જામનગર તા. ૭ઃ ખંભાળીયા તાલુકાના કંચનપુર ગામમાં સગપણ બાબતે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી એક યુવાન પર સાત શખ્સે લાકડી, પાઈપથી હુમલો કર્યો હતોે. વચ્ચે પડનાર યુવાનને મારી તેનો મોબાઈલ તોડી નખાયો હતો.
ખંભાળીયા તાલુકાના કંચન૫ુર ગામમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ ઉર્ફે કાળુભાઈ (ઉ.વ.૪૪) નામના યુવાન ગઈકાલે લખમણભાઈ ધાવડાના ખેતર પાસે હતા ત્યારે લાકડી, પાઈપ સાથે ધસી આવેલા રામા પ્રકાશભાઈ ધાવડા, રાહુલ નટવરભાઈ ધાવડા, હરેશ ભાઈજીભાઈ, નટવર ભાઈજીભાઈ ધાવડા, સાગર નિલેશભાઈ, લખન નટવરભાઈ અને નિલેશ ભાઈજીભાઈ ધાવડા નામના સાત શખ્સે હુમલો કર્યો હતો.
અગાઉ સગપણ બાબતે થયેલા મનદુઃખના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતોે. ભરતભાઈને બચાવવા વચ્ચે પડેલા ધવલને પણ માર મારી તેનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો. પોલીસે ભરતભાઈની ફરિયાદ પરથી સાતેય આરોપીઓ સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૪૨૭, ૪૪૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.