Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ તથા જિલ્લા વહીવટી તંત્રની ટીમો દોડીઃ
જામનગર તા. રપઃ જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હૂમલો થતા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ તેમજ ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર ધસી ગઈ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલમાં રિલાયન્સના સહયોગથી એનએસજી સંકલિત રાહત બચાવ કામગીરીનું સફળ પ્રદર્શન કર્યુ હતું. મોકડ્રીલની સફળતા થકી જિલ્લા વહીવટી તંત્રએ ફરી એક વખત આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ હોવાનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.
રિલાયન્સ રિફાઇનરીમાં તા. ૨૩ ફેબ્રુઆરીના સાંજે ૭:૪૦ કલાકે આતંકી હુમલો થયા અંગેની જાણ રિલાયન્સ રિફાઇનરી દ્વારા જામનગર જિલ્લા કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. અને યુદ્ધના ધોરણે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમ રિલાયન્સ આર.વી. ગેટ નજીક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર, આરોગ્ય વિભાગની ટીમો, પોલીસ તંત્ર, ક્વીક રિસ્પોન્સ ટીમ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દોડતી થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આજુબાજુના વિસ્તારમાંથી લોકોને નજીકના આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર અને વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તથા શંકાસ્પદ તત્ત્વોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી.
અંતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટના રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ જાહેર કરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે એનએસજી દ્વારા પ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે રાષ્ટ્રીય કક્ષાની ટેરરિઝમ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી.
રિલાયન્સ રિફાઇનરીમાં ૪ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ૧૦ પૈકી ૯ હોસ્ટેજિસને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, એકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ચારેય આતંકવાદીઓના મોત નિપજ્યા હતા અને ૨ કમાન્ડો શહીદ થયા હતા. સાંજે ૭:૪૦ વાગ્યે શરૂ થયેલ આ મોકડ્રીલ રાત્રે ૩:૧૯ કલાકે પૂર્ણ થઈ હતી.
આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, ત્વરિત પ્રતિસાદ અને અસરકારક બચાવ કામગીરીનું મૂલ્યાંકન કરવાનો હતો. સમગ્ર કામગીરીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડની વિશેષ ટીમ દ્વારા વ્યુહાત્મક કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.
આ મોકડ્રીલમાં પોલીસ, ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, તબીબો, સબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એ સક્રિય ભાગ લીધો હતો. અને મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થઈ હતી.
નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સમગ્ર મોકડ્રીલ નું સંકલન તથા સંચાલન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શનથી તમામ કામગીરી ત્વરિત યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન સંકલિત તમામ વિભાગોએ ઉત્તમ સમન્વયનું દૃષ્ટાંત પૂરૃંં પાડ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કંટ્રોલરૂમ મારફતે વિવિધ ટીમોને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા એજન્સી નેશનલ સિક્યુરિટી ગાર્ડએ પણ સફળ તાલીમનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર અભ્યાસ દ્વારા સંભવિત આપત્તિ સમયે અસરકારક પ્રતિસાદ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલની સફળતા થકી જિલ્લા વહીવટીતંત્રએ ફરી એક વખત આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial