Advertisement
Author: નોબત સમાચાર

પડોશી દેશોને એફડીઆઈ માટે છૂટછાટનો નિર્ણય...

                                                                                                                                                                                                      

ગઈકાલે એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત સરકારે પડોશી દેશોને ૧૦૦% સીધુ વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)ની છૂટ આપી છે, અને આ નિર્ણય મોદી સરકારની કેબિનેટમાં લેવાયો છે, ત્યારે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. સ્વદેશી અને લોકલ ફોર વોકલના નારા સાથે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના સરકાર સમર્થક સંગઠનો-નેતાઓના "અભિયાનો" નું શું થયું ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા હતા. જો કે, સરકારના પ્રવક્તા મંત્રીએ કેબિનેટમાં લેવાયેલા ૬ મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં આ મુદ્દાને બહુુ સ્પર્શ્યો નહીં હોવાથી સસ્પેન્સ પણ સર્જાયું હતું.

સત્તાવાર સમાચારો મુજબ સરકારના પ્રવક્તા અને માહિતી-પ્રસારણ વિભાગના કેન્દ્રીય મંત્રીએ આપેલી માહિતી મુજબ ગઈકાલે કેબિનેટમાં દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વેને જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડતી ગ્રીન ફિલ્ડ સડક માટે રૂ।. ૩૬૩૦ કરોડ, પ.બંગાળ અને ઝારખંડમાં બે નવી મલ્ટી ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓ, જલજીવન ૨.૦ પ્રોજેકટ, બદનાવર-થાંદલા-તિમરવાની નેશનલ હાઈ-વેને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ અને તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો આપવાની મંજુરી અપાઈ હોવાની જાહેરાત થઈ હતી, આ ઉપરાંત પ્રવર્તમાન સંજોગોમાં રાંધણગેસ તથા પેટ્રોલિયમ ચીજ-વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તથા સંગ્રહખોરી-કાળાબજાર પર અંકુશ રાખવા માટે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવવાના નિર્ણયની ચર્ચા પણ થઈ હતી.

જો કે, તે પછી એફડીઆઈનો મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો અને મીડિયા હાઉસ તથા ઈન્ડસ્ટ્રિયલ એકમોથી લઈને રાજકીય અને બિઝનેસ ક્ષેત્રોમાં પણ આ મુદ્દે ચર્ચા થવા લાગી હતી. તે પછી એવી ચોખવટ થઈ હતી કે ભારત સાથે જે દેશોની સરહદો જોડાયેલી છે, તે દેશો માટે એફડીઆઈ માટે વર્ષ ૨૦૨૦માં જે એફડીઆઈ માટે જે પ્રતિબંધો મૂકાયા છે, તે હળવા કરાવ્યા છે, પરંતુ તદૃન હટાવી લેવાયા નથી, મતલબ કે આ પડોશી દેશોને ૧૦૦% એફડીઆઈની છૂટના જે અહેવાલો આવ્યા હતા, તેમાં એવી ચોખવટ થઈ હતી કે ભારત સરકારે દેશના સરહદી પડોશી દેશો દ્વારા ભારતમાં થતા એફડીઆઈ માટે કેટલીક ઘણી મોટી પણ શરતી છૂટછાટો આપી છે, પરંતુ સંપૂર્ણ છૂટછાટ અપાઈ નથી.

તે પછી એવા વિગતવાર અહેવાલો આવ્યા કે વર્ષ ૨૦૨૦માં લાગુ કરાયેલી પોલિસી (પ્રેસનોટ-૩) જોગવાઈઓમાં સુધારા-વધારા કરાયા છે. હવે પડોશી દેશોના શેરધારકો ધરાવતી કંપનીઓ ૧૦% સુધીનું પ્રત્યક્ષ મૂડી રોકાણ ભારત સરકારની મંજૂરી વિના કરી શકે છે... એવું પણ કહેવાયુ કે આ નીતિ હેઠળ ભારત સાથે સરહદો ધરાવતા ચીન,બાંગલાદેશ, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માટે આ છૂટછાટ અપાઈ છે., એવું પણ ચર્ચાયુ કે ઈલેકટ્રોનિકસ, કેપિટલ ગૂડ્સ સહિતના પસંદગીના મેન્યુફેક્ચરીંગ માટે ૬૦ દિવસમાં એપ્રુવલ મળી જાય, તેવું મિકેનિઝમ ઊભું કરાયુ છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન આ અંગે જે પ્રતિબંધો લગાવાયા હતા, તેમાં જ ઘણી રાહત મળી હોવાના પ્રત્યાઘાતોની સાથે સાથે એવા પણ અહેવાલો છે કે આ પ્રકારે છૂટછાટનો લાભ મેળવીને વિદેશી કંપનીઓ કે રોકાણકારો દ્વારા કરાયેલા મૂડી રોકાણ છતાં મોટા ભાગનો અંકુશ, નિયમન અને સંચાલન ભારતીય નાગરિકો પાસે જ રહેશે, તેથી ગભરાવા જેવું નથી.

આ પ્રકારની પોલિસી બદલાયેલા વૈશ્વિક સમિકરણોને અનુરૂપ છે અને ટ્રમ્પ ફેઈમ લોકતાંત્રિક મહાસત્તાની દાદાગીરીને કાઉન્ટર કરવા માટે જરૂર હતી. "નેશન ફર્સ્ટ" ને સુસંગત આ નિર્ણય જરૂરી સેઈફગાર્ડઝ સાથે લેવાયો છે, તેથી આ રણનીતિ "પરફેકટ" છે, તેવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને ઘણાં લોકો આ પ્રકારની રણનીતિને પગ પર કૂહાડો મારવા જેવી ગણાવી રહ્યા છે. ખાસ કરીને યુનોમાં હંમેશાં ભારત વિરોધી વલણ અપનાવતા રહેતા તથા સરહદે અવારનવાર છમકલા કરતા ચીનને તો આ પ્રકારની છૂટછાટ મળવી જ નહીં જોઈએ, તેવા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ છૂટછાટો ભારત સરકારે સેફટી માટે મજબૂત સેઈફ ગાર્ડઝ રાખ્યા છે. સંવેદનશીલ સેકટરોમાં એફડીઆઈ (૧૦%)ની મંજુરી અથવા છૂટછાટ ત્યારે જ મળવાપાત્ર થશે, જેયારે જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તેના પૂરેપૂરા કંટ્રોલ સાથે મહત્તમ શેરહોલ્ડરો ભારતીય નાગરિકો જ હોય, મતલબ કે ભારતીય શેર હોલ્ડરોનું જ હિત પ્રાયોરિટીમાં રહી શકે, તેવો પ્રબંધ કરાયો છે.

એક સમયે ચીનની તમામ ચીજોનો બહિષ્કાર કરાઈ રહ્યો હતો અને ચીનની કેટલીક સોશ્યલ મીડિયા એપ્સ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર ધડાધડ પ્રતિબંધો પણ લગાવાઈ રહ્યા હતા, જ્યારે આજે વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા હોવાથી હળવેકથી છૂટછાટો અપાઈ રહી છે, તેથી જ કહેવાયુ છે ને કે "સમય સમય બલવાન હૈ...નહીં પુરૂષ બલવાન..."

આ વર્ષ ૨૦૨૦ની એક પ્રેસનોટ સ્વરૂપની પોલિસીમાં કરાયેલા સુધારા-વધારા અંગે ગઈકાલે તત્કાળ કોઈ પ્રત્યાઘાતો આવ્યા નહીં, કારણ કે હળવેકથી અપાયેલી છૂટછાટો (ઢીલ) ની જાહેરાત પણ "હળવેક" થી જ કરાઈ છે, જેથી તેનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ કોઈ ચોક્કસ પ્રત્યાઘાતો અર્થશાસ્ત્રીઓ અને વિદેશનીતિ જાણકારો આપી શક્યા હતા. જો કે, કેટલાક વિપક્ષી નેતાઓએ એવી આલોચના કરી હતી કે મોદી સરકારની કોઈ નીતિરીતિ સ્થિર રહેતી નથી. કેટલાક પ્રત્યાઘાતો એવા પણ આવ્યા કે આપણાં દેશમાં આતંકવાદીઓ મોકલતા પાકિસ્તાનને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. પડોશી દેશ બાંગલાદેશની ભારત વિરોધી નીતિ પણ નવી સરકાર આવ્યા પછી પણ હિન્દુઓ પર હૂમલા થતા હોય તો તેના પર પણ આ છૂટછાટ તથા ઈંધણનો જંગી જથ્થો આપવાની શું જરૂર છે ? જોઈએ, હવે સરકાર આ મુદ્દે શું જવાબ આપે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh