Advertisement
Author: નોબત સમાચાર

સડકથી સંસદ સુધી સરકાર સામે શોર... રાહુલની સટાસટી... મંત્રી કહે, 'સબ સલામત... સબ સલામત...'

                                                                                                                                                                                                      

ગઈકાલે લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બીરલા ફરીથી અધ્યક્ષસ્થાનેથી ગૃહ ચલાવતા દેખાયા. બુધવારે તેમની સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ રદ થયા પછી તેઓએ ફરીથી કામ સંભાળી લીધુ, પરંતુ વિપક્ષી સાંસદોએ દેશમાં એલપીજીની તંગીના મુદ્દે હોબાળો કરતા પહેલા ગૃહને બપોર સુધી સ્થગિત કરી દીધુ હતું. વિપક્ષના સાંસદોએ ગૃહની બહાર સંસદ સંકુલમાં જ એલપીજીના મુદ્દે દેખાવો પણ કર્યા અને સરકાર પર પેટ્રોલ અને એલપીજીના સ્ટોકને લઈને વાસ્તવિકતા છુપાવાઈ રહી હોવાના આક્ષેપો કર્યા. વિપક્ષોનું મંતવ્ય એવું હતું કે દેશમાં હકીકતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ભારે તંગી છે, પરંતુ સરકાર હકીકતો છુપાવીને જનતાને ગૂમરાહ કરી રહી છે.

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા (લીડર) રાહુલ ગાંધીએ પણ સટાસટી બોલાવી અને સરકારને એલપીજીની તંગીના નિવારણ માટે ચર્ચાની સરકારને નોટીસ આપી, તે પછી ગૃહમાં સરકાર ઝુકી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ. ગૃહમાં પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે ચર્ચાનો પ્રારંભ કરાવ્યો અને મોદી સરકારને ઘેરી આ દરમ્યાન ગૃહમાં બંને તરફથી હાકલા-પડકારા પણ થતા રહ્યા. રાહુલે કહ્યું કે ગૃહમાં વડાપ્રધાન (નરેન્દર) અને દેશમાં સિલિન્ડર ગાયબ છે, ત્યારે પણ હોબાળો મચ્યો, તે પછી વિપક્ષના સાંસદોએ દેશભરમાં રાંધણગેસ માટે લાગેલી લાંબી લાંબી લાઈનોના દૃષ્ટાંતો આપીને સરકારને સવાલ કર્યો કે જો દેશમાં રાંધણગેસ, પેટ્રોલ, ડીઝલની તંગી જ ન હોય, તો આટલી લાંબી લાઈનોમાં રાંધણગેસ માટે લોકો કેમ ઊભા રહેલા દેખાય છે ? ડીઝલ, પેટ્રોલપંપો અને સીએનજીના પંપો પર વાહનોની લાંબી લાઈનો કેમ છે ? શું હકીકતે આ યુદ્ધની માઠી અસરો નથી ? આ અંગે સરકાર શું છુપાવી રહી છે અને આ સમસ્યાના નિવારણ માટે નક્કર પગલાં કેમ લેવાઈ રહ્યા નથી ? તેવા સવાલોની ઝડી સંસદની અંદર અને બહાર વરસાવી હતી.

એક તરફ સડકથી સંસદ સુધી પેટ્રોલિયમ પદાર્થો અને ખાસ કરીને રાંધણગેસની તંગીનો મુદ્દો પડઘાઈ રહ્યો હતો, તો બીજી તરફ ઈલેકટ્રીક ચુલાઓની ડિમાન્ડ પણ અચાનક એટલી બધી વધી ગઈ કે ઘણાં સ્થળે સ્ટોક જ ખાલી થઈ ગયો હોવાના અહેવાલો આવ્યા હતા. તે પછી તો ઈન્ડકશનની માંગ વધવા તથા સ્ટોક ઘટી જતા માર્કેટમાં ઈન્ડક્શનના ભાવોમાં પણ ૧૫ થી ૩૦ ટકાનો વધારો થયો હતો. જો કે, કેટલાક વેપારી મંડળોએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિમાં સંકટના સમયે લોકોની પડખે ઊભા રહેવા તથા ભાવો નહીં વધારવાનો નિર્ણય લીધો હતો અને લોકોની મજબૂરીનો લાભ નહીં ઉઠાવવા વેપારીઓને અપીલો પણ થઈ રહી હતી.

એક તરફ સરકારી તંત્રો અવાર નવાર ચોખવટો કરી રહ્યા હતા કે આ માત્ર અફવા જ છે. અને દેશમાં રાંધણગેસ સહિત પેટ્રોલિયમ પદાર્થોનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ લોકોમાં એટલો ગભરાટ ફેલાયો હતો કે બધા કામ પડતા મૂકીને લોકો રાંધણગેસ માટે હડિયાપટ્ટી કરી રહ્યા હતા. આ સ્થિતિનો ગેરલાભ લેવા ઈચ્છતા પેધી ગયેલા પરિબળો પણ સક્રિય થઈ ગયેલા જોવા મળ્યા હતા.

અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સાથે મીડિયા વોર પણ ચાલી રહ્યું હોય, તેમ જુદા જુદા અહેવાલો આવે, તેનો રદિયો આવે અથવા કન્ફયુઝન રહે, તે પછી ફરીથી કન્ફર્મ થાય, તેવી ગુંચવણો પણ ઊભી થઈ રહી છે, અથવા કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે અહેવાલો આવ્યા હતા કે હોર્મુઝમાંથી પસાર થવાની ઈરાને ભારતના જહાજોને મંજુરી આપી દીધી છે. થોડી વારમાં જ એવા અહેવાલો આવ્યા કે દેશને આવી કોઈ મંજુરી અપાઈ નથી. જો કે, બપોર પછી ફરીથી અહેવાલો આવ્યા કે ભારતીય જહાજોને હોર્મુઝની દરિયાઈ પટ્ટીમાંથી પસાર થવાની મંજુરી બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે થયેલી વાતચીત (ટેલિફોનિક વાટાઘાટો) પછી ઈરાન સરકારે આપી દીધી છે. તે પછી આ બંને પ્રકારના વિરોધાભાસી અહેવાલોના કારણે એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી થયા પછી સમી સાંજે સત્તાવાર ચોખવટ થઈ કે બંને દેશોના પ્રદેશમંત્રીઓએ વાતચીત કરી છે, પરંતુ તેનું પરિણામ શું આવ્યું, તે કહેવું વહેલુ ગણાશે !

ગઈકાલે ઈરાનના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઈએ હોર્મુઝ સ્ટેટનો જળમાર્ગ તેલ શિપિંગ માટે બંધ રહેશે અને ઈઝરાયલ-અમેરિકા સામે બદલો લેશે. તેમણે પડોશી દેશોને પણ અમેરિકી સૈન્ય ઠેકાણા બંધ કરવા અથવા સંઘર્ષમાં ફસાવાની ચેતવણી આપી દીધી, અને પોતાના પિતા આયાતોલ્લાઅલી ખામેનેઈની નીતિઓને યથાવત રાખવાના સંકેતો આપ્યા. આ કારણે અનિશ્ચિતતાઓ વધી રહી હોવાથી ગભરાયેલી જનતાને સરકારે સ્પષ્ટ અને સારી માહિતી નિરંતર આપતા રહેવું જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ પડઘાયા હતા.

બીજી તરફ સંસદમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ગઈકાલે ચોખવટ કરતા કહ્યું કે દેશમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, વગેરેની સપ્લાઈ, સંપૂર્ણપણે સામાન્ય છે તથા કોઈપણ પ્રકારની અછત નથી. કાચા ઓઈલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કે બીનજરૂરી સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી.

તેમણે એમ પણ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વનું લગભગ ૨૦ ટકા ક્રૂડ ઓઈલ અને એલપીજીને અસર થઈ છે. ભારતે હવે પોતાની રણનીતિ બદલી છે, ભારતે હોર્મુઝ ઉપરાંત અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા પણ ૪૦થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત શરૂ કરી દીધી છે. રશિયા, કેનેડા અને નોર્વે સહિતના દેશો પાસેથી ભારતે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગે પણ પુરવઠો મેળવીને હોર્મુઝ પરની નિર્ભરતા જ ૭૦ ટકા ઘટાડી દીધી છે. વૈકલ્પિક સપ્લાય સક્રિય થઈ જતા દેશમાં ઈંધણ કે ગેસની તંગી પડવાની સંભાવના ઘણી જ ઓછી હોવાથી લોકો સ્વયં સંગ્રહ ન કરે, તેવી અપીલો પણ સરકારે કરી છેે, ત્યારે જોઈએ, નજીકના ભવિષ્યમાં આ સંકટ હટે છે, ઘટે છે કે પછી ગોટે ચડે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh