Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોટડાબાવીસી પાસે અકસ્માતમાં પિતા-પુત્રને ઈજાઃ સોયલ પાસે અકસ્માતઃ
જામનગર તા. ૬: જામનગરના વાલસુરા પાસે ગઈકાલે સવારે એક મોટર તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ગોથા મારી ગઈ હતી. આ મોટરમાં પુનાથી ટ્રેનીંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા યુવતીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. કોટડાબાવીસી પાસે રોડની સાઈડમાં ઉભેલા પિતા-પુત્રને એક મોટરે ટક્કર મારતા બંનેને ફ્રેક્ચર થઈ ગયા છે. આણંદપર પાસે અકસ્માતમાં રાજકોટના વૃદ્ધ ઘવાયા છે. સોયલ પાટીયા પાસે એક યુવાનને છકડાએ ઠોકર મારી અકસ્માત સર્જયો છે અને ધુંવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં દંપતીને ઈજા થઈ છે.
જામનગરના આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા મૂળ ઓરિસ્સાના વતની સૌમ્યરંજન ક્રિષ્નાચંદ્ર સાહુ ગઈકાલે સવારે અંશુબેન કિશનસિંગ (ઉ.વ.રર) ટ્રેનીંગ પૂર્ણ કરીને પુનાથી પરત ફરતા હતા તેઓને તેડી જવા માટે ડીએલ-૧૦-સીકે ૫૪૧૬ નંબરની મોટરમાં એરપોર્ટ પર ગયા હતા. જ્યાંથી અંશુબેનને રીસીવ કર્યા પછી આ મોટર વાલસુરા જઈ રહી હતી ત્યારે મુખ્ય દરવાજાથી એકાદ કિલોમીટર પહેલાં આ મોટરના ચાલક અનુવ્રત પાંડેએ સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા મોટર ગોથા મારી ગઈ હતી. આ અકસ્માતમાં અંશુબેન બહાર ફંગોળાઈ જતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સૌમ્યરંજન તથા અનુવ્રત પાંડેને ઈજા થઈ છે. બેડી મરીન પોલીસે અનુવ્રત સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ હાઉસ નજીક ન્યુ ઇન્દિરા કોલોનીમાં રહેતા નરેશભાઈ રમેશભાઈ જાદવ તથા તેમના પત્ની જયશ્રીબેન અને પુત્ર આર્ય જીજે-૧૦-બીએ ૨૦૧૮ નંબરના એક્ટિવામાં રાજકોટથી આવવા માટે ગઈ તા.૨૩ની સવારે રવાના થયા પછી જ્યારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ ગામ નજીક દરગાહ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩-એમઈ ૨૯૮૦ નંબરની મોટરના ચાલકે પાછળથી તેઓને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા નરેશભાઈ તેમજ તેમના પત્નીને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના ધ્રાંગડા ગામમાં રહેતા કરસનભાઈ બેચરભાઈ ચાવડા નામના વૃદ્ધનો ભત્રીજો ગઈ તા.૨૮ની સવારે સોયલ ગામના પાટિયા પાસેથી જીજે-૬ સીએન ૯૪૧૬ નંબરના બાઇકમાં ધ્રાાંગડાથી ધ્રોલ આવી રહ્યો હતો ત્યારે રોંગસાઈડમાં ધસી આવેલી જીજે-૧૦-ડબલ્યુ ૪૬૪૭ નંબરની રીક્ષાએ તેને ઠોકર મારી દીધી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કરસનભાઈએ રિક્ષાના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુરના ધ્રાફા ગામના રઘુવીરસિંહ સુખદેવસિંહ જાડેજા તથા તેમના પુત્ર જીજે-૧૦-ડીએમ ૬૦૦૦ નંબરના બાઈકમાં ગઈ તા.૬ની રાત્રે જામજોધપુરથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે કોટડાબાવીસી ગામ પાસે રોડની સાઈડમાં ઉભા રહ્યા હતા. આ વેળાએ જીજે-રપ-એએ ૭૧૩૩ નંબરની મોટરના ચાલકે તેઓને ટક્કર મારી દેતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા છે.
કાલાવડના નવાગામના વતની અને હાલમાં રાજકોટમાં વસવાટ કરતા રમેશભાઈ સાવલીયા નામના વૃદ્ધ ગઈ તા.૯ની સાંજે આણંદપર ગામ પાસેથી જીજે-૧૦-ડીજી ૨૫૬ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૩-એલબી ૧૬૦૦ નંબરની ક્રેટા મોટરે તેઓને ટક્કર મારી હતી. ઈજા પામેલા રમેશભાઈને સારવારમાં ખસેડાયા છે. તેમના પુત્ર જીજ્ઞેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial