Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણું ગરવુ ગુજરાત માત્ર વ્યાપાર, ઉદ્યોગ જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી માટે પણ ગ્લોબલ ગરિમા ધરાવે છે. અને પ્રાચીન કાળ સુધી અર્વાચીન યુગ સુધીના ઈતિહાસમાં પણ ગુજરાતના નરબંકાઓ તથા નારીરત્નોની સુવર્ણ અક્ષરે નોંધ લેવાઈ છે...આકાશથી પાતાળ સુધી અને ગામડાથી ગ્લોબ સુધી ગુજરાતનો ડંકો વાગે છે. જેમાં ખેલજગતનું ક્ષેત્ર પણ બાકાત નથી. ગઈકાલે ભારત-પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય થયો તેમાં પણ ગુજરાતના ત્રણ બોલરોનો પણ સિંહફાળો રહ્યો છે. ઈશાન કિશનની ધૂંવાધાર બેટીંગથી ભારતીય ટીમ ૧૭૫ રન સુધી પહોંચી શકી હતી, પરંતુ પાકિસ્તાનને પૂરા સવાસો રન પણ થવા દીધા નહીં, તેમાં હાર્દિક પંડયા, જસપ્રીત બૂમરાહ અને અક્ષર પટેલ જેવા ત્રણ ગુજ્જુ ક્રિકેટરો સહિત તમામ છ બોલરોનો ફાળો રહ્યો હતો. બોલરોએ એવો તરખાટ મચાવ્યો હતો કે પાકિસ્તાનના બેટધરો ઘુંટણીએ પડી ગયા હતા અને ૧૦ ઓવર પછી તો ધીમે ધીમે મેચ એક તરફી જ થઈ ગઈ હતી. અને અંતે ભારતનો મોટી લીડથી વિજય થયો હતો. જેના વધામણાં જામનગર અને ગુજરાત સહિત દેશભરના ક્રિકેટ રસિયાઓએ કર્યા હતા.
કોઈપણ ટૂર્નામેન્ટમાં ફાયનલ મેચ કરતા યે વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં પણ હોય છે, તેમાં પણ ઓપરેશન સિંદૂર પછી આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમોના કારણે પાકિસ્તાન સાથે તટસ્થ સ્થળે મેચ રમવા છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાક.ના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા નથી અને પાકિસ્તાનની સરકારના આતંકવાદીઓનું પાલન-પોષણ કરવાની મનોવૃત્તિનો વિરોધ પ્રતિકાત્મક રીતે દર્શાવે છે. જો કે, ભારત અત્યાર સુધીની નવ મેચોમાંથી વર્તમાન ટી-૨૦ વર્લ્ડકપમાં જ આઠ લીગ મેચો જીત્યું છે, જયારે પાકિસ્તાન એકાદ મેચ જ જીત્યું છે, જો કે, જ્યારે દેશની ટીમ રમતી હોય, ત્યારે કોઈપણ ખેલાડી કોઈ પ્રાન્ત કે વિસ્તારનો નહીં, પણ આખા દેશનો જ કહેવાય. પરંતુ જ્યારે ગુજરાતના કોઈપણ ખેલાડી દેશનું ગૌરવ વધારે, ત્યારે ગરવા ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે જ ને ?
ગુજરાતીઓ સામાન્ય રીતે તો વ્યાપારી ગણાય છે અને વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ અત્યારે ગ્લોબલ ઈન્ડસ્ટ્રાલિસ્ટોની અગ્રીમ હરોળમાં પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનો આજે પણ છે, અને ભૂતકાળમાં પણ હતા. તે ઉપરાંત કનૈયાલાલથી માણેકલાલ મુનશી જેવા નવલકથાકાર, સાહિત્યકાર, ઈતિહાસવિદ્દ, શિક્ષણવિદ્દ અને સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદી પહેલા અને પછી દેશના દિગ્ગજ નેતા તેમજ બંધારણસભાના સભ્ય હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તે બધા ગરિમામય દિગ્ગજ ગુજરાતી દેશભક્ત નેતાઓ જ હતા ને ?
ગુજરાતીઓનો દબદબો ખેલના મેદાનથી દિલ્હી અને વોશિંગ્ટન જ નહીં, વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલો છે અને ગુજરાતની ગ્લોબલ ઈમેજ પણ ગૌરવવંતી છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ બધા ગુજરાતીઓની જ છે ને ?
સિક્કાની બીજી બાજુ પણ છે. દેશના કેટલાક કૂખ્યાત દાણચોરો પણ ગુજરાતમાંથી પાક્યા હતા અને દેશવ્યાપી કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કેટલાક ગેરકાનૂની ગોરખધંધા તથા મસમોટા કૌભાંડોમાં પણ કેટલાક કૂખ્યાત લોકો ગુજરાત સાથે સંકળાયેલા હતા. અર્થનીતિ હોય કે રાજનીતિ હોય, દેશનું ક્ષેત્ર હોય કે વૈશ્વિક કાર્યક્ષેત્ર હોય, ગરિમામય ઝળહળતી સિદ્ધિઓ કે ખ્યાતિ મેળવનાર ગુજરાતીઓનું ગૌરવગાન હંમેશાં થતું રહ્યું છે, પરંતુ તેમાં ચંદ્રમામાં દેખાતી કાલિમા જેવા ગોરખધંધા કરનારાઓ ઝાંખપ લગાડતા રહ્યા છે.
પ્રેસ મીડિયામાં હમણાંથી એનસીઆરબીની "ક્રાઈમ ઈન ઈન્ડિયા" નામની પુસ્તિકાની ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્યવાર ગુનાખોરીના વિવરણ સાથે વર્ષોથી વિવિધ આંકડાઓ અપાતા હોય છે. તે ઉપરાંત રાજ્યના ગૃહવિભાગમાં પણ રાજ્યમાં ક્રાઈમની સ્થિતિ તથા તેના નિયંત્રણની સમીક્ષાઓ થતી રહેતી હોય છે. ગુજરાતમાં નોંધાતો ક્રાઈમ અને હકીકતે થતી ગુનાખોરીની ચર્ચા અલગથી કરવા જેવી છે, પરંતુ રાજ્યમાં હમણાંથી સાયબર-ક્રાઈમની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક જણાય છે, તે ઉપરાંત દગાખોરી, વિશ્વાસઘાત તથા ખંડણીખોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે આપણા ગરવા ગુજરાતના સંસ્કાર કે સંસ્કૃતિને અનુરૂપ તો નથી જ, પરંતુ આપણા દેશની ગરિમા માટે પણ લાંછનરૂપ જ ગણાય. આ અંગે તમામ ગુજરાતીઓએ જાગવું જ પડે તેમ છે, જેનું નેતૃત્વ દિગ્ગજ ગુજરાતીઓએ કરવું જ જોઈએ.
ગઈકાલે એક તરફ મહાશિવરાત્રિની ઉજવણીનો અનેરો ઉત્સાહ હતો તો બીજી તરફ પાકિસ્તાન સામે ભારતની ટીમે ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં મેળવેલા વિજયનો આનંદ પણ છલકાઈ રહ્યો હતો. આ કારણે જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમા ખુશીનો માહોલ હતો, અને આ માહોલની વચ્ચે દેશ-દુનિયાની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચાઓ તથા ઉદ્ભવતી લોકલાગણીઓ જે રીતે પડઘાતી હતી, તે જોતાં એવું લાગતું હતું કે ગરવા ગુજરાતીઓ વિજયાનંદ અને ઉત્સવોની ઉત્સાહથી ઉજવણીઓને પણ માણી શકે છે, અને સાંપ્રત સમયની વિટંબણાઓ, સમસ્યાઓ તથા મુશ્કેલીઓને પચાવી પણ જાણે છે, જે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ, તેની સામે થયેલો ઉહાપોહ અને આજની સાંસદબેનની તંત્રવાહકો-હિતધારકો સાથેની સૂચિત મિટિંગ સહિતના ઘટનાક્રમોમાંથી ફલિત થાય છે.
મહાશિવરાત્રિના દિવસે મહાવિજયના પ્રતિભાવો સાથે પાકિસ્તાન સામેના વિજયના વધામણાં કરવામાં સાધુ-સંતોનો એક વર્ગ પણ સામેલ થયો હતો, જે વિશેષતા હતી. નગરમાં મહાશિવરાત્રિના પર્વે થોડી વિટંબણા તથા ઘટનાક્રમ ટોક ઓફ ધ ટાઉન બન્યો, તો આજે બધાની નજર હનુમાન ટેકરી વિસ્તારના સૂચિત ડિમોલિશનના મુદ્દે યોજાનારી મોટી મિટિંગ પર હોવાથી તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
મહાશિવરાત્રિ અને ક્રિકેટ જંગના થયેલા વિજયની ઉજવણી પછી હવે આજથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના સત્રના કારણે તથા રાજયના બજેટના અનુસંધાને થતી ચર્ચા પણ થઈ રહી છે, તો, મહાશિવરાત્રિના પર્વની ઉજવણીનો નાદ હજુ પણ બધાના કાનોમાં ગુંજી રહ્યો હશે. શિવજી સૌને સદ્બુદ્ધિ, સમજણ અને શક્તિ આપે, અને જે કાંઈ વિટંબણાઓ અને વિવાદો છે, તે શાંતિપૂર્વક ઉકેલાઈ જાય, તેવું ઈચ્છીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial