Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો અંગે અધિકારીઓને ઠમઠોર્યા

ધારાસભ્યો પડતર પ્રશ્નોની ઝડી વરસાવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિઓની રજૂઆતો અંગે ત્વરિત નિરાકરણ લાવવા અને જનહિતના કામોને અગ્રતા આપવા પ્રભારી મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સેવા સદનમાં જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકની વિગતો આપતાં પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત જામનગરના વિવિધ વિકાસ પ્રકલ્પો માટે માતબર રકમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લાયઓવર બ્રિજ સહિતની કામગીરીમાં ગતિ લાવી તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ઐતિહાસિક ભુજીયા કોઠાનું પુનઃસ્થાપન અને એમ.પી. શાહ ટાઉનહોલના નવીનીકરણ જેવી સાંસ્કૃતિક વિરાસત જાળવવાની કામગીરીને બિરદાવી હતી.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને જળ સુરક્ષા પર ભાર મૂકતાં તેમણેે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ કામો હાથ ધરવામાં આવશે, જેથી આગામી ચોમાસામાં જળસંચયની ક્ષમતામાં વધારો કરી શકાય. જળ જીવન મિશન અને અમૃત ૨.૦ યોજના હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની પ્રાથમિકતા પર તેમણે  ભાર મૂયો હતો. સાથે જ આરોગ્ય ક્ષેત્રે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રોની સેવાઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસોના લાભાર્થીઓને તમામ પાયાની સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીએ તાકીદ કરી હતી.

આ સંકલન બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા પોતપોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. પ્રભારમંત્રીઓ આ તમામ રજૂઆતોને સાંભળી, તેના ત્વરિત નિરાકરણ લાવવા અને લોકહિતના કામોને પ્રાથમિકતા આપી તાકીદે હાથ ધરવા વહીવટી તંત્રને નિર્દેશો આપ્યા હતા.બેઠકના અંતે મંત્રીએ તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને વિકાસના કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે જોવા ઉપસ્થિત અધિકારીઓને આદેશ આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેકટર શારદા કાથડ, ડે. મ્યુનિસિપલ કમિશનર ઝાલા તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh