બાજુ બરાબર આ જ સમયે રાજા સુગંધિત ફૂલો અને શુદ્ધ જળ લઈ અને શિવ મંદિર પાસે આવ્યો. પરંતુ મંદિર તુટી પડેલ છે તે જોઈને ત્યાંથી જ પાછો વળી ગયો. તે પોતાના રાજમહેલ પરત ગયો. જ્યારે ભીલ જાતિના કઠીયારાએ જ્યારે વાતાવરણ શાંત થયું ત્યારે મંદિરમાંથી સફાઈ કરી ફરી ખોબે ખોબે શિવલીંગ પર અભિષેક કરી. ખુશ્બુદાર ફૂલો શિવલીંગ પર ચડાવ્યા. પોતાને થયેલ ઈજાની પણ તેણે પરવા ન કરી.

ત્યારે હસતાં હસતાં શિવજીએ પાર્વતીજીને સંબોધીને કહ્યું, ' દેવી , ગઈકાલે તમે જે પ્રશ્ન મને પુછેલો તેનો જવાબ તમને મળી ગયો ?

- દેવેન કનકચંદ્ર. વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પવિત્ર અમરનાથની કથા

                                                                                                                                                                                                      

એક વખત દેવાધિદેવ શિવજીએ માતા પાર્વતીજી સમક્ષ પોતે રૂંઢમાળા શા માટે ગળામાં ધારણ કરે છે તેનું રહસ્ય પ્રગટ કરતા જણાવ્યું કે, 'તમારા દરેક અવતાર બાદ તમારો દેહવિલય થાય ત્યારે તે સમયે તમારી ખોપરીને હું મારી આ રૂંઢમાળામાં પોરવી દઉં છું. કારણ કે, તમે મને અત્યંત પ્રિય છો.'

આ સમયે શિવજી અજર-અમર છે અને પોતાને વારંવાર અવતાર લેવા પડે છે એ વાત માતા પાર્વતીજીએ જાણી ત્યારે પોતે પણ અમર થવા માટેની જીદ્દ પકડી ત્યારે મહાદેવજીએ માતા પાર્વતીજીને જણાવ્યું કે, ' અમર થવા માટે અમર કથા સાંભળવી પડે. આ કથા કોઈ એકાંત પ્રદેશમાં જ થઈ શકે.'

માતા પાર્વતીજી એકાંત પ્રદેશમાં અમર કથા સાંભળવા તૈયાર થયા. ત્યારે શિવજી અને પાર્વતીજી કૈલાસથી નીચે નિર્જન પહાડીઓમાં આવ્યા. કાલાગ્ની રૂદ્રને શિવજીએ આજ્ઞા આપી કે આ પહાડોની આસપાસ કોઈ જીવ, જંતુ, પશુ-પક્ષી કે વૃક્ષ-ઝાડ-પાન ન રહેવા જોઈએ.

કાલાગ્ની રૂદ્રએ તે બધાયને બાળી નાખ્યા. પછી પહાડોમાં એક ગુફામાં બેસી અને શિવજીએ માતા પાર્વતીને કહ્યુ, 'હુ હવે અમર કથાનો પ્રારંભ કરું છું. તમે હોંકારો ભણતા રહેજો. કારણ કે, આ અમરકથા હું સમાધિ અવસ્થામાં તમને કહીશ. તમને મુક્તિની પ્રાપ્તિ થાય તેવું જ્ઞાન હું તમને આપીશ.'

આમ કહી શિવજી તો સમાધિ લગાડીને બેસી ગયા. તેમના મુખમાંથી અમરવાણીનું જ્ઞાન વહેલા લાગ્યું. પાર્વતીજી કથા સાંભળતાં સાંભળતાં હોંકારો દેવા લાગ્યા. પરંતુ આ કથા સાંભળતા પાર્વતીજીને તો ઝોંકુ આવી ગયું તેઓ નિદ્રાધિન થઈ ગયા.

જ્યારે અમરકથા પૂરી થઈ તો શિવજીએ આંખો ખોલીને જોયું તો માતા પાર્વતીજી તો ઘસઘમાટ નિદ્રામાં હતા ત્યારે શિવજીને પ્રશ્ન થયો કે, તો પછી પાર્વતીજીના બદલે હોંકારો કોણ દેતું હતું? તેમણે ગુફામાં ઉપર દૃષ્ટિ કરી તો તે કબુતરના બચ્ચાં દેખાયા. તે બોલ્યા, ' પ્રભુ, અમે આ માળામાં ઈંડા ના સ્વરૂપમાં હતા. આપે જ્યારે ગુફામાંથી પ્રાણવાયુ સમેટી લીધેલો ત્યારે અમારી માં અમને ઈંડા સ્વરૂપે મૂકી અને ઉડી ગઈ હતી. ત્યાર પછી ઈંડામાંથી અમે બહાર નીકળ્યા અને આપની અમરવાણી સાંભળી અમે જ હોંકારો દેતા હતા.

ત્યારે દેવાધિદેવ મહાદેવે કહ્યુ, ' અમર કથા સાંભળી તમે અમર થઈ ગયા પરંતુ પાર્વતીજી અમર ન થઈ શક્યા.' આજે પણ અમર થયેલા તે કબુતરના અમરનાથજીની ગુફામાં દર્શન થાય છે.

આ અમરનાથજીની ગુફામાં સ્વયંભુ બરફનું શિવલીંગ થાય છે. જે એકમના નાનું થઈ જાય છે અને પૂનમના પરિપૂર્ણ થાય છે. ત્યાં બરફના સુતેલી સ્થિતિમાં પાર્વતી માતા અને ગણેશજી પણ બિરાજે છે. અષાઢ સુદ પૂર્ણિમાથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી અહીં દર વર્ષે મેળો ભરાય છે. આ અમરનાથજીની યાત્રા કરી ભાવિકો ધન્યતાનો અનુભવ કરે છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

રૃંઢમાળાની કથા

                                                                                                                                                                                                      

એક વાર પ્રસન્નચિત્ત બેઠેલા શિવજીને માતા પાર્વતીજીએ પ્રશ્ન પુછ્યો, હે નાથ તમે રૃંઢમાળા એટલે કે ખોપરીઓની માળા ધારણ કરો છો જ્યારે અન્ય દેવો હીરા-મોતી જેવા કિંમતી ઝવેરાતો અને સુવર્ણના ઘરેણા ધારણ કરે છે. તમને આ ખોપરીઓની માળા કેમ આટલી બધી પ્રિય છે ? તેનું રહસ્ય મને જણાવો.

દેવાધિદેવ શિવજી માતા પાર્વતીજીના મુખેથી આ અચાનક પુછાયેલા પ્રશ્નને સાંભળીને ખડખડાટ હસી પડાયું. શિવજી બોલ્યા, દેવી એ જાણવાની તમારે શી જરૂર છે?

મને તે અત્યંત પ્રિય છે તેથી તેને હું ધારણ કરૂ છું. તમે તો મારા અર્ધાંગિની છો. તમારે મને આવા પ્રશ્નો ન પુછવા જોઈએ.

ત્યારે પાર્વતી માતા એક ના બે ન થયા.  તેમણે રીતસરની હઠ પકડી આજે તો તમે મને એ જણાવો જ કે તમે હાડકાંના હારડા શા માટે ધારણ કરો છો?

શિવજી સમજી ગયા કે નક્કી આ આગ નારદજી જ લગાડી ગયા લાગે છે. તેમણે પાર્વતી માતાને પ્રશ્ન પુછ્યો, આજે હું વન વિહાર કરવા ગયો ત્યારે અહીં કોઈ આવ્યું હતુ ?

માતા પાર્વતીએ જવાબ આપ્યો,' હા, મહર્ષિ નારદજી આવ્યા હતા. તેમણે જ આ પ્રશ્ન મને પુછ્યો. તેઓ એ બધા દેવોને આ રહસ્ય પુછ્યુ. પરંતુ કોઈનેય તેનો ઉત્તર ન મળ્યો. તેથી પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન નારદજીએ મને પુછ્યો. ત્યારે મેં પણ અન્ય દેવોની જેમ જણાવ્યું કે, ' આ રહસ્ય વિશે તો મને પણ કંઈ જાણ નથી.'

ત્યારે મને નારદજીએ કહ્યું, ' તમે તેમના અર્ધાંગિની છો ને તમેય તે રહસ્ય ને નથી જાણતા?'  આમ કહી માતા પાર્વતી એ ઝડપથી આ રહસ્યને પ્રગટ કરવા શિવજીને વિનંતી કરી.

આખરે સ્ત્રી હઠ પાસે ઝુકી ગયેલા દેવાધિદેવ મહાદેવે તેનું રહસ્ય જણાવતા કહ્યું, 'દેવી' આ જેટલી ખોપરીઓ છે તેટલા તમારા અવતાર થયા છે. તમારા દરેક અવતારની ખોપરી ને મેં મારા આ રૃંઢમાળામાં પોરવી દીધી છે. તમારા થી વધારે આ જગતમાં મને બીજુ કંઈ નથી. તમે મારા હૃદયેશ્વરી છો. તમારા દરેક અવતારના દેહવિલય બાદ તેની ખોપરી હું લઈ મારા આ હારમાં પોરવતો આવ્યો છું. તેના વડે જ મને હૃદયની સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.'

શિવજીના મુખેથી આ રહસ્ય સાંભળી અને સતી પાર્વતી તો વ્યથિત થઈ ગયા. તેમણે મહાદેવજીને કહ્યું, ' તમે અજરઅમર છો અને મારે અવતાર ધારણ કરવા પડે છે ? હું પણ તમારી જેમ જ અમર કેમ ન બનું ? હું તમારી અર્ધાંગિની છું. મારે પણ આ જન્મજન્માંતરના ફેરામાંથી છુટવું છે.'

ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ' તમે તો માયાનું જ સ્વરૂપ છો. માયા ક્યારેય પણ અમર રહેતી નથી. જો તમારે અમર બનવું હોય તો અમર કથા સાંભળવી પડે. તે અમર કથા કોઈ એકાંત સ્થાનમાં જ સંભળાવી શકાય. અને પાર્વતી અમર કથા સાંભળવા તત્પર થયા.

આમ, શિવજીએ રૃંઢમાળા ધારણ કરવા પાછળનું રહસ્ય માતા પાર્વતીજીની સામે પ્રગટ કર્યું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh