Advertisement
Author: નોબત સમાચાર

કપાસીમાં ચૂસિયા જીવાતોના સંકલિત રોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જોગ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯: જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લાના ખેડૂતોને કપાસમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે પગલાઓ લેવા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/જંગલી ભીંડા/કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્ત્વ ધરાવતી ૧૫૦૦, ૩,૦૦૦ કે ૧૦,૦૦૦ પી.પી.એમ. અનુક્રમે ૫ લી, ૨.૫ લી કે ૭૫૦ મી.લી. પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.

મોલો મશી, સફેદમાખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો. રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરવો.

પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો. ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો. સફેદમાખીના ઉપદ્રવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ટી મોસ્કીટો બગથી થયેલ નુકસાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.  વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh