Advertisement
Author: નોબત સમાચાર

કુદરતી આફતો સામે સાથે મળીને લડીએ... સકારાત્મક રીતે રાજધર્મ નિભાવીએ... કહ્યા વગર જ કરી બતાવીએ...

                                                                                                                                                                                                      

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવવાના હતા, પરંતુ હવામાનમાં પલટો આવ્યા પછી તેઓ ઉડાન ભરી શક્યા નહીં, પરંતુ તેઓએ જામનગરના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં વર્ચ્યુલ હાજરી આપી અને ખેડૂત સંમેલન-સંબોધન પણ કર્યું.

યોગાનુયોગ ગઈકાલે જ બપોર પછી ચક્રવાત જેવો તોફાની પવન ફૂંકાયો. આ મિની વાવાઝોડામાં હોર્ડિંગ્સ-બોર્ડ-સોલાર પેનલ્સ તથા ઝુંપડાઓના છાપરાઓ જેવી ચીજવસ્તુઓ ઉડવા લાગી. ઘણાં વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા, માલ-મિલકતને ઘણું નુકસાન થયું, અને સૌથી વધુ નુકસાન આ વંટોળિયાની સાથે થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને થયું. હજુ સવારે જ મુખ્યમંત્રીએ ખેડૂતોને કરેલા સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી નીતિ તથા ખેડૂતલક્ષી યોજનાઓની વાતો કરી હતી. હવે તે જ દિવસે આવેલી આ કુદરતી આફતના કારણે થયેલા વ્યાપક નુકસાન બદલ રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપે અને નવું રાહત પેકેજ જાહેર કરે તેવી અપેક્ષાઓ ખેડૂતો રાખી જ રહ્યા હશે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની પડખે ઊભી હોવાનો હંમેશાં દાવો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફત પછી કેટલી ઝડપથી ખેડૂતોને સહાયભૂત થવાનું જાહેર કરે છે તે...

સામાન્ય રીતે નેતાઓ વાયદાઓ કરવામાં અને જાહેરાતો કરવામાં હંમેશાં પાવરધા હોય છે અને મીઠી-મધુરી ભાષામાં નવા નવા વચનો આપતા રહેતા હોય છે. પરંતુ પછી થી બધું ભૂલી જવાનું હોય છે. જો કે, ઘણાં નેતાઓ એવા પણ હોય છે, તેઓ વાયદાઓ કે વચનો આપવાના બદલે ડાયરેકટ એકશન લેતા હોય છે, અને વાસ્તવમાં લોકોના દુઃખમાં સહભાગી થતા હોય છે.

ઘણાં નેતાઓ જ કહે છે, તે અવશ્ય કરતા હોવાનો દાવો કરતા હોય છે અને કદાચ ઘણાં નેતાઓ પોતાના વચનો-વાયદાઓ કે લોકોને આપેલા આત્મવિશ્વાસ મુજબના કદમ ઉઠાવીને પોતાનું બોલેલું યથાર્થ ઠેરવતા હશે, પરંતુ જેઓ જનતાને સંપૂર્ણ સમર્પિત હોય છે, જનતાની સમસ્યાઓને સમજતા હોય છે, અને લોકોની મુશ્કેલીઓને ઓળખી શકતા હોય છે, તેઓને બોલવાની, વચનો આપવાની કે વાયદાઓ કરવાની જરૂર જ પડતી હોતી નથી, કારણ કે તેઓ સીધા જનલક્ષી તથા જરૂરી કદમ તત્કાળ એન સમયોચિત ઢબે ઉઠાવી જ લેતા હોય છે.

કોઈપણ કુદરતી આફત આવે, ત્યારે ખેડૂતો તથા અન્ય લોકોને હાલાકી ભોગવવી પડે અને નુકસાન થાય, તેવા સમયે તેઓને તત્કાળ સાંત્વના અને આશ્વાસનોની સાથે સાથે તત્કાળ કોઈપણ પ્રકારની મદદ કે સધિયારાની જરૂર હોય છે, અને તેવી મદદ ઝડપભેર મળી જાય તો જગતનો તાત તે કાયમી ધોરણે યાદ રાખતો હોય છે, પરંતુ ગઈકાલે આવી તેવી કે તેથી વધુ હાનિકર્તા આફતો આવ્યા પછી મોટી મોટી જાહેરાતો થાય, પરંતુ તેના સર્વે કરાવવા, ફોર્મ ભરાવવા અને લાંબી લાંબી પ્રક્રિયા કરવામાં આવે, તે પછી પણ જો નુકસાનીના પ્રમાણમાં નહીંવત જ રાહત મળે તો ખેડૂતોમાં તથા અન્ય પીડિતોમાં પણ સ્વાભાવિક રીતે જ અસંતોષ રહેતો હોય છે.

ઘણી વખત કોઈ કુદરતી આફત પછી રાહત પેકેજ જાહેર થાય, અને તેના સંદર્ભે સર્વેક્ષણ અને અન્ય પ્રક્રિયા એટલી લાંબી ચાલે કે ત્યાં સુધીમાં બીજી કુદરતી આફત વરસી પડી હોય, તેવા સમયે પીડિતોને બેવડો માર પડતો હોય છે. આવું ઘણી વખત થયું પણ છે. જો કે, કેટલાક રાહત પેકેજો સમયોચિત અને ન્યાયસંગત રીતે ચૂકવાતા હોય છે, પરંતુ મોટા ભાગે તેવું થતું હોતું નથી.

જામનગરમાં તો ૫૦થી વધુ વૃક્ષો પડી ગયા તથા વીજલાઈનના ટાવરો પડી જતા કેટલોક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જામનગરની જેમ જ રાજ્યભરમાંથી વિવિધ ક્ષેત્રે થયેલા વ્યાપક તથા લોકોને પહેલી હાલાકીના અહેવાલો ઘણાંજ અકળાવનારા તથા સાર્વત્રિક અને ચિંતાજનક પણ છે.

આ પ્રકારની કુદરતી આફતો પછી ખેતી તથા ખેડૂતોને થતા નુકસાન પછી તેઓને મદદરૂપ થવા સમયસર અને સંતોષકારક રાહત પેકેજ તો જાહેર થવા જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે આ જ કારણે પશુપાલકો, નાના વ્યાવસાયિકો, ખેત મજૂરો કે ખેતીવાડીને સંલગ્ન કામ-ધંધા તથા પેઈડ સેવાઓને થયેલા નુકસાન પછી તેવા અત્યંત જરૂરતમંદ લોકોને પણ કોઈને કોઈ પ્રકારે રાહત મળી રહે અને પુનઃ સ્થાપનમાં મદદ મળી રહે, તેવા રાહત પેકેજો પણ જાહેર થવા જોઈએ, કારણ કે, કુદરતી આફતો પછી જિંદગીની ગાડી પુનઃ પાટે ચડાવવા અને વ્યવસાય-ધંધામાં ટકી રહેવા એ કમનસીબ લોકોને પણ ઘણો જ સંઘર્ષ કરવો પડતો હોય છે.

કુદરતી આફતો અને તેના કારણે થયેલા નુકસાનને રાજનીતિનો વિષય બનાવવાના બદલે શાસકપક્ષ અને વિપક્ષો સાથે મળીને પીડિતો તથા જરૂરતમંદોને મદદરૂપ થાય અને રાજધર્મનું પાલન કરે તે પણ અત્યંત જરૂરી છે, પરંતુ વિપક્ષો દ્વારા થતી સારી રજૂઆતોને રાજનીતિ ગણાવીને તેની વગોવણી કરવી યોગ્ય નથી, તેવી જ રીતે સરકારે ઉઠાવેલા યોગ્ય કદમથી ખરેખર લોકોને રાહત પહોંચી હોય, છતાં માત્ર નકારાત્મક ઢબે ટીકા કરવી એ પણ યોગ્ય નથી. કુદરતી આફતો હોય કે આગ-અકસ્માત-દુર્ઘટનાઓ હોય, પીડિત જનતાની પડખે ઊભા રહેવાની ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પવિત્ર ફરજ છે અને તેમાં કોઈ જનતા પર ઉપકાર કરતું નથી, તે પણ સમજી લેવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh