Advertisement
Author: નોબત સમાચાર

આજનું રાજકારણ

                                                                                                                                                                                                      

આજનું રાજકારણ અદ્ભુત છે, મને તો બિલકુલ સમજાતું જ નથી. રાજકારણમાં ક્યારે શું થશે, એટલે કે ક્યા નેતાજી ક્યારે કેવો નિર્ણય લેશે અને કેવા પગલાં ભરશે, તે આમ આદમી, એટલે કે આમ જનતા ક્યારેય સમજી શકશે જ નહીં.

આ વાતનો અનુભવ હમણાં જ આમ આદમી પાર્ટીએ પણ કરાવ્યો. દિલ્હીમાં જન્મેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ચૂંટણી જીતી અને સરકાર બનાવી. ત્યારબાદ પંજાબમાં પણ ચૂંટણી જીતી અને સરકાર બનાવી.

અને હવે તે બિહારમાં પણ ચૂંટણી લડવા અને જીતવા માંગે છે, સારું છે, ભલે જીતે. આપણે તો તેમાં પણ રાજી જ છીએ. પરંતુ અહીં સવાલ એ છે કે બિહારમાં ચૂંટણી લડવાની જાહેરાત ક્યાં થવી જોઈએ? બિહારમાંથી જ ને? અથવા તો દિલ્હી કે પંજાબથી જાહેરાત થવી જોઈએ, કે જ્યાં તેમનું હેડ ક્વાર્ટર છે અથવા તો તેમની સરકાર છે.

પરંતુ હવે અરવિંદ કેજરીવાલે આ બધા જ ચૂંટણીના લોજીકને તડકે મૂકીને ગુજરાતની ભૂમિ પરથી બિહારમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી.  ગુજરાતની આમ જનતાને આ વાત સમજાઈ નહીં.

મને પણ આ વાત બિલકુલ ન સમજાઇ, એટલે સવારે તળાવની પાળે મોર્નિંગ કરતા કરતા મેં ગ્રુપમાં પૂછ્યું, *આ બિહારમાંથી ચૂંટણી લડવાની વાત અરવિંદ કેજરીવાલે ગુજરાતમાંથી શા માટે કરી ?*

નટુએ મારી વાતનો જવાબ આપ્યો કે, *એ તો હવે બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ને એટલા માટે..!? વાત બિહારની ચૂંટણીની અને તૈયારી ગુજરાતની ચૂંટણીની !*

લાલાએ પણ તેની વાતમાં ટાપશી પૂરતા કહ્યું કે, *વાત તો બિલકુલ સાચી લાગે છે. જો ને, કેજરીવાલે યુવાનોને હાકલ કરતા કહ્યું છે કે, *ગુજરાતનો વિકાસ કરવો છે તો મને બે વર્ષ આપો. આ તો હવન છે, તેમાં આહુતિ આપો..!*

ગુજરાતની જનતા આમ પણ ઉદાર છે, મહેમાનગતિ સારી રીતે કરી જાણે છે. આપણા પદ્મભૂષણથી સન્માનિત કવિ શ્રી દુલાભાયા કાગ પણ કહે છે કે,

*હેજી તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે,

એને આવકારો મીઠો આપજે હો જી....*

અને ગુજરાતની જનતાએ કેજરીવાલને નિરાશ પણ નથી કર્યા. હમણાં જ પૂરી થયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેને એક બેઠક પર જીત પણ અપાવી. છતાં બધા રાજકારણીઓએ એક વાત તો યાદ રાખવી જોઈએ કે આમ જનતા રાજકારણીઓની બધી જ ખાસિયતો જાણે છે પરંતુ પોતાના સંસ્કાર અને પરંપરાના કારણે શાંતિથી બધાને સહન કરે છે.

જનતા એ પણ જાણે છે કે દરરોજ સવારે સત્ય બોલવાની અને નૈતિકતાથી જીવવાની બાધા લેતો રાજકારણી જ્યારે ખાવા પીવાની વાત આવે છે ત્યારે, પોતાની બધી જ પ્રતિજ્ઞાઓ ભૂલીને લંચ પર બે હાથે તૂટી પડે છે. આ બધું છતાં પણ આદમી ઈશ્વર પર આસ્થા રાખીને એ આશાએ જીવતો રહે છે કે, *વો સુબહ કભી તો આયેગી... વો સુબહ કભી તો આયેગી..*   

વિદાય વેળાએઃ પત્રકારે નેતાજીને પૂછ્યું, *તમને પબ્લિક સર્વિસનો કોઈ અનુભવ ખરો ? કેટલો ?*

નેતાજીએ જવાબ આપ્યો, *હા હા, પબ્લિક સર્વિસનો અનુભવ છે ને મને. એક વખત હું રાશનની દુકાને લાઇનમાં ઊભેલો. લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી..!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh