Advertisement
Author: નોબત સમાચાર

વધુ એક વિમાની દુર્ઘટના... આખી દુનિયામાં ઉચાટ, વચ્ચે આંશિક યુદ્ધવિરામ... વિરોધાભાસી નિવેદનોની વણઝાર...

                                                                                                                                                                                                      

નગર થી નેશન અને યુનોથી યુએસએ સુધી ગઈકાલે સાંપ્રત સ્થિતિમાં ટ્રમ્પે કરેલી જાહેરાત, તે પહેલા ભારતની સંસદમાં મિડલ ઈસ્ટના યુદ્ધમાં ભારતની સ્થિતિ તથા શાંતિ સ્થાપનાના વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સંભવિત ભૂમિકા તથા અમેરિકા અને ઈરાન સહિત વિશ્વના જુદા જુદા દેશો તથા વૈશ્વિક નેતાઓના વિરોધાભાસી નિવેદનોની વણઝાર ચાલી હતી. ભારતમાં કેન્દ્ર સરકારે રવિવારથી આદરેલી શ્રેણીબદ્ધ બેઠકો અને સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી તેના વિપક્ષના નેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તથા વૈશ્વિક નેતાઓના વિવિધ મંતવ્યો વચ્ચે એકંદરે આંશિક યુદ્ધ વિરામને આવકાર મળ્યો હતો અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. આખી દુનિયા હવે શાંતિ ઝંખે છે અને શાંતિની વાતો કરનારા વૈશ્વિક નેતાઓ ઊંડા પાણીમાં રમતા હોય તેમ જણાય છે.

વૈશ્વિક અશાંતિની જવાળા સમી રહી નથી, તેવા સંજોગોની વચ્ચે નગરથી નેશન સુધી પણ ધમાચકડીના અહેવાલો આવી રહ્યા છે. અદાવતો અને વેરઝેરના કારણે મારામારીની ઘટનાઓએ ચર્ચા જગાવી છે અને રાજકીય પક્ષો સાથે સંબંધો ધરાવતા પરિબળો વચ્ચે ડખો થાય, ત્યારે તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડતા જ હોય છે. બીજી તરફ ગુજરાતમાં ગઈકાલે ઘણાં સ્થળે પેટ્રોલપંપો તથા ગેસ રિફીલીંગ સ્ટેશનો પર વાહનોની લાંબી લાંબી કતારો લાગ્યા પછી રાજ્ય સરકારે ચોખવટ કરવી પડી હતી કે રાજ્યમાં ઈંધણનો પૂરતો પૂરવઠો મોજુદ છે અને લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવાની જરૂર નથી. ગુજરાત સરકાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને આ ચોખવટ કરવા માટે ગઈકાલે સહિયારૂ નિવેદન આપવું પડયુ હતું.

ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ જાણી જોઈને પેટ્રોલપંપ બંધ રાખનાર અથવા નફાખોરીના હેતુથી વાહનચાલકોને ધક્કા ખવડાવનાર માલિકો-સંચાલકો સામે કડક શબ્દોમાં ચેતવણી ઉચાર્યા પછી સાંજ થતા થતા સ્થિતિ સુધરી રહી હોવાનો દાવો પણ કરાયો હતો.

યુનોના વિવિધ વિભાગો અને ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંગઠનના યુદ્ધને લઈને આવેલા નિવેદનોના પડઘા યુએસએ સુધી પડયા હતા, તો યુએઈ તથા ખાડીના દેશો સુધી યુદ્ધ વિરામની અટકળો તેજ બની હતી., તેવામાં ટ્રમ્પે યૂ-ટર્ન લઈને ઈરાન સાથે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી હોવાનું કહીને પાંચ દિવસના આંશિક યુદ્ધ વિરામની એક તરફી જાહેરાત તો કરી દીધી, પરંતુ તેના થોડા કલાકોમાં જ ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનનું અર્થઘટન પોતાની રીતે કરીને આ ઘોષણાને અમેરિકાની હાર ગણાવી દીધી હતી.

આજે યુદ્ધને ત્રણ અઠવાડિયા પૂરા થવા જઈ રહ્યા છે, અને ચોથુ અઠવાડિયુ શરૂ થવાનું હતું તેવા સમયે જ ટ્રમ્પે શાંતિ માટે એક અઠવાડિયુ વાતચીત ચાલશે તેવો દાવો કરીને ઈરાનના કોઈપણ ઊર્જા ઠેકાણાઓ પર હૂમલો કરવામાં નહીં આવે, તેવી જે ગોળ-ગોળ વાતો કરી, તેને ઈરાને સમર્થન નહીં આપ્યું હોવાથી ગઈકાલથી જ એક પ્રકારની વૈશ્વિક અસમંજસ ઊભી થઈ ગઈ હતી. એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત અખબારે તો મોસાદનું ગણિત સંપૂર્ણપણે નિષ્ફળ પૂરવાર થયું હોવાનું જણાવીને ઈઝરાયલ-અમેરિકાની પાસે પીછે હઠ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો તેવું તારણ  રજૂ કર્યું હતુ, તો કેટલાક વિશ્લેષકોએ યોગાનુયોગ ભારતની સંસદમાં પી.એમ. મોદીએ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થીના મુદ્દે જે ઈશારો કર્યો હતો તેને ટાંકીને ભારતની જ ભૂમિકાને વખાણી હતી, જ્યારે કેટલાક વિશ્લેષકોએ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના ભારત સહિત કેટલાક ન્યુટ્રલ મિત્ર દેશોની બેક ડોર સતત વાટાઘાટો તથા મધ્યસ્થીનું આંશિક પરિણામ ગણાવી આ પાંચેક દિવસના યુદ્ધવિરામને કાયમી યુદ્ધ વિરામ અથવા યુદ્ધના અંતની જાહેરાતમાં ફેરવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. કેટલાક વિશ્લેષકોએ ઈરાનના હોર્મુઝના પ્રતિબંધોના કારણે આખી દુનિયાને થઈ રહેલી અસરોને લઈને અમેરિકા તથા ઈઝરાયલે વ્યૂહાત્મક પીછેહઠ દર્શાવી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જ્યારે વૈશ્વિક નેતાઓના અવરિતપણે આવી રહેલા વિરોધાભાષી નિવેદનોના કારણે યુદ્ધ વિરામ કે આંશિક યુદ્ધ વિરામ અંગે ગઈકાલે જ આશંકાઓ વ્યક્ત કરી હતી.

હજુ યુદ્ધ વિરામ અને શાંતિ-અશાંતિની ચર્ચાઓ થઈ જ રહી હતી, ત્યાં ગઈકાલે રાત્રે વધુ એક આંચકો આપનારા અહેવાલોએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. કોલંબિયા એરફોર્સનું એક વિમાન ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ત્યાંની સેનાના ૧૧૦ જવાનો સવાર હતા. આ દુર્ઘટનામાં થયેલી સંભવિત જાનહાનિ અટકળો વચ્ચે જ્યારે આગની જ્વાળાઓનો વીડિયો વાયરલ થઈ ગયો, ત્યારે અમદાવાદની એ વિમાન દુર્ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોનો જીવ ગયો હતો અને ચમત્કારિક રીતે એક મુસાફરનો જ જીવ બચ્યો હતો, જો કે, કોલંબિયાનું વિમાન સૈન્યનું હતું, જ્યારે અમદાવાદથી પેસેન્જર વિમાને ઉડાન ભરી હતી. બંને દુર્ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ પણ છે.

યુદ્ધ, યુદ્ધવિરામ અને શાંતિની પુનઃ સ્થાપનાની વાત કરીએ, તો ટ્રમ્પે ઈરાન સાથે ફળદાયી વાતો કરવાનો દાવો કર્યો, જેને ઈરાને ગણતરીની કલાકોમાં જ ફગાવી દીધો, તે પછી એવું પણ બન્યું, જે ટ્રમ્પ માટે વધુ શરમજનક ગણાય. અમેરિકામાં ઘરઆંગણે જ ટ્રમ્પે "સળગતું" પકડી લીધુ, તેના પર કટાક્ષ કરતા એવી ટકોર થઈ કે અમેરિકાએ તંગદિલી ઓછી કરવી હોય તો, પહેલા ઈઝરાયલને યુદ્ધ કે હૂમલા કરતા પૂરી રીતે અટકાવવું જોઈએ, ટ્રમ્પની જ સરકારમાં આતંકવાદ વિરોધી ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા જોસેફ જો કેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે ટ્રમ્પ જ્યારે જ્યારે શાંતિની પહેલ કરતા નિવેદનો કરે છે, ત્યારે ત્યારે ઈઝરાયલ (ટ્રમ્પને પૂછ્યા-ગાંઠયા વગર) ઈરાન પર હૂમલાઓ કરીને વાટાઘાટો શરૂ જ થવા દેતુ નથી, જેને અટકાવવાની જરૂર છે.

હવે આખી દુનિયા ઈચ્છે છે કે યુદ્ધવિરામ થાય, હોર્મુઝ સ્ટેટ ખૂલી જાય અને ટ્રમ્પને સદ્બુદ્ધિ આપે, નેતન્યાર્હુ નૈતિકતા દાખવે અને ઈરાન પણ ડહાપણ દાખવે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh