Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણી સંસ્કૃતિમાં વિશ્વાસઘાતને મોટું પાપ માનવામાં આવ્યું છે અને 'વિશ્વાસે વહાણ ચાલે'ની વિભાવના પણ પ્રચલિત છે, પરંતુ અત્યારે હળહળતો કળીયુગ આવ્યો છે. ઘણાં એવા બનાવો બને છે, જેમાં માલ-મિલકત કે ભાયુભાગના વિવાદમાં મારામારી, હિંસા કે હત્યાઓ કરી નાખવામાં આવે છે. આપણાં જ દેશમાં સત્કાર્યો માટે મોટી સખાવતો કે જમીનો દાન કરનારા લોકો પણ છે, અને સંપત્તિ અને જમીનો પડાવી લેનારા નિર્દય લોકો પણ છે.
જમીન-મિલકતના ઝઘડા કે સંઘર્ષ તો પ્રત્યક્ષ હોય છે, અને તે સરાજાહેર તથા દુનિયા જોઈ શકે, તેવી રીતે ખુલ્લેઆમ થતા હોય છે, પરંતુ ઘણાં કિસ્સાઓ એવા બને છે, જેમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને, છેતરપિંડીથી કે પછી વિશ્વાસ મૂકીને સોંપેલા નાણાકીય વહીવટના અધિકારો અથવા પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરીને પોતાના જ સ્વજન, કુટુંબીજન, સ્નેહીજન કે શેઠિયા, માલિકો કે નોકરીદાતા પેઢી-કંપની સાથે ફ્રોડ આચરવામાં આવે છે, અને સ્થાવર કે જંગમ મિલકતો કે જંગી રકમ પચાવી પાડવાના કાવત્રા રચાતા હોય છે.
આપણી સંસ્કૃતિમાં બહેનની રક્ષા માટે કે બહેનની માલ-મિલકતની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અડિખમ રક્ષક બનતા ભાઈઓના ઘણાં દૃષ્ટાંતો છે, અને જીવના જોખમે ભગિનિના રક્ષક ભાઈઓ, પોતાના ભાઈ-ભાંડુના હિતો માટે ગમે તેવો ત્યાગ કરવા તત્પર રહેતા ભાંડરણાઓ અને માતા-પિતા કે વડીલોના આદર-સન્માન માટે હંમેશાં તત્પર રહેતા સંતાનોના ઘણાં પ્રેરક દૃષ્ટાંતો મોજુદ છે, અને ઈતિહાસના પાને સૂવર્ણ અક્ષરે લખાયેલા છે, પરંતુ હવે બદલાતા સમય સાથે આ બધી જ પારિવારિક ભાવનાઓ સાથે સાંસ્કૃતિક મૂલ્યો પણ ખતમ થવા લાગ્યા છે. હવે તો પીઠમાં છૂરી ભોંકીને હત્યા જેવી ગણી શકાય તેવી છેતરપિંડીઓ પણ થવા લાગી છે, જે મિલકતની તકરારો કરતાયે વધુ ભયંકર અને શરમજનક હોય છે.
અત્યારે વડીલો અને વૃદ્ધોની અજ્ઞાનતા, અલ્પશિક્ષણ કે અતિશય વિશ્વાસનો ફાયદો ઊઠાવીને કે પછી તેને પ્રતાદિત કરીને કે દબાવીને સહીઓ કરાવીને જમીન-મિલકત પચાવી લેતા સંતાનો કે પરિવારજનોના દૃષ્ટાંતો વધી રહ્યા છે, તો કોઈ બહેને મૂકેલા વિશ્વાસનો ઘાત કરીને. ભાઈ કે બહેન દ્વારા જમીન-મિલકત પડાવી લેવાના કિસ્સા પણ છાપે ચડી રહ્યા છે, તે જોતા આને હળહળતા કળીયુગની અસર ગણવી કે બદલાતી માનસિક્તાઓ અને ભૌતિકવાદની ગ્લોબલ ઈફેક્ટ ગણવી તે સમજાતું નથી.
આવી છેતરપિંડી કે વિશ્વાસઘાત માત્ર પરિવારજનો કે સંતાનો જ કરે છે, તેવું નથી, હવે તો મિત્રો અને બિઝનેસ પાર્ટનરોથી આગળ વધીને કેટલીક વિશ્વસનિય ગણાતી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા જેનામાં વિશ્વાસ મૂકીને અત્યારે ડિજિટલ વિનિમયની સિસ્ટમો વિકસી રહી છે, તે બેન્કીંગ ક્ષેત્રો પણ એવી યુક્તિઓ અજમાવી રહી છે, જેને 'કાયદેસરનો વિશ્વાસઘાત' જ કહી શકાય.
છેલ્લા બે દિવસથી જે વિષય ટોક ઓફ ધ નેશન બન્યો છે, તે છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કેટલાક રિફોર્મ્સ માટે થઈ રહેલી કવાયત...
સોશિયલ મીડિયા અને પ્રેસ-મીડિયામાં આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. કસ્ટમરોને ખોટી લાલચ આપીને અથવા કોઈ લોન કે પ્રોસિઝરની મંજુરી માટે ફરજિયાત ગણાવીને, સિનિયર સિટીઝનોની એફ.ડી. સાથે લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાનને ફરજિયાત કે ફાયદાકારક ગણાવીને, જોખમી રોકાણો કે મ્યુચ્યુઅલ ફંડની સુરક્ષાના નામે, બેંક લોકર માટે કે સરળ સર્વિસના નામે કેટલીક બેંકો લિન્ક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે વીમો વેંચે છે, જેને બેન્કીંગ લીગલ ભાષામાં મસ સેલીંગ કહે છે. આ પ્રકારે કસ્ટમરોનો વિશ્વાસ જીતીને અથવા ખોટી-સાચી લાલચોમાં ભરમાવીને તેઓની સહીઓ મેળવીને કેટલીક બેંકો એવા લેખિત કરાર કરાવી લ્યે છે, જેમાં ઊંચા પ્રિમિયરવાળો વીમો (ઈન્સ્યોરન્સ) સંકળાયેલો હોય છે, અને કેટલાક તોતિંગ ફંડની ચાર્જીસ વસૂલવાની જોગવાઈઓ પણ હોય છે, જ્યારે આ પ્રકારની મીસ સેલીંગની ફરિયાદ આવે કે પકડાય છે, ત્યારે કસ્ટમરની લેખિત સહી લીધી છે, સંમતિ લીધી છે અથવા કસ્ટમરે સ્વયં કરાર કર્યો છે, વિગેરે બહાના કરીને બેંકો જવાબદારીમાંથી છટકી જતી હોય છે.
રિઝર્વ બેંક હવે આ નિયમોને કડક બનાવીને કે નવા નિયમો ઘડીને આ રીતે મીસ સેલીંગની બેફામ અને 'કાયદેસરની છેતરપિંડી' અટકાવવાની કવાયત હાથ ધરી હોવાનું કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો બેંકોમાંથી કોઈપણ સર્વિસ કે યોજનાકીય લાભો અથવા બચત કે રોકાણ કરવાની પ્રક્રિયા સાથે સાંકળીને મોંઘીદાટ વીમા પોલિસીઓ વેંચવાની બદી કાયદેસર ગણાવીને કેટલીક બેન્કીંગ સંસ્થાઓ દ્વારા જ ચાલી રહી છે, અને તેના માટે બેંકોના એજન્ટો, બેંકકર્મીઓ તથા 'બેંક તમારા આંગણે' જેવા સોહામણા ટાઈટલ્સ હેઠળ હોમ સર્વિસ આપવાના દાવાઓ હેઠળ કાર્યરત ફિલ્ડના બેન્કીંગ કર્મચારીઓને તગડું કમિશન આપવામાં આવતું હોય છે, જેની સામે સામાન્ય જનતા (કસ્ટમર્સ) ને રક્ષણ આપવા રિઝર્વ બેંક કડક કાનૂનો તૈયાર કરી રહી હોય તો તે આવકારદાયક પણ છે અને અનિવાર્ય પણ છે.
નવા નિયમોમાં મીસ સેલીંગની ચોક્કસ વ્યાખ્યા કરીને તેના પર સંપૂર્ણ અંકુશની જગવાઈઓ થશે, અને આ માટે વીમા પોલિસીના વેંચાણમાં કોઈપણ બેંકકર્મી કે એજન્ટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા ન હોય, લોન કે લોકર માટે વીમો કે કોઈપણ પ્રોડક્ટ્સ ખરીદવાનું દબાણ ન થાય, થર્ડ પાર્ટી (વીમા કંપનીઓ વિગેરે) દ્વારા બેંકર્મીઓ કે એજન્ટોને કમિશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે, ગ્રાહકોની સહીઓ કરાવીને થતી છેતરપિંડી પણ નાબૂદ થાય, અને લોકોનો બેન્કીંગ ક્ષેત્ર પરનો ભરોસો (ગુડ ફેઈથ) જળવાઈ રહે, તે માટેના વૈધાનિક ઉપાયો થતા હોય તેવા સુધારા (રિફોર્મ્સ) રિઝર્વ બેંક લાવી રહી હોય, તો તેને વ્યાપક જનસમર્થન મળશે, તે નક્કી છે.
મોદી સરકાર અને શાસક પક્ષો ઘણી વખત બેન્કીંગ સેવાઓના લાભો જનધન ખાતાઓ તથા બેન્કીંગ સેવાઓ છેક ગ્રામ્ય વિસ્તારો સહિત જન-સામાન્ય સુધી પહોંચાડ્યા હોવાના દાવાઓ કરતા રહે છે, તો બીજી બાજુ એ જ બેન્કીંગ ક્ષેત્રમાં કેટલીક બેંકોમાં 'ધરાર' વીમા પોલિસી જેવા પ્રોડક્ટ્સ વેંચવાને જ પ્રાધાન્ય અપાઈ રહ્યું હોવાથી સામાન્ય જનતાને એ બેંકોમાં ભેદભાવનું ભોગ બનવું પડે છે અને વીમા પ્રોડક્ટ્સ નહીં ખરીદતા કસ્ટમરોને હેરાનગતિ કે ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. આમાંથી મુક્તિ મળે અને બેન્કીંગ સેક્ટરની કેટલીક સંસ્થાઓ દ્વારા થતો આ 'કાયદેસરનો વિશ્વાસઘાત' નાબૂદ થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial