Advertisement
Author: નોબત સમાચાર

પત્નીથી દૂર કરી દેવાના સાસુના હવાતીયાથી નાસીપાસ જમાઈની આત્મહત્યાઃ વેવાણ સામે રાવ

એક મહિના પહેલાં યુવાને આત્મહત્યા કર્યા પછી માતાએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા એક સિંધી યુવાને એક મહિના પહેલાં રણજીતસાગર નજીક રિસોર્ટ પાસે ઝેરી દવા પી લીધા પછી સારવારમાં તેનું મૃત્યુ થયું હતું. આ યુવાનની લખેલી ત્રણ ચિઠ્ઠી મળી આવી હતી. મૃતક યુવાનના માતાએ પોતાના પુત્રને મરી જવાની દુષ્પ્રેરણા આપવા અંગે વેવાણ સામે ફરિયાદ નોંધાવી છે. વેવાણ પોતાની પુત્રીને ચઢામણી કરી ઘરસંસાર ચાલવા દેતી ન હતી તેથી નાસીપાસ યુવાને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો હતો.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ જેઠવાણી નામના ર૮ વર્ષના સિંધી યુવાને ગઈ તા.૧૭ મેના દિને રણજીતસાગર નજીક જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. બેભાન બની ગયેલા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈ તા.ર૩ના દિને મૃત્યુ નિપજ્યું હતું.

આ યુવાન પાસેથી તેની લખેલી મનાતી ત્રણ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પોતાના સાસુના હસ્તક્ષેપના કારણે ઝેરી દવા પીતા હોવાનું લખ્યું હતું. આ યુવાન જે યુવતી સાથે પ્રેમલગ્ન કરીને રહેતો હતો તે યુવતીના માતા પોતાની પુત્રીને અલગ કરવાની તજવીજ કરતા હોવાથી દિલીપભાઈએ દવા પીધી હોવાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું હતુ.

ત્યારપછી મૃતક યુવાનના માતા અને નિલકમલ સોસાયટીમાં રહેતા વિદ્યાબેન ચંદ્રકાંતભાઈ જેઠવાણીએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્ર દિલીપે વર્ષ ૨૦૨૩માં નમ્રતા કિશોરભાઈ સોલંકી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારપછી દિલીપ અને નમ્રતા ગુલાબનગરમાં રહેવા ચાલ્યા ગયા હતા.

તે પછી નમ્રતાના માતા અને ગુલાબનગરમાં જ રહેતા દીપાબેન કિશોરભાઈ સોલંકી અવારનવાર પુત્રીના ઘેર આવી નમ્રતા તથા દિલીપ વચ્ચે તકરાર કરાવતી હતી અને દિલીપની આવક પૂરતી નથી, નમ્રતાને પૈસા આપતો નથી તેમ કહી પજવણી કરતી હતી. તેથી દિલીપ અને નમ્રતા વચ્ચે વારંવાર ઝઘડો થતો રહેતો હતો.

ક્યારેક ક્યારેક દીપાબેન પોતાની પુત્રીને સાથે પણ લઈ જતા હોવાથી દિલીપ કંટાળી ગયો હતો. તેને નમ્રતા સાથે વાત પણ કરવા દેવામાં આવતી ન હતી. આ ત્રાસથી કંટાળી જઈ સ્યુસાઈડ નોટ લખી ગઈ તા.૧૭ મેના દિને દિલીપભાઈએ રણજીત સાગર પાસે એક રિસોર્ટ નજીક જઈ ઝેરી દવા પીધી હતી.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે દીપાબેન કિશોરભાઈ સોલંકી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સામે ગુન્હો નોંધ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વર્ષ ૨૦૨૩માં દિલીપ તથા નમ્રતાએ લવ મેરેજ કર્યા હતા. જો કે, નમ્રતાના આ બીજા લગ્ન હતા. તેમ છતાં દિલીપ પોતાના પરિવારથી અલગ થઈને પત્ની સાથે ગુલાબનગર રહેવા ચાલ્યો ગયો હતો પરંતુ તેના સાસુના કહેવાતા ત્રાસથી કંટાળી તેને જીવન ટૂંકાવી લેવાના આશયથી ઝેરી દવા પી લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh