Advertisement
Author: નોબત સમાચાર

કુદરતી ધરતીકંપ સાથે રાજકીય ક્ષેત્રે પણ ભૂકંપ... ઝટકા પર ઝટકા...

                                                                                                                                                                                                      

ગઈકાલે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેક અફઘાનિસ્તાનમાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવા છતાં છેક ઉત્તર ભારત સુધી તથા પડોશી દેશોમાં આ ધરતીકંપે ભય ફેલાવ્યો હતો. જો કે, બહુ મોટું નુકસાન થયું હોવાના સમાચાર ગઈકાલે મોડી રાત સુધી આવ્યા નહોતા.

આ કુદરતી ધરતીકંપની જેમ જ હમણાંથી રાજકીય ક્ષેત્રે પણ રોજ-બ-રોજ ભૂકંપ જેવા જ ઝટકા આવી રહ્યા છે. એક તરફ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે અને દુનિયામાં ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધનો ઉચાટ છે, તેની સાથે દરરોજ એવા ઘટનાક્રમો બની રહ્યા છે, જે રાજભૂમિને કંપાવી રહ્યા છે.

ગઈકાલે દિલ્હીમાં તો રાઘવ ચઢ્ઢાના મુદ્દે આમઆદમી પાર્ટી પર ભાજપ-કોંગ્રેસના નેતાઓ વ્યંગ કરી રહ્યા હતા, તેવા સમયે ચઢ્ઢાનું સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલું નિવેદન પણ વાયરલ થયું હતું. રાઘવ ચઢ્ઢા પછી કોંગ્રેસના એકાદ-બે નેતાઓએ કરેલા નિવેદનો પણ ગઈકાલે ચર્ચામાં રહ્યા હતા, અને આ મુદ્દો ગઈકાલે "ટોક ઓફ ધ કેપિટલ" બની ગયો હતો.

આ તરફ જામનગરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી આયારામ-ગયારામનો સીલસીલો શરૂ થયા પછી રાજકીય પક્ષોને ભૂકંપ જેવા જ ઝટકા લાગી રહ્યા હશે, તો બીજી તરફ હવે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જાય, તેની રાહ જોવાઈ રહી છે, કારણ કે ઉમદવારો નક્કી ન થાય, ત્યાં સુધી પાર્ટી દ્વારા થતા પ્રચારમાં બહુ "ટેમ્પો" જળવાતો હોય, તેમ જણાતુ નથી.

કુરદતે પણ કરવટ બદલી છે. એક તરફ દુનિયાના જુદા જુદા હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે, તો બીજી તરફ રણપ્રદેશોમાં કરા પડી રહ્યા છે, અને ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી, બળબળતી બપોરે ગરમી અને બપોર પછી કમોસમી વરસાદ થતા ઋતુચક્ર પણ બદલી ગયું હોય, તેવો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાના કારણે પ્રસરેલી ઠંડક છતાં કેટલાક ખેડૂતમિત્રોને નુકસાન થયું હશે, તેને મુંઝવણ થઈ રહી હશે.

રાજકીય ક્ષેત્રે પણ "કમોસમી" માહોલ છવાયો છે. ગુજરાતથી આસામ અને બંગાળ તથા દિલ્હીથી તામિલનાડૂ અને કેરળ સુધી નવા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે, અને પક્ષપલટાની મોસમ ખીલવાનો પ્રારંભ થઈ ગયો છે. પ.બંગાળમાં તો સરકારી તંત્ર જ ધ્વસ્ત થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. રાજકીય પક્ષોના દિગ્ગજો વિવિધ રાજ્યોના ચૂંટણી પ્રવાસે નીકળી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીમાં રાજકીય ડ્રામેબાજી ઘટી ગઈ છે, પરંતુ રાઘવ ચઢ્ઢાના પ્રકરણે દિલ્હીની રાજનીતિમાં પણ ગરમી લાવી દીધી છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરેના સંદર્ભે થઈ રહેલી અટકળો તથા સરકાર તરફથી થતા "સબ સલામત"ના દાવાઓ વચ્ચે દેશની જનતા અટવાઈ રહી હોય તેમ જણાય છે.

આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે અને ચોથી મે ના દિવસે મત ગણતરી પછી તેનું પરિણામ આવવાનું છે. ભારતીય જનતા પક્ષે તો પહેલેથી જ દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ટિકિટ ફાળવી દીધી હતી. ગોવિંદભાઈનું નિધન થયા પછી ખાલી પડેલી બેઠક પરથી તેમના જ પુત્રને મેદાનમાં ઉતારીને ભાજપે એક વ્યૂહાત્મક રણનીતિ અપનાવી છે, તો વિપક્ષ તરફથી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે પરિવારવાદ પર હંમેશાં પ્રહારો કરતા ભાજપના ઘણાં નેતાઓ તથા એનડીએના ઘણાં નેતાઓના પરિવારજનો પણ રાજનીતિમાં છે અને વારસામાં મળેલા હોદ્દાઓ પણ ઘણાં "વારસદારો" ભોગવી રહ્યા છે, તેને પરિવારવાદ ન કહેવાય ?

જો કે, ભાજપ તરફથી આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓના જવાબમાં એવું કહેવામાં આવતુ હોય છે કે કોઈ રાજકીય પક્ષનું પ્રમુખપદ વંશ પરંપરાગત ધોરણે એક જ પરિવાર પાસે રહે, તેને પરિવારવાદ કહેવાય, બાકી, પોતાની મહેનતથી આગળ વધેલા યુવા નેતાઓને રાજનીતિમાં કોઈ તક મળે, તો તેને પરિવારવાદ થોડો કહેવાય ?

જો ઉમરેઠની બેઠક પર આમઆદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, તો ત્રિપાંખીયો જંગ ખેલાશે. નવમી એપ્રિલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી ઉમરેઠની પેટા ચૂંટણી જીતવા ઉમેદવારો તથા રાજકીય પક્ષો આકાશ-પાતાળ એક કરશે, તે પણ નક્કી છે.

ચૂંટણીપંચે પણ ચૂંટણીઓની તૈયારીઓ આદરી છે અને આચાર સંહિતાના અમલ માટે બેઠકો યોજાઈ રહી છે, તો બીજી તરફ રાજ્યના ચૂંટણીપંચ સમક્ષ લેખિત રજૂઆત થઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા પછી પણ એસ.ટી. બસો પરથી શાસક પક્ષના નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી, તથા એ.ટી.એમ., બેંકીંગ સંકુલોમાં પણ નેતાઓની તસ્વીરો છે. રાજ્ય સરકારની વિવિધ વેબસાઈટમાં નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી. દીવાલો પર ચૂંટણી ચિહ્નો ચીતરવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં મુખ્યમાર્ગો અને જાહેર સંકુલો પરથી આ પ્રકારના બોર્ડ-બેનર્સ હટાવવાની શરૂઆત થઈ છે, પરંતુ આ કામગીરી વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ જેટલી ગંભીરતાથી થઈ રહી નહીં હોવાની રાવ પણ વિપક્ષ દ્વારા થઈ રહી છે, તો પક્ષ પલટાનો સીલસીલો શરૂ થતા ઝટકા પર ઝટકા રાજકીય ક્ષેત્રે પણ અનુભવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh