Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રવિવારે સવારે સમાચાર આવ્યા કે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરિકાની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે અને અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો પોતપોતાના દેશમાં પરત ફર્યા. તે પછી જે કાંઈ અનિશ્ચિતતાઓ, આશંકાઓ અને સંભાવનાઓ ઊભી થઈ રહી છે, તે આપણી સામે જ છે. રવિવારના ઘટનાક્રમોમાં કહીં ખુશી કહીં ગમ જેવા રહ્યા, કારણ કે લગભગ આખી દુનિયા ઈચ્છતી હતી કે ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન થઈ જાય, અને સંપૂર્ણ સમજૂતિ ન થાય, તો પણ હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે કાયમ માટે ખુલી જાય. આ આશા સંતોષાઈ શકી નહીં અને પાકિસ્તાનની લીંબડ જશ ખાટવાની નિયત પણ ખુલ્લી પડી ગઈ. અત્યાર સુધી વિશ્વમાં યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે જ્યારે જ્યારે વાટાઘાટો થઈ છે, તે બહુ જાજો પ્રચાર-પ્રસાર કર્યા વિના અને તટસ્થ સ્થળ અને મધ્યસ્થીની સક્રિય ભૂમિકા હેઠળ થઈ છે, પરંતુ પાકિસ્તાનમાં તો કોઈ "ઈવેન્ટ" હોય તેમ ફોટોસેશન યોજાયા અને બંને દેશો વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા માત્ર ટપાલી જેવી જ રહી ગઈ હોય તેવો આભાસ ઊભો થયો, જેની વૈશ્વિક ટીકા પણ થઈ.
દુનિયા હજુ આ બેડ ન્યૂઝનો આઘાત સહન કરવાનો પ્રયાસ કરી જ રહી હતી, ત્યાં ગઈકાલે રવિવારે બીજા બેડ ન્યૂઝ આવ્યા કે સ્વર સામગ્રી સ્વ. લતામંગેશકરના બહેન અને વિખ્યાત ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. તે પછી ગઈકાલે ઈરાન-અમેરિકાના સમાચારોના સ્થાને દિવંગત આશા ભોંસલેજીના જીવન સંઘર્ષ અને ઉપલબ્ધિઓની ચર્ચા થવા લાગી, અને તેણીના ગીતો પણ દિવસભર ગૂંજ્યા. દેશ-વિદેશમાં શ્રદ્ધાંજલિઓ અપાઈ.
ગઈકાલે જ બપોરે આઈપીએલમાં લખનૌની ટીમ સામે ગુજરાત ટાઈટન્સ ટીમ જીતી ગઈ અને સાંજે બેંગલુરૂની ટીમ સાથે મુંબઈની ટીમની રસાકસીની મોજ પણ ક્રિક્ેટ રસિયાઓએ માણી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હારી ગઈ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારો નક્કી થયા પછી કોણ કોની સામે છે અને કોણે કોણે છેલ્લી ઘડીએ પાટલી બદલી છે, તેની ચર્ચા વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કેટલાક બિનહરીફ વિજેતાઓ જાહેર થાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ, કારણ કે ત્યાં એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.
જો કે, ગઈકાલથી ગુંજી રહેલો મુખ્ય મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે, અને તે મુદ્દો છે મહિલા અનામત બિલ...
કેન્દ્રની મોદી સરકારે મહિલા અનામત બિલને નારીશક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩ સર્વસંમતિથી સપ્ટેમ્બર-૨૦૨૩મા જ પસાર કર્યું હતું, તો તે સમયે કોંગ્રેસની માંગણી છતાં સરકારે એ કાયદો કેમ લાગૂ કર્યો નહી ? તેવો પ્રશ્ન ઉઠાવીને કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આગામી તા. ૧૬ એપ્રિલથી આ જ અધિનિયમ પર ચર્ચા કરવા માટે બોલાવાયેલી વિશેષ સંસદસત્રની બેઠકના ટાઈમીંગ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અઢી વર્ષે આ જ અધિનિયમ પર ચર્ચા કરવા વિપક્ષોને વિશ્વાસમાં લીધા વિના સંસદની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે, અને હવે અમને આ અધિનિયમ સર્વસંમતિથી પસાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ અંગે વિસ્તૃત ચર્ચા માટે પહેલા સર્વપક્ષિય બેઠક બોલાવવી જોઈએ, કારણ કે પૂરતી ચર્ચા વિના ઉતાવળે આ અધિનિયમ લાગુ કરી દેવો યોગ્ય નથી.
હકીકતે વર્ષ ૨૦૨૯થી લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ૧૬ એપ્રિલથી આ અધિનિયમ પર ચર્ચા કરવા માટે સંસદની વિશેષ બેઠક બોલાવી છે, અને તેમાં સહયોગ આપવા અને આ બિલને રાજનીતિથી અલગ ગણીને સર્વાનુમતે લાગુ કરવા વિપક્ષોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગી અધ્યક્ષ ખડગેએ કહ્યું કે દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે, રાજકીય ફાયદો મેળવવા માટે આ બેઠક બોલાવાઈ રહી છે. આ માટે વિસ્તૃત પરામર્શ માટે રાજકીય પક્ષોને પૂરતો સમય મળી રહે, તે માટે હાલની વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓ સંપન્ન થયા પછી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને તે પણ સર્વસંમતિ સાધવામાં આવે, તે યોગ્ય રહેશે.
ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગૂગલી ફેંકી એન તેની સામે ખડગેએ બાઉન્ડ્રી ફટકારી હોય તેવો ઘાટ સર્જાયો છે, હવે કેન્દ્ર સરકાર સર્વસંમતિ માટે કેવા પ્રયત્નો કરે છે, તે જોવાનું રહ્યું. જો કે, સરકારની બહુમતી હોવાથી આ બિલ પસાર તો થવાનું જ છે, બસ, ટાઈમીંગનો સવાલ છે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial