Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં બે દિ' તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

જાણે કમોસમી ચોમાસુ બેઠું: બે દિવસમાં ૪ થી ૧૨ ઈંચ સુધી વરસાદઃ હાલારમાં ઝરમરિયા ઝાપટાં:

                                                                                                                                                                                                      

અમદાવાદ/ જામનગર તા. ૩૦: હાલાર સહિત ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે કયાંક ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને જુદા-જુદા વિસ્તારોમાં બે દિવસમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા બે દિ' માં ૧૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ કારણે ગંદકી વધતા રોગચાળાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. જાણે કમોસમી ચોમાસુ બેઠું હોય તેવી નવી આગાહીઓ થઈ છે અને આજે પાંચ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે આજે (૩૦મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ ૪થી ૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવાર (૩૧મી ઓક્ટોબર) સુધીમાં ગુજરાત પર એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ધોધમાર વરસાદની સાથે ૫૫ થી ૬૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (૩૦મી ઓક્ટોબર) વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવી છે.

આવતીકાલે (૩૧મી ઓક્ટોબર) સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ઑરેન્જ ઍલર્ટ, જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.

શનિવારે (પહેલી નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

વિવિધ જિલ્લાઓમાં વરસાદ

તાજા અહેવાલો મુજબ અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસી રહૃાો છે. રાજુલા શહેર, જાફરાબાદ શહેર સહિત મોટાભાગના ગામડામાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ખાંભા તાલુકાના ગામડામાં પણ વરસાદ પડી રહૃાો છે. વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતા ફરી શરૂ થયેલા વરસાદે વધારી છે.

ઉના તાલુકામાં હજુ તો માંડ-માંડ પાણી ઓસર્યા હતા, ત્યાં આજે ફરી કમોસમી વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. વરસાદે ખેડૂતો અને દરિયાઈ ખેડૂતોને પાઈમાલ કર્યો બાદ પણ હજુ કહેર વરતાવી રહૃાો છે.

અમદાવાદ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી વરસાદના વાવડ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ છે. ત્યારે હિંમતનગરના બોરીયા, હાજીપુર, મોતીપુરા સહિતના વિસ્તારોમાં અને પ્રાંતિજના સલાલ, દલપુર, સોનાસણ, પોગલુ, કમાલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે સવારથી જ વાદળોથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડી રહૃાા છે.

હાલારમાં ઝરમરિયો વરસાદ

હાલારમાં ગઈકાલે ઝરમર વરસાદ વરસ્યો હતો. પરીણામે શહેરમાં ગંદકી-ગારા- કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. તેની અસર રાજ્યના અમુક જિલ્લા સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી હતી. ગઈકાલે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જે દ્વારકામાં બે મીમી અને કલ્યાણપુરમાં સાત મીમી નોંધાયો હતો.

આ પછી ગત મધ્યરાત્રિના ૨ થી ૪ વાગ્યાના સમય ગાળામાં ધ્રોલમાં ૩ મીમી વરસાદ અને જામનગર શહેરમાં એક મીમી વરસાદ ઝરમર સ્વરૂપે વરસ્યો હતો. જો કે દિવસ દરમ્યાન અને રાત્રે પણ વરસાદી માહોલ જળવાયો હતો. અને ઠંડા સુસવાટા મારતો પવન ફુંકાયો હતો.

આમ, મીશ્ર ઋતુનાં કારણે બીમારીનું પ્રમાણ વધી શકે છે. તેમ જાણકારો જણાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh