Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીજડા મંદિરે ૧૫ ઓગસ્ટની સાંજે પાંચ વાગ્યે ''કાન્હાને મારૂ માખણ'' કાર્યક્રમ યોજાશે જેમાં ભક્તો માખણ ધરશે
જામનગર તા. ૧૪: છોટીકાશી જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. છેલ્લા ૧૮ વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ ૧૯માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા કૃષ્ણમણિ મહારાજની નિશ્રામાં બેઠકોમાં શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે. આ સાર્વજનિક કાર્યમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહૃાા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૫ જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં ૧૯માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને ૧૮થી વધુ જગ્યાઓએ જાહેર સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જનમાષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો-અગ્રણીઓના આહવાન કરતા બેનરો લાગ્યા છે આ ઉપરાંત ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયાના સહયોગથી ૧૫,૦૦૦ થી વધુ સ્ટીકરો પણ સૌ પ્રથમ વખત લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઇ પિઠીયા, કિશનભાઇ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અને નક્કી થયા મુજબ આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫ના સોમવારે સવારે ૮:૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ પછી આ શોભાયાત્રા ૨૫ જેટલા વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.
જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ઓમ યુવક મંડળ, વિરાટ બજરંગદળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, શ્રી મૉં દર્શન ગૌશાળા, આહીર સમાજ, શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (હકુભા), ઋષિરાજ એન્ટરપ્રાઇઝ (પ્રદીપસિંહ વાળા) સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહૃાા છે.
આ શોભાયાત્રા પૂર્વે ખાસ વધુ પ્રચાર થાય તે માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બે સાઈઝમાં ફોટા સાથેના સેલ્ફી બનાવવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા પછી હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે અને હવાઈ ચોક મિત્ર મંડળના મનિષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાશે. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમજ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં વિરાટ બજરંગદળ દ્વારા સ્વાગત અને મટકીફોડ, ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું સ્વાગત અને મટકી ફોડ યોજવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં પણ મટકી ફોડ કરાશે. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રજપૂત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા બ્રહ્મ અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રા ના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે મટકીફોડ બાદમાં પંચેશ્વર ટાવર પાસે ભરવાડ સમાજ જામનગરના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે. ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પાસે જામનગર ખોડલધામ સમિતિ દ્વારા મટકી ફોડ અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આમ ૧૫ થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.
જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ કરાયેલા છે. તેવા વિવિધ રાજમાર્ગો પર થી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થશે. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે.
આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે ૧૫ ઓગસ્ટે કાન્હાને મારૂ માખણ અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનાવવા આયોજન કરાયું છે. નવા અભિગમ સાથે કૃષ્ણ ભક્તોને શોભાયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણની ભાવતા માખણ ધરાવી સહભાગી થવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. કાન્હાને મારૂ માખણ અંતર્ગત જામનગર શહેરભરમાં વસતા તમામ ધાર્મિક સંસ્થાઓ, ભક્તજનો, મહિલા મંડળ, સત્સંગ મંડળને ખાસ ૧૫ મી ઓગસ્ટ ના રોજ સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન પોતાના ઘરેથી તાજુ માખણ લાવી શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં ભક્તિ ભાવ સાથે માખણ અર્પણ કરવા માટે આહ્વાન કરાયું છે. આ માખણ શોભાયાત્રા ના રૂટ પર ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળશે તે દરમિયાન મટકીઓ બાંધવામાં આવશે તેમાં પધરાવવામાં આવનાર છે. અને કાન્હાને સૌ કોઈ પ્રેમથી ભક્તિથી પોતાનું માખણ ધરાવે તે પ્રકારનો નવો અભિગમ સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા અપનાવવામાં આવ્યો છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઇ વસરા, દિનેશભાઈ ક્નખરા સહિતના અગ્રણીઓ 'નોબત'ની મુલાકાતે આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial