Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણાં દેશમાં આઝાદી મળી તે પછી બંધારણીય સંસ્થાઓ, સરકારી તપાસ એજન્સીઓ તથા બંધારણીય પદો પર બિરાજતા હોદ્દેદારો તદ્દન નિષ્પક્ષ, લોકલક્ષી અને બંધારણને અનુરૂપ સ્વાયત્ત હશે, તેવી વિભાવના સાથે બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું ઘડતર કર્યું હતું, અને જરૂર પડયે મૂળભૂત બાબતો તથા મૌલિક અધિકારો સિવાય બંધારણમાં સુધારા-વધારા કરવાની સત્તા પણ સંસદને આપી હતી, તથા તેની બંધારણીય સમીક્ષા કરવાની સત્તા સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચોને આપી હતી...આઝાદી મળી તેને સાડા સાત દાયકાથી વધુ સમય થઈ ગયો, તે દરમ્યાન બંધારણમાં ૧૨૫થી વધુ સુધારાઓ સંસદે બંધારણીય જોગવાઈઓ મુજબ કર્યા, તે પૈકી કેટલાક સુધારા વિવાદાસ્પદ રહ્યા અને કેટલાક બંધારણીય સુધારાઓ સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચ સુધી પણ પહોંચ્યા...આઝાદી મળી તે પછી રાજનૈતિક મૂલ્યો, પક્ષ-વિપક્ષ વચ્ચેનું સાંમજસ્ય અને પરસ્પર આદરની પરંપરાઓ સુદૃઢ બની હતી, પરંતુ હવે ધીમે ધીમે તેના પર સંકુચિત રાજનીતિ અને સ્થાપિત હિતો પ્રભાવી બની રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ બંધારણીય સંસ્થાઓ પર સત્તાધારીપક્ષનો પ્રભાવ વધી રહ્યો હોવાના આક્ષેપો થાય છે, તો બીજી તરફ વિપક્ષ તમામ બંધારણીય સંસ્થાઓ તથા એજન્સીઓ પર રાજનૈતિક દૃષ્ટિએ ખોટા પ્રહારો કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ તમામ અનિચ્છનિય અને બિનજરૂરી વિવાદો વચ્ચે લોકોને દેશના ન્યાયતંત્ર પર ભરોસો છે અને સર્વોચ્ચ અદાલત તથા હાઈ કોર્ટના કેટલાક નિર્ણયો દૂરગામી અને લોકતંત્રની તંદુરસ્તી વધારનારા પૂરવાર થઈ રહ્યા છે, જેના કારણે આપણાં દેશનું લોકતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મજબૂત અને વિશ્વસનિય છાપ ઊભી કરી રહ્યું છે.
જો કે, હવે આપણાં દેશમાં ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠે તેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. તાજેતરમાં એન.સી.આર.ટી.ના પુસ્તકોમાંથી ન્યાયતંત્ર પર ભ્રષ્ટાચારનું પ્રકરણ હટાવાયુ, તે મુદ્દે સોશ્યલ મીડિયામાં થયેલી ટિપ્પણીઓના મુદ્દે દેશના સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી અને ચીફ જસ્ટીસના વડપણવાળી સુપ્રિમ કોર્ટની બેન્ચે જે વેબસાઈટ્સના માધ્યમથી આવી ટિપ્પણીઓ કરનારાઓની ઓળખ કરીને કેન્દ્ર સરકારને કડક પગલા લેવા સૂચવ્યુ અને કહ્યું કે આ પ્રકારના પરિબળો જો દેશની બહાર હશે, તો પણ તેને છોડીશું નહીં. સી.જે.આઈ.એ કહ્યું કે જ્યુડિશ્નરીમાં ખામીઓ હોય, તેની ટીકા થાય, તેના તેઓ વિરોધી નથી. આવી આલોચના નક્કર તથ્યો પર આધારિત અને દુર્ભાવનાઓથી પ્રેરિત હોવી ન જોઈએ, તેવો સારાંશ સુપ્રિમ કોર્ટની ટિપ્પણીઓમાંથી નીકળે છે.
સામાન્ય રીતે અદાલતો નક્કર તથ્યો, બંધારણ, નિયમ-કાયદા અને પૂરાવા-આધારો-દસ્તાવેજોના આધારે જ નિર્ણયો લેતી હોય છે, પરંતુ ૧૩ વર્ષથી કોમામાં રહેલા ૩૧ વર્ષના યુવાનને ઈચ્છામૃત્યુની મંજુરી આપીને સર્વોચ્ચ અદાલતે એક સંવેદનશીલ અને ભાવનાત્મક ફેંસલો પણ સંભળાવ્યો છે.
ગઈકાલથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧, જે એન.આઈ. એકટ તરીકે ઓળખાય છે, તેને લઈને આપેલો ફેંસલો દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પંજાબ અને હરિયાણા એવા રાજ્યો છે, જેની રાજધાની ચંદીગઢ છે, જે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ રાજધાની ચંદીગઢમાં છે, જે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. આ હાઈકોર્ટે એન.આઈ. એકટ હેઠળ આવતા ચેક રિટર્નના એવા કેસો તથા તેની અપીલોને પહેલા મેડિયેશન માટે મોકલવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે કહ્યું કે એન.આઈ.એકટના તમામ કેસો સીજેએમ અથવા જેએમએફસી જેવી ટ્રાયલ કોર્ટો દ્વારા મેડિયેશન માટે ન મોકલ્યા હોય, તેવા કેસો મધ્યસ્થતા માટે મોકલવા જ જોઈએ. અદાલતે એમ પણ કહ્યું કે ચેક બાઉન્સના કેસો સામાન્ય રીતે એક પ્રકારના ખાનગી વ્યવહારો છે, જેમાં સ્ટેટ (રાજ્ય) ને પક્ષકાર બનાવી ન શકાય. પંજાબ-હરિયાણા કોર્ટનો આ નિર્દેશ ગઈકાલથી ટોક-ઓફ ધ નેશન બન્યો છે, અને માત્ર કાનૂની ક્ષેત્રે જ નહીં, પબ્લિકમાં પણ આ નિર્દેશોની તરફેણમાં અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
આ ઉપરાંત કાનૂની ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રમાં પણ દિલ્હીની ટ્રાયલ કોર્ટે જેેને શરાબ કૌભાંડ કેસમાં નિર્દોષ છોડી મૂકયા હતા, તે કેજરીવાલ, સિસોદીયા સહિત ૨૩ આરોપીઓ તરફથી દિલ્હીની હાઈ કોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર વિશ્વાસ નહીં હોવાનું જણાવીને સીબીઆઈએ કરેલી અપીલની સુંનાવણી કોઈ અન્ય 'નિષ્પક્ષ' બેન્ચ કરે તેવી માંગણી કરી છે, તેની પણ દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે, "આપ"ના એક નેતાએ કોઈ ચોક્કસ જજને ભાજપ સાથે શું સંબંધ છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો હોવાની ચર્ચા મીડિયામાં થઈ રહી છે...ગત તા. ૨૭ ફેબ્રુઆરીના દિવસે ટ્રાયલ કોર્ટે શરાબ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદીયા સહિતના આરોપીઓને નિર્દોષ છોડી દીધા પછી સીબીઆઈને અપીલમાં રાહત મળી અને હવે પછીની સુનાવણી હાઈકોર્ટમાં ૧૬મી માર્ચે થવાની છે, ત્યારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ આરોપીઓ તરફથી કરાયેલી માંગણીનો મુદ્દો ઘણી બધી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યો છે, કારણ કે આ પ્રકારની માંગણી પણ ન્યાયતંત્રની તટસ્થતા સામે સવાલ ઉઠાવે છે અને ચીફ જસ્ટિસનો કોઈપણ નિર્ણય ન્યાયતંત્રની વિશ્વસનિયતા અને તટસ્થતા અંગે થયેલા આક્ષેપોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ દર્શાવનારો હશે, જોઈએ, હવે શું થાય છે તે...
ગુજરાત વિધાનસભામાં હાલારના એક ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં જામનગરની એક સ્કૂલને કરાયેલા દંડની વિગતો અપાઈ હોવાનો મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ફી વધારા અંગેનો આ મુદ્દો પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હોવાની વાતો વહેતી થયા પછી એક તરફ ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી તોતીંગ ફી, બીજી તરફ રાજ્ય સરકારની ફી નિર્ધારણ સિસ્ટમ અને ત્રીજી તરફ વાલીઓ-વિદ્યાર્થીઓના હિત તથા શાળા સંચાલકોની વિટંબણાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial