Sensex

વિગતવાર સમાચાર

સ્થાપનાથી સાડા છ દાયકાની ગુજરાતની ગૌરવવંતી સફળ સફર... ગુજરાતીઓની ખુમારી...

                                                                                                                                                                                                      

આજે ગુજરાતનો ૬૭મો સ્થાપનાદિન છે, અને ગરવા ગુજરાતે ૬૬ વર્ષની ગૌરવવંતી છતાં પડકારભરી સફળ યાત્રા સંપન્ન કરી છે, જે ગુજરાતીઓની ખુમારી અને ખુદૃારી દર્શાવે છે. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ સ્ટેટમાંથી છુટું પડયું અને પહેલી મે-૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની રચના થઈ હતી, તે પછી સાડા છ દાયકાની સફર દરમ્યાન ગુજરાતે ઘણાં પડકારોનો સામનો કર્યો છે. ભયંકર દુષ્કાળો, કુદરતી આફતો, કોમી તોફાનો, અનેક પ્રકારના જન આંદોલનો તથા સંઘર્ષોનો સામનો ગુજરાતે કર્યો છે, તેમ છતાં ગુજરાત અને ગુજરાતીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદીકાળથી લઈને આજ પર્યંત માત્ર રાજકીય જ નહીં, ઉદ્યોગ, વ્યાપાર, સાયન્સ-ટેકનોલોજી, સ્પેસ, હેલ્થ, એજ્યુકેશન સહિત અનેક ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનુરૂપ યોગદાન આપ્યું, મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી, કૃષિ-સિંચાઈ, રોજગાર અને માળખાકિય ક્ષેત્રે હરણફાળ ભરી અને વખતોવખત દેશને સબળ નેતૃત્વ પૂરૃં પાડયું તે ગુજરાતીઓની ખુમારી, કુશળતા, કૌશલ્ય અને ક્ષમતા દર્શાવે છે. પ્રત્યેક ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવી ઘણી સિદ્ધિઓ ગુજરાતે હાંસલ કરી છે અને તમામ ક્ષેત્રે દેશની પ્રગતિમાં સ્થાપનાદિનથી આજ સુધી હંમેશાં સિંહફાળો આપ્યો છે, તે હકીકતને કોઈ નકારી શકે તેમ નથી.

ગુજરાતે અનેક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં કેટલાક ક્ષેત્રે ત્રુટિઓ રહી ગઈ હોય, ધાર્યા પરિણામો ન આવ્યા હોય કે મૂળભૂત સેવા-સુવિધાઓમાં ખામી રહી ગઈ હોય, તો તેની ખેલદિલીથી સમીક્ષા કરીને તેની પૂર્ણતા કરવાનો સંકલ્પ પણ આજે લેવા જેવો છે. આપણે જ્યારે ગુજરાતની ગરિમાની વાત કરીએ, ત્યારે સાડા છ દાયકાની સફળ સફર દરમ્યાન સહભાગી થનાર, બલિદાનો આપનાર અને વખતોવખત દિશાદર્શન કરનાર તમામ ગુજરાતીઓને યાદ કરીએ અને તેઓના પંથે આગળ વધવાનો સંકલ્પ કરીએ...

ગુજરાત વર્ષ ૧૯૬૦ની પહેલી મે ના સ્વતંત્ર રાજ્ય બન્યુ, તે પછી સતત ઘણાં પડકારો, વિપત્તિઓ અને સંઘર્ષોનો સામનો પહેલેથી જ ગુજરાત કરતું રહ્યું છે અને તમામ કસોટીઓમાંથી સાંગોપાંગ પાર ઉતરતું રહ્યું છે, તે ગુજરાત અને ગુજરાતીઓની અનોખી ગૌરવગાથા છે. આજે ઘણાં ગુજરાતીઓ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, અને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પણ શોભાવી રહ્યા છે. ગુજરાતીઓ સાહસિક અને સૌજન્યશીલ હોય છે, અને તેથી જ ગુજરાતની ઘણી હસ્તીઓએ દેશ અને દુનિયામાં ઝળહળતી સફળતાઓ મેળવી છે અને હાલમાં પણ મેળવી રહ્યા છે.

એ તો બધાને ખબર જ છે કે ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬થી થયેલી રચનાઓ પછી તે સમયના મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મરાઠાવાડ (મહારાષ્ટ્ર) અલગ-અલગ રાજ્યોની રચના માટે આંદોલનો થયા હતા અને મહાગુજરાત આંદોલન પછી બંને રાજ્યોને વર્ષ ૧૯૬૦ના પહેલી મે ના દિવસે માન્યતા અપાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા, તે પછી બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબિલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે. આ પૈકી એકથી વધુ સમયગાળો (ટર્મ) માટે ત્રણ-ચાર નેતાઓ રહ્યા હતા, તો પાંચેક વખત રાષ્ટ્રપતિ શાસન પણ રહ્યું હતું.

ગુજરાતની સ્થાપના થઈ ત્યારે હંગામી ધોરણે અમદાવાદ અને પછી ગાંધીનગર રાજધાની બની, પરંતુ પ્રારંભના વર્ષોમાં રાજયકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર, મિકેનીઝમ અને પર્યાપ્ત આવકના અભાવે ઘણાં પડકારો આવ્યા. રાજ્યમાં વીજળી, પાણી, સડકોની સુવિધાનો અભાવ હતો. ૧૯૭૦ના દાયકામાં રાજકીય ઉથલ પાથલો વચ્ચે નવનિર્માણ આંદોલનમાં ચિમનભાઈ પટેલની સરકાર ઉથલી ગઈ અને વર્ષ ૧૯૭૫માં પહેલી બિન કોંગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ, જેના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા. કટોકટીકાળમાં ગુજરાતમાં વિપક્ષી મોરચાની (જનતા મોરચાની) સરકાર હતી, પરંતુ ૧૯૭૬માં માધવસિંહ સોલંકીની સરકાર આવી, વર્ષ ૧૯૭૭માં ફરી જનતા પાર્ટીની સરકાર રચાઈ, પરંતુ વર્ષ ૧૯૮૦માં ઈન્દિરા ગાંધીની વાપસી પછી પુનઃ કોંગ્રેસની રાજય સરકાર બની. તે પછી અનામત વિરોધી આંદોલનો થયા અને ૧૯૮૦ના દાયકામાં નવા પડકારો આવ્યા.

કોંગ્રેસના બદલતા શાસનો દરમ્યાન ચિમનભાઈ પટેલ પછી માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના મુખ્યમંત્રી તરીકેના સમયગાળાઓ ઘણાં જ પડકારજનક રહ્યા હતા અને તે દરમ્યાન કોમી તોફાનો તથા કર્ફ્યુનો સીલસીલો પણ રાજયભરના શહેરોમાં ચાલ્યો હતો. રાજ્યમાં જનતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર પણ આવી અને ગઈ. વર્ષ ૧૯૯૦ના દાયકા પછી રાજ્યમાં એક તરફ અશાંતિ અને રાજકીય ઉથલ પાથલો હતી, તો રાજ્યમાં વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૦ વચ્ચે પડેલા સતત દૂષ્કાળોએ પણ પડકારો ઊભા કર્યા હતા, તો નર્મદા વિરોધી અને નર્મદા તરફી આંદોલનોના કારણે પણ રાજ્યમાં સતત અનિશ્ચિતતા તથા અજંપો રહ્યો હતો. વર્ષ ૧૯૯૨ના અયોધ્યા આંદોલન અને પછીના સમયમાં આંદોલનો, હિંસક તોફાનો અને સતત કર્ફ્યુ જેવા ઘટનાક્રમો પછી વર્ષ ૧૯૯૫માં કેશુબાપાની સરકાર આવી, અને પછી સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા, પરંતુ બળવો થતાં શંકરસિંહ વાઘેલાએ રાજપાની સરકાર રચી, આ ટૂંકા ટૂંકા ગાળામાં પુનઃ મુખ્યમંત્રી બદલ્યા, તે પછી કેશુબાપા ફરીથી મુખ્યમંત્રી બન્યા, પરંતુ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં ભાજપની સરકાર ડગમગવા લાગી, ત્યારે ભાજપના હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓએ વર્ષ ૨૦૧૩ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું અને વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા, આમ, ગુજરાતની રચના થઈ, તે પછી ઘણાં રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.

જો કે, ગુજરાત રાજ્યની રચના થયા પછી ઈસરોની સિદ્ધિઓ, ગુજરાતી વિજ્ઞાનીઓની ઉપલબ્ધિઓ, ડો.ભાભા, ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના કારણે રાજ્યની ગરિમા વધી, ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થયો. ટેક્સટાઈલ્સ, પેટ્રોકેમિકલ્સ, હીરા ઉદ્યોગ ધમધમ્યા, જામનગર સહિત રાજ્યમાં રિફાઈનરીઓ વિકસી. સરદાર સરોવર યોજના તે પછી ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં ચર્ચાના કેન્દ્રમાં રહી અને અંતે સંપન્ન થઈ. અને ત્યાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થપાઈ, તથા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ને વૈશ્વિક ગૌરવ પ્રાપ્ત થયું.

ગુજરાતની સ્થાપના પછી વર્ષ ૧૯૬૦ના દાયકાથી વીજળીકરણ વિસ્તાર્યું અને આજે ગામડાઓ સુધી વીજપુરવઠો પહોંચ્યો છે. નર્મદા યોજના તથા અન્ય યોજનાઓ હેઠળ પાણી પુરવઠો ઘેર-ઘેર પહોંચાડાય છે. વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ છે. ગુજરાત ઔદ્યોગિક હબ બન્યું છે. બિન પરંપરાગત ઉર્જાના ક્ષેત્રે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. આ બધી ગુજરાતની ગૌરવયાત્રાની સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં પાછળ છે. જે પ્રકારનો પ્રચાર થાય છે, તેના કરતાં વાસ્તવિકતા જુદી હોવાની આલોચના પણ વખતો વખત થતી રહી છે. તે ઉપરાંત ગુજરાતની ગૌરવયાત્રામાં ગુજરાતની સ્થાપના પછી આજ પર્યંતની તમામ સરકારો જ નહીં, પરંતુ ખમીરવંતા ગુજરાતીઓ, દાતાઓ, વિવિધક્ષેત્રોના મહારથીઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવાના ભેખધારીઓ તથા અથાગ પરિશ્રમ કરતા તમામ સામાન્ય ગુજરાતીઓ પણ યશભાગી છે. ગુજરાત અને વિશ્વભરમાં પથરાયેલા ગરવા ગુજરાતીઓને ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial