Advertisement
Author: નોબત સમાચાર

હરિપરના શિશુ ખુશાલના જીવનમાં ખુશહાલી આવીઃ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મણકાની ગાંઠનું ઓપરેશન

ખાનગી હોસ્પિટલમાં પાંચ-સાત લાખમાં થતી સારવાર સરકારી યોજના થકી નિઃશુલ્ક થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરિપર ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમેશભાઈ પરમારના ઘરે ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના એક દીકરાનો જન્મ થયો. પરિવારે ખુશીથી તેનું નામ ખુશાલ પાડ્યું.

જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બાળકને જન્મજાત ખોડ-ખાંપણ હોવાનું નિદાન થયું જેના કારણે આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો. આ જ સમયે આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના  ખુશાલ અને તેના પરિવારની મુલાકાત લીધી. ટીમે તેમને બાળકની જન્મજાત ખામી વિશે સમજાવ્યું અને આશ્વાસન આપ્યું કે સરકાર તરફથી તેની જરૂરી તપાસ અને સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને લાલપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારે આ કેસ પર વિશેષ ધ્યાન આપ્યું. આરબીએસકે ટીમે બાળકની સઘન તપાસ કરી અને જાણવા મળ્યું કે તેની કમરના મણકાના ભાગે ગાંઠ હતી, જેને તબીબી ભાષામાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવાય છે. આરબીએસકે ટીમના ડો. કાજલ ગોજીયા અને એફ.એચ.ડબલ્યુ ધર્મિષ્ઠાબેન રાવલીયાએ ખુશાલનું સંદર્ભ કાર્ડ ભરીને તેને પહેલા જી.જી. હોસ્પિટલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો.

પરિવારે શરૂઆતમાં સંકોચ અનુભવ્યો, પરંતુ આરબીએસકે ટીમના સમજાવટ બાદ તેઓ તૈયાર થયા. ખુશાલને ૮ એપ્રિલ, ૨૦૨૫ના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના નિષ્ણાત ડોકટરોની ટીમે ખૂબ જ કુશળતાપૂર્વક મણકાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. ઓપરેશન પછી આરબીએસકે ટીમ દ્વારા ખુશાલની ગૃહ મુલાકાત પણ કરવામાં આવી અને તેની તબિયત એકદમ સારી હોવાનું જાણવા મળ્યું.

ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો અંદાજિત ખર્ચ ૫ થી ૭ લાખ જેટલો થાત. પરંતુ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. આનાથી ખુશાલના પરિવારમાં ફરીથી ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. પરિવારે રાજ્ય સરકાર, આરોગ્ય તંત્ર અને લાલપુર તાલુકાની આરબીએસકે ટીમના આ પ્રયાસો માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. ખુશાલના પિતા દીકરો સાજો થઈ જતા ભાવુક બન્યા અને ગદ્ ગદ થઈ ગયા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh