Advertisement
Author: નોબત સમાચાર

દવાનું રિએક્શન આવ્યા પછી તરૂણનું મૃત્યુઃ ઝેરી જનાવર કરડી જતાં બાળકનું મોતઃ પડી ગયેલા યુવાન પર કાળનો પંજો

હાથ ભાંગી ગયા પછી લતીપરમાં શ્રમિકનું મૃત્યુ થયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ધ્રોલના લતીપરમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક યુવાનનો હાથ ભાંગી ગયા પછી ગઈકાલે તબીયત લથડતા સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કલ્યાણપુરના નગડીયામાં બાળકને ઝેરી જનાવર કરડી ગયું છે. રાવલમાં બાઈક પરથી ઉતરી પાણી પીવા જતાં યુવાન પડી ગયા મોતને શરણ થયા છે. દારૂ પીવાની આદતવાળા શ્રમિકને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. દવાનું રિએક્શન આવી જતા ભાણવડના શિવાના તરૂણનું મૃત્યુ નિપજ્યું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વસવાટ કરતા વિરેન્દ્રભાઈ નાનુરામ ઠાકુર નામના બત્રીસ વર્ષના શ્રમિકનો થોડા દિવસ પહેલાં હાથ ભાંગી ગયો હતો. તેને આપવામાં આવી રહેલી સારવાર દરમિયાન ગઈકાલે તેની તબીયત લથડતા ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અમરીતાબેન વિરેન્દ્રભાઈએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા વાડી વિસ્તારમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની માધુભાઈ ભુરાભાઈ વાસ્કેલ નામના શ્રમિકના સાત વર્ષના પુત્ર હરિઓમને ગુરૂવારે રાત્રે હાથમાં ઝેરી જનાવર કરડી ગયું હતું. આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું છે. પિતા માધુભાઈએ પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં હનુમાન ધાર વિસ્તારમાં વસવાટ કરતા રણમલભાઈ ઘેલાભાઈ જમોડ (ઉ.વ.૪૫) નામના યુવાન ગઈકાલે રાવલ ગામ તરફ બાઈક પર આવતા હતા ત્યારે રાવલના બસ સ્ટેન્ડ સામે બાઈક ઉભુ રાખી પાણી પીવા જતા હતા ત્યારે કોઈ રીતે પડી જતાં માથામાં ઈજા પામ્યા હતા. આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. બાબુભાઈ ઘેલાભાઈ જમોડે પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામમાં વિનોદભાઈ કરમુર નામના ખેડૂતના ખેતરમાં કામ માટે આવેલા મૂળ તાપી જિલ્લાના નિર્મર ગામના વિનોદભાઈ સુભાષભાઈ ઠાકરે (ઉ.૪૫) નામના શ્રમિકને ગઈકાલે સવારે હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજયું છે. સંજય મોહનભાઈ પાડવીએ પોલીસને જાણ કરી છે. મૃતક યુવાન માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા હોવા ઉપરાંત દારૂ પીવાની આદત ધરાવતા હતા.

ભાણવડ તાલુકાના શિવા ગામમાં રહેતા આલાભાઈ એભાભાઈ કનારા (ઉ.વ.૧૬) નામના તરૂણને ત્રણેક દિવસથી ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. આ તરૂણને ભાણવડમાં આવેલી ડો. રાહુલ ચુડાસમા તથા ડો. મોદીની હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી હતી. ત્યાં બાટલા તથા ઈન્જેક્શન આપવામાં આવ્યા પછી તેનું રિએક્શન આવી જતા આ તરૂણનું મૃત્યુ થયાનું હમીરભાઈ પરબતભાઈ કનારાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh