Advertisement
Author: નોબત સમાચાર

મહાનગરપાલિકા તંત્ર દ્વારા તિરંગા ખરીદીમાં કૌભાંડના ઉહાપોહ પછી પોકળ ખુલાસા...!

જામનગર તા. ૧૪: જામનગરના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની પ્રબળ દેશભાવના સાથે ઉમંગભેર ઉજવણી થાય તેવા શુભહેતુસર વડાપ્રધાને હરઘર તિરંગા અભિયાનનો જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત દરેક નાગરિક પોતાના ઘરે, ધંધા-ઓફિસના સ્થળે તિરંગો ફરકાવે તેવી અપીલ કરવામાં આવી, આ ઉપરાંત તિરંગા યાત્રાઓનું આયોજન કરવાની હાકલ પણ થઈ...

રાષ્ટ્રીય પર્વની તિરંગામય ઉજવણી માટે સ્વાભાવિકપણે ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગાની જરૂરત પડે, અને આ અભિયાન અંતર્ગત સરકારી ધોરણે રાષ્ટ્રધ્વજ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેમાં જામનગર મહાનગરપાલિકાને રહી રહીને તિરંગા ખરીદ કરવાનું ભાન થયું... ૧પ મી ઓગસ્ટ પહેલાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા પંચ્ચાવન લાખના ખર્ચે તિરંગા ઝંડા ખરીદવાની દરખાસ્ત મંજુર થઈ ગઈ, અને આ મુદ્દે કૌભાંડ થઈ રહ્યું હોવાનો ભારે ઉહાપોહ મચી ગયો... અંતે મનપાના જવાબદાર અધિકારીએ એવો ખુલાસો કર્યો કે રૂપિયા પંચ્ચાવન લાખ મંજુર ભલે થયા, પણ જરૂરત પ્રમાણે જ ઝંડા ખરીદવામાં આવશે!

પણ... અનેક સવાલો અદ્ધરતાલ જ રહે છે. શું મનપાને ૧પ મી ઓગસ્ટનું આઝાદી પર્વ ૧પ મી ઓગસ્ટે ઉજવવાનું છે તેની જાણ ન હતી? હરઘર તિરંગા અભિયાનની જાહેરાત પછી મનપા તંત્રએ કેટલા ઝંડાની જરૂર પડશે તેની કોઈ અંદાજિત સંખ્યા નક્કી કરી? કદાચ સરકારી નિયમો પ્રમાણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈપણ ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા જરૂરી નહીં હોય, પણ આમ છતાં, અમુક રકમથી મોટી રકમની ખરીદી કે ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયાની ચોક્કસ જોગવાઈનું પાલન થતું જ હોય છે, જ્યારે મનપા તંત્રએ ભાવ મંગાવવાની ટેન્ડર પ્રક્રિયા કરી હોવાનું જાણવા મળતું નથી! કાપડના તિરંગા ઝંડા ચોક્કસ સાઈઝના બનાવી, તેની સાથેની લાકડાની સ્ટીક સહિતના શું ભાવ નક્કી કરાયા? જે પાર્ટી કે વ્યક્તિને ઝંડાનો ઓર્ડર આપ્યો તેની ઝંડા બનાવવાના કોઈ કોઈ કામકાજનો અનુભવ કે સંસ્થાની તપાસ કરવામાં આવી? પ્રાથમિક તબક્કે અને જરૂરી પ્રમાણે કેટલા ઝંડાનો ઓર્ડર આપવામાં આવ્યો? આ ઝંડાનું વિતરણ ક્યાં ક્યાં કેટલા દિવસ માટે કરાયું?

આ તમામ પ્રશ્નો અંગે ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે જામનગર ભાજપમાં હોદ્દો ધરાવતા એક વ્યક્તિને ઝંડાનો ઓર્ડર રાતોરાત આપી દેવાયો... આ વ્યક્તિ હાલ તો ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત કાપડના ચોક્કસ સાઈઝના લાકડાની સ્ટીક સાથેના એક ઝંડાની કિંમત બજારમાં રૂ.  ર૦-રપ જેવી છે, તો રૂપિયા પંચ્ચાવન લાખનું એસ્ટેમેટ કરવાથી અંદાજે બે લાખ ઝંડા ખરીદવાનું નક્કી થયું હોવાની શક્યતા છે.

જામનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ રિલાયન્સ તરફથી ભેટમાં મળેલા ઝંડાનું વિતરણ તો થયું જ છે, તો પછી શહેરમાં મનપા તંત્રએ કેટલા ઝંડા ખરીદ્યા અને કેટલાનું વિતરણ કર્યું?

રાષ્ટ્રીય પર્વની ઉજવણી હવે માત્ર જાહેર રજા નહીં, પણ દેશભાવના જાગૃત કરવાનું મહાપર્વ બન્યું છે ત્યારે દેશના આઝાદી પર્વની ઉજવણીમાં પણ બજાર ભાવ કરતા મોંઘાભાવે વગર ટેન્ડરે મોટી સંખ્યામાં ઝંડા ખરીદ કરવાની ચેષ્ઠા અને તેમાં સત્તાધારી ભાજપના જ કોઈ મળતિયાને કમાવી દેવાના કૌભાંડના કારણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીને મનપાએ ઝાંખપ લગાડી છે તે હકીકત છે... બાકી જામનગરના તમામ વર્ગના નાગરિકો તો ઉમંગભેર ઘરે ઘરે તિરંગો ફરકાવી પોતાની દેશ પ્રત્યેની ભાવના દર્શાવી રહ્યા છે, ત્યારે આવા કથિત કૌભાંડોથી કમ-સે-કમ રાષ્ટ્રીય પર્વને તો બાકાત રાખો!!

દાખલો તો બેસાડો!

આ પ્રકરણમાં મનપા તંત્રએ પોતાની પારદર્શિતા બતાવવા મીડિયા દ્વારા અક ઝંડાની કિંમત, કેટલા ઝંડા ખરીદવામાં આવ્યા, કુલ કેટલો ખર્ચ થયો અને આ ઝંડા ક્યાં વિતરણ કરાયા તેની સંપૂર્ણ આંકડાકીય વિગતો એટલીસ્ટ ૧૬/૧૭ ઓગસ્ટે જાહેર કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh