Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં રહેલા યુવાનના પત્નીની ફરિયાદ પરથી પાંચ સામે ગુન્હોઃ
જામનગર તા. ૨૬: જામનગરના રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક યુવાને ગઈકાલે સંગમ બાગ પાસે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ યુવાનના પત્નીએ પોતાના પતિએ જુદા જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂ. ૩૦ લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા પછી રૂ. ૪૦ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરાતી હોવાથી આત્મહત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીક ગોકુલ દર્શનની શેરી નં.૩માં રહેતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉ.વ.૪૩) નામના પટેલ યુવાને પોતાના ધંધા માટે કેટલાક સમય પહેલાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેનું દર મહિને દસથી બાર ટકા જેટલું લાલજીભાઈ વ્યાજ ચૂકવતા રહ્યા હતા.
તે પછી આર્થિક સંકળામણમાં વધુ પીસાયેલા લાલજીભાઈ વ્યાજ ચૂકવી ન શકતા ધર્મેશ રાણપરીયાએ તેઓના કારખાને જઈ બ્રાસપાર્ટ બનાવવાના કેટલાક મશીનો બળજબરીથી મેળવી લીધા હતા. આટલેથી ન અટકી લાલજીભાઈનું અપહરણ કરી તેઓને લોઠીયા ગામમાં લઈ જવાયા હતા. જ્યાં વીસેક દિવસ સુધી આ યુવાનને ગોંધી રાખવામાં આવ્યા હતા.
તેઓની પાસે વ્યાજ તથા મુદ્દલ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત લાલજીભાઈએ અન્ય વ્યક્તિ જેઠાભાઈ હાથલીયા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા હતા. તેઓ પણ વ્યાજની ઉઘરાણી કરી રૂબરૂ અને ફોનમાં ધમકીઓ આપતા હતા. ઉપેન્દ્ર ચાંદ્રા નામના શખ્સ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તેનું વ્યાજ ન આપી શકાતા ઉપેન્દ્રએ લાલજીભાઈની એક્સયુવી મોટર લઈ લીધી હતી.
તે ઉપરાંત કિરીટ ગંઢા તથા હરીશ ગંઢા નામના શખ્સો પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. આ શખ્સોને પણ વ્યાજ ન આપી શકાતા લાલજીભાઈના ભાણેજ સામે કેસ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત પાંચેય વ્યક્તિએ અંદાજે રૂ. ૩૦ લાખ લાલજીભાઈને વ્યાજે ધીર્યા હતા અને તેની સામે લાલજીભાઈએ રૂ. ૪૦ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હોવા છતાં આ વ્યક્તિઓ વ્યાજ તેમજ મુદ્દલ કઢાવવા બળજબરી કરતા હોવાથી માનસિક ત્રાસ અનુભવતા લાલજીભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરોક્ત બનાવની તેમના પત્ની સુધાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાએ બીએનએસની કલમો તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, ઉપેન્દ્ર ચાંદ્રા, હરીશ ગંઢા, કિરીટ ગંઢા સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial