
સિયાસતમાં પણ સિદ્ધાંતો અને સચ્ચાઈનો રણકાર હોય છે, પરંતુ હવે શબ્દોની સટાસટી તથા સનસનાટી ભર્યા શબ્દપ્રયોગોની આંધીમાં સિદ્ધાંતો અને સત્યને ઉડાડી દેવાના ષડયંત્રો રચાઈ રહ્યાં હોય અને સુંવાળા શબ્દોની માયાજાળમાં જનતાને ભ્રમિત કરવામાં આવી રહી હોય તેમ જણાય છે. સોહામણા શબ્દોની અદ્ભુત ગુંથણી ચોક્કસ એજન્ડા અને વાકચાતુર્યથી સિયાસતદારો સંવેદનાઓ અને સૌજન્યતા સાથે ખિલવાડ કરીને પોતપોતાની રાજકીય ખીચડી પકવવાના પ્રયાસો કરી રહ્યાં હોય તેમ જણાય છે.
શાસકપક્ષો કેન્દ્ર અને રાજ્યોમાં વાયદાઓ વહેંચી રહ્યાં છે અને જનતાને રૂડા-રૂપાળા વચનો આપી રહ્યાં છે, તો વિરોધપક્ષો શાસકોનો વિરોધ કરી રહ્યાં છે. લોકતંત્રની આ જ ખૂબી છે કે, શાસકપક્ષે હંમેશાં જવાબો આપવા પડે છે અને વિપક્ષો સવાલોની ઝડી વરસાવી શકે છે. આપણા દેશનું બંધારણ ઘડાયુ ત્યારે કદાચ તંદુરસ્ત અને સરકારાત્મક રાજનીતિની અપેક્ષા રખાઈ હશે તથા ચોક્કસ સીમાઓ તથા સચ્ચાઈના સિદ્ધાંતોની અપેક્ષા રખાઈ હશે, પરંતુ હવે તો શાસનમાં હોય કે વિપક્ષમાં હોય, સિયાસતદારો (રાજનેતાઓ) ની ભાષા, હરકતો અને નિવેદનો એવા થવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓની આત્મા પણ દુભાતી હશે. આમાં કોઈના વખાણ કરવા જેવા નથી, કારણ કે, રાજનીતિ કે યે હમામ મેં સબ નંગે હી તો હૈ...!
નેતાઓ, સેલેબ્રિટીઝ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોના ચિત્ર-વિચિત્ર અને વિવાદાસ્પદ નિવેદનોમાં ઉલઝન અને ઉચાટ હોય છે, તો ઘણી વખત ઘમંડ અને ઉન્માદ પણ હોય છે....
ગયા મહિને થયેલી હરાજી દરમિયાન બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાહરૂખખાનએ રૂ।. ૯.ર૦ કરોડમાં ખરીદ્યા પછી શાહરૂખાનની વિરૂદ્ધમાં તથા તરફેણમાં જે નિવેદનો આવી રહ્યાં હતા, તેના શબ્દપ્રયોગો, ભાષા અને હાવભાવો જોતા એવું જણાય છે કે, "જંગ ઔર પ્યાર મેં સબકુછ જાયઝ હૈ" ની કહેવતમાં હવે એવું કાંઈક ઉમેરવું જોઈએ, જે નફફટ નિવેદનબાજી કરતા લોકોની હરકતોને "જસ્ટીફાઈ" કરે...!
હરિયાણાના એક રાજકીય પક્ષ ઈન્ડિયન નેશનલ લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌહાણના એક નિવેદને તો બે દિવસથી દેશભરમાં હલચલ મચાવી દીધી છે અને આ નિવેદનની તરફણે અને વિરોધમાં પણ તીખા તમતમતા નિવેદનો આવી રહ્યાં છે, અને સનસનાટીભર્યા શબ્દો સાથે અવનવી કોમેન્ટો થઈ રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક દેશોમાં જેને ઝેડ આંદોલનો થયા છે અને બાંગ્લાદેશ, નેપાળ જેવા ભારતના પડોશી દેશોમાં ચૂંટાયેલી સરકારોના નેતાઓને રસ્તાઓ પર દોડાવી દોડાવીને જનતાએ વિરોધ વ્યક્ત કર્યા પછી રાજીનામા આપવા પડ્યા છે, અને બાંગ્લાદેશના વડાપ્રધાને તો દેશ છોડીને ભાગવું પડ્યું છે અને ભારતમાં આશ્રય લેવો પડ્યો છે. જનતાની આ તાકાતની વાત કરતા કરતા આઈએનએલડીના પ્રમુખ અજય ચૌટાલાએ એવું નિવેદન કર્યુ કે, તેના ઘેરા પડઘા દેશભરમાં પડ્યા છે અને ઘણાં લોકો એવો કટાક્ષ કરવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓએ લોકતંત્રમાં જરૂર પડ્યે હિંસક અને અરાજકતા ફેલાવવાનો અધિકાર પણ આપવાની જરૂર હતી...!
અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક યુવા યોદ્ધા સંમેલનમાં એવું કથિત નિવેદન કર્યુ હતું કે, "શાસકોને ગાદી પરથી ખેંચી લાવો અને માર્ગો પર દોડાવી દોડાવીને મારો..."
તેમણે કોંગ્રેસને વર્તમાન શાસકોની "બી" ટીમ બતાવીને આકરી ટીકાઓ કરી હતી.
ભાષણબાજી ઉપરાંત ચૌટાલાએ "એક્સ" પર પણ કાંઈક આવી જ કોમેન્ટો કરી હતી. ભાષણો તથા કોમેન્ટોનું તારણ કાઢીને ચૌટાલા પર ચોતરફ ટીકાઓની ઝડી પણ વરસી રહી છે અને હરિયાણાના ભાજપ તથા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ચૌટાલાને દર્પણ દેખાડી રહ્યાં છે.
અજય ચૌટાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાઓએ સડકો પર ઉતરીને શાસકો સામે બંડ પોકાર્યુ હતું અને વિશાળ માર્ગો પર આંદોલન કરીને નેતાઓ પર જીવલેણ હૂમલાઓ કર્યા હતાં, તેવી જ રીતે આપણે પણ શાસકોને દેશ છોડવા મજબૂર કરવા પડશે, જે રીતે બાંગ્લાદેશમાં થયું, તેવું જ હવે ભારતમાં કરવું પડશે, વિગેરે...!!
આ નિવેદનમાં જેટલું તથ્ય હોય, તેટલું ખરૂ, પરંતુ શબ્દપ્રયોગો અને ધમકીની ભાષા ભારત જેવા પુખ્ત લોકતાંત્રિક દેશ માટે તો ચાલે જ નહીં, તેમ જણાવીને આ નિવેદનનો વિરોધ પણ કદાચ એવી જ ભાષામાં થવા લાગ્યો હોય, તો તેને પણ જસ્ટીફાય કરી શકાય નહીં.
જો કે, ભાજપના ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ શાણપણભરી ભાષામાં પ્રત્યાઘાત આપ્યો અને કહ્યું કે, અજય ચૌટલાનું આ નિવેદન ભારતના બંધારણ અને લોકશાહીને અનુરૂપ નથી. આ પ્રકારના નિવેદનો કરતા પરિવારોને ભારતની લોકશાહીમાં શ્રદ્ધા નથી... વિરોધ કરવાની પણ એક મર્યાદા હોય છે, પરંતુ ભારતની સિયાસત હવે કદાચ આવા "નિયંત્રણો" ઈચ્છતી જ નથી, તેમ જણાય છે.
શાહરૂખખાન સામે વિરોધનો વંટોળિયો ફૂંકાયો અને તેમાં રાજનીતિ સાથે નહીં જોડાયેલા પ્રભાવશાળી લોકો અને સંગઠનો - સંસ્થાઓ જોડાયા, તે પછી બીસીસીઆઈએ નિર્દેશો આ૫તા હવે બાંગ્લાદેશનો ખેલાડી આઈપીએલમાં નહીં રમી શકે તેવા સંકેતો શું સૂચવે છે...?
આ પ્રકારની સિયાસતમાં "ચીત્ત ભી મેરી ઔર પટ ભી મેરી" જેવો વ્યૂહ પણ અપનાવાતો હશે અને આ પ્રકારના વિવાદો પાછળ કદાચ કોઈ મોટું કદમ ઉઠાવવાની તૈયારી હોય કે કોઈક નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ પણ હોય, જે હોય તે ખરૃં, પરંતુ શબ્દોની આ સટાસટીએ સિયાસતને શિયાળામાં પણ ગરમ તો કરી જ દીધી છે ને...?
મધ્યપ્રદેશની ભાજપ સરકારે દુષિત પાણીથી માત્ર ચાર લોકોનો જ જીવ ગયો હોવાનું એફિડેવિટ કરીને સેલ્ફ ગોલ કર્યો, તો ઉત્તરાખંડમાં મોટા ગજાના નેતાએ બિહારમાં વીસ-પચીસ હજારમાં છોકરીઓ (વેંચાતી) મળતી હોવાનું નિવેદન કરીને સેલ્ફગોલ કરી લીધો છે. ઉમા ભારતીએ પણ દુષિત પાણીના મુદ્દે નિવેદન કર્યુ, અને તેના પ્રત્યાઘાતો સેલ્ફગોલ જેવા જ આવ્યા. રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ગજવ્યો અને કર્ણાટકમાં ઈવીએમ અંગે કોંગ્રેસે સર્વે કરાવ્યો, તો તેના પરિણામો સેલ્ફગોલ જેવા જ આવ્યા હોવાની મીડિયામાં ચર્ચા થઈ. બાંગ્લાદેશ સાથે સંબંધોના મુદ્દે પાકિસ્તાનનું નિવેદન જ સેલ્ફગોલ જેવું બની જાય, તેવો ભારતે પ્રત્યાઘાત આપ્યો... ઈરાનમાં સુપ્રિમલીડર આયાતુલ્લાહા અલી ખોમૈનીના નિવેદનો એટલા બધા સેલ્ફગોલ જેવા બની ગયા કે, ત્યાંની જનતા સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરી રહી છે. કપિલ શર્માએ પોતાના કોઈ કાર્યક્રમના સંદર્ભે કરેલા શબ્દપ્રયોગોથી સેલ્ફગોલ થઈ ગયો.
ટૂંકમાં, રાજનીતિમાં શબ્દોની રમત, આક્રમક શૈલી, સટાસટી, સનસનાટી ફેલાવતા કે આક્ષેપો કરતા નિવેદનો ઘણી વખત પ્રતિસ્પર્ધા કે સામેના પક્ષને ક્રિકેટની ભાષામાં 'ક્લીનબોલ્ડ' કરી દેતા હોય છે, તો ઘણી વખત ફૂટબોલની ભાષામાં "સેલ્ફગોલ" પણ બની જતા હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial